SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ પંડિત ધીરજલાલ ટોકરશી શાહ કઠિન કહેવાય. પરંતુ છેલ્લાં થોડાં વર્ષોમાં, કેટલાક શ્રીમંતોનો સહકાર મળવાને કારણે પંડિતજી આર્થિક દૃષ્ટિએ નિશ્ચિત બન્યા હતા. વળી ગ્રંથપ્રકાશન દ્વારા અર્થપ્રાપ્તિની એમને સારી ફાવટ આવી ગઈ હતી. દર વર્ષે એમના એક, બે કે વધુ પુસ્તકો, ઉદ્ઘાટનના જાહેર કાર્યક્રમ સહિત, પ્રગટ થતાં. સરળ શૈલી તથા લોકપ્રિયતાને કારણે એમનાં પુસ્તકો જલદી ખપી જતાં અને પુનરાવૃત્તિઓ થતી. આ રીતે ગ્રંથપ્રકાશન દ્વારા પંડિતજીના કુટુમ્બની આજીવિકા સારી ચાલતી હતી. અલબત્ત, આટલી જ વિદ્વત્તા સહિત યુરોપઅમેરિકાના કોઈ લેખક હોય તો તે આટલાં બધાં પ્રકાશનો દ્વારા મોટી ધનાઢ્ય વ્યક્તિ બની શકે, વળી સન્માન પણ ઘણું પામે. પરંતુ આપણા દેશની વાસ્તવિક પરિસ્થિતિ બધા વિદ્વાન લેખકોને ગ્રંથપ્રકાશનમાંથી આજીવિકા મેળવી આપે એવી હજુ થઈ નથી. ૫. ધીરજલાલ ટોકરશીનાં નાનાં-મોટાં મળીને સાડા ત્રણસોથી વધુ પુસ્તકો પ્રગટ થયાં છે. આ કંઈ જેવીતેવી સાહિત્યોપાસના ન કહેવાય. વીસબાવીસ વર્ષની વયે એમણે લેખન-પ્રવૃત્તિ આરંભી દીધી હતી અને જીવનના અંત સુધી એમની એ પ્રવૃત્તિ ચાલુ રહી હતી. લેખન માટેનો કેટલો જબરો એમનો પુરુષાર્થ ! એમની કેવી અનન્ય સાહિત્યપ્રીતિ ! કેવી ખુમારી અને કેવી ધગશ ! પંડિતજીએ અમદાવાદની ચી. ન. વિદ્યાવિહાર નામની સુપ્રસિદ્ધ શાળામાં ત્યાંની બૉર્ડિંગમાં રહીને અભ્યાસ કર્યો હતો. અભ્યાસકાળ પછી તેઓ મુંબઈમાં આવીને વસ્યા હતા. અસાધારણ સ્મરણશક્તિ અને ગણિતશક્તિ ધરાવનાર પંડિતજીએ મુંબઈમાં આવ્યા પછી ચી. ન. વિદ્યાવિહારના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે “ચીમન છાત્ર મંડળ' નામની એક સંસ્થા શરૂ કરી હતી. દર વર્ષે નવા આવતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં તેઓ રહેતા. મારા મોટાભાઈ શ્રી જયંતીભાઈએ ચી. ન. વિદ્યાવિહારમાં રહીને અભ્યાસ કર્યો હતો. તેઓ મુંબઈમાં આવ્યા કે તરત પંડિતજીએ એમનો સંપર્ક સાધી મંડળના સભ્ય બનાવ્યા હતા. મંડળની પ્રવૃત્તિ નિમિત્તે તેઓને વારંવાર મળવાનું થતું. હું ત્યારે શાળા-કૉલેજમાં અભ્યાસ કરતો, અને મારા મોટાભાઈ સાથે કોઈ વખત પંડિતજીને મળવા જતો. ઈ. સ. ૧૯૪૨-૪૪ની આસપાસ પંડિતજીને પ્રથમ મળવાનું મારે થયું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy