________________
હેમચંદ્રાચાર્યનું અનુભવસિદ્ધ યોગવિજ્ઞાન
લે. ડૉ. નારાયણ મ. કંસારા
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સ્વપજ્ઞ વિવરણ સહ રચેલા પોતાના યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં આરંભમાં “યોગીનાથ', “શ્રી વીરનાથ', “સિદ્ધ અદભુત યોગસંપત્તિ પ્રાપ્ત કરનાર' મહાવીરને નમન કરીને મૂળ શ્લોકાત્મક ગ્રંથ અને ગદ્યાત્મક વિવરણની રચના આરંભી છે. આ યોગશાસ્ત્ર' કુલ બાર પ્રકાશોમાં વિભાજિત છે અને તેમાં “શ્રત' અર્થાત જૈન આગમગ્રંથો, ગુરુપરંપરા અને અનુભવના આધારે ગ્રંથરચના કરી હોવાનું જાહેર કર્યું છે. પહેલાથી અગિયારમા પ્રકાશ સુધીમાં આગમગ્રંથો તથા ગુરુપરંપરાને આધારે યોગશાસ્ત્રનું નિરૂપણ કર્યું છે, અને બારમાં પ્રકાશમાં “અનુભવસિદ્ધ તત્ત્વ'નું નિરૂપણ કર્યું છે; અર્થાત પ્રથમ અગિયાર પ્રકાશમાં શાસ્ત્રીય કે સિદ્ધાન્તનિષ્ઠ નિરૂપણ છે, જ્યારે બારમાં પ્રકાશમાં “યોગ'ના અનુભવસિદ્ધ તત્ત્વ કે મૂળભૂત સ્વરૂપનું નિરૂપણ છે. આ ભેદ સૂક્ષ્મ છે અને સપ્રયોજન છે, એ અંગે આગળ ઉપર કિંચિત વિચારણા કરીશું. અહીં પ્રથમ તો આ બારમાં પ્રકાશમાં નિરૂપેલ ‘તત્ત્વ' શું છે, અને “યોગ વિષે હેમચંદ્રાચાર્ય કેવો અભિગમ ધરાવે છે, તથા આ વિજ્ઞાન પાસેથી શી અપેક્ષા રાખે છે, તેના કયા કયા દાવા તે સ્વીકારે છે તે જોવું પ્રસ્તુત છે.
પ્રથમ પ્રકાશના આરંભે જ “યોગ'ના માહાભ્યનું નિરૂપણ કરતાં હેમચંદ્રાચાર્ય કહે છે કે યોગ એ સર્વ વિપત્તિઓને દૂર કરનાર અચૂક ઉપાય છે; જડીબૂટીઓ, મંત્ર તથા તંત્ર વગરનું વશીકરણ છે. ઘણાં અત્યંત જૂનાં પાપો પણ યોગના પ્રભાવે નાશ પામે છે. યોગીનાં કફ, શ્લેખ, મલ, સ્પર્શ એ બધાં પણ ઔષધીય મહાપ્રભાવશાળી બની જવાની, અને વિવિધ ઇન્દ્રિયો દ્વાર અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવાની સિદ્ધિઓ એ યોગનો જ ચમત્કાર છે. ૬ ચારણવિદ્યા અર્થાત્ આકાશગમન વગેરે સિદ્ધિઓ, ઝેર પચાવવાની શક્તિ, અવધિજ્ઞાન અર્થાત સામાન્ય ઈન્દ્રિયોને ગોચર ન હોય તેવા પદાર્થોનું પ્રત્યક્ષજ્ઞાન પ્રાપ્ત કરવાની સિદ્ધિ અને મન:પર્યાય અર્થાત્ બીજાના મનની વાત જાણી લેવાની સિદ્ધિ, આ બધું યોગથી જ પ્રાપ્ત થાય છે. બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા, ગોહત્યા જેવાં ઘોર મહાપાપોના કરનારને પણ નરકગતિમાંથી યોગ જ બચાવી લે છે. “રાજા ભરત ચક્રવર્તીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ યોગ દ્વારા થઈ હતી; મરુદેવી, દઢપ્રહારી, ચિલતીપુત્ર વગેરેનો ઉદ્ધાર પણ યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org