SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ એક જ વિષયનું અતિવિસ્તૃત પ્રતિપાદન, અધ્યાત્મપ્રધાન વ્યાવહારિક શૈલીની ન્યૂનતા, પારિભાષિક શબ્દોની બહુલતા, સંપ્રદાયનું આધીનપણું અને પ્રસ્તુત વિષયની જટિલતા આદિ વિવિધ અંતરાયો આવે છે. આમ જૂનું સાહિત્ય ઉત્તમ કોટિનું હોવા છતાં પણ આજના સાધકોને તેની ઉપયોગિતા અલ્પ જ રહે છે. વળી જ્યારે છેલ્લાં સો-બસો વર્ષોમાં થયેલા કોઈ સંતમહાત્માનું સાહિત્ય વાંચવાનું તમને સૂચવવામાં આવે ત્યારે તે સાહિત્ય પણ તમને અઘરું લાગે છે, જુનવાણી લાગે છે અને વૈવિધ્યવાળું ન હોવાથી વાંચવાનો કંટાળો આવે છે. જોકે આમ લાગવાનું કારણ તેમની પોતાની જ અપરિપક્વ જિજ્ઞાસુદશા છે તો પણ હજુ નવા નવા સાધનામાર્ગ તરફ વળેલા અથવા સાધારણ સાધના કરેલી છે એવા આ સાધકવર્ગને સહાનુભૂતિપૂર્વકનું વલણ દાખવી તેમને પ્રોત્સાહિત કરવા તે જ યોગ્ય છે. આવા જિજ્ઞાસુઓ દ્વારા ઉદાર આશયવાળા, વિશ્વસનીય, સરળપણે સમજી શકાય તેવા અને વ્યવહારજીવનમાં ઉપયોગી થઈ શકે તેવા માર્ગદર્શક સાહિત્યની સતત માગ થતી રહે છે. યોગ્ય અવલંબન શોધતા એવા આ સાધકોને જો સમયસર સુલભ, સરળ અને સારરૂપ ઉત્તમ વાચનાદિની સામગ્રી પ્રાપ્ત થવાથી કોઈ વિશિષ્ટપણે પુષ્ટ કરનારું પ્રેરકબળ મળી જાય તો તો ડૂબતાને જેમ નાવ મળે કે ભૂખ્યાને જેમ ભોજન મળે તેમ તેમનો આત્મા નિરાંત અને ઉલ્લાસનો અનુભવ કરે છે. આમ થવાથી તેમનું જિજ્ઞાસાબળ ઘણું વધી જાય છે અને જો સાચી સાધનાના માર્ગે તેઓ ચડી જાય તો તેમના જીવનનું કલ્યાણ થવું સંભવે છે. છેલ્લા થોડા દાયકાઓમાં આવું સુંદર અને ઉપયોગી સાહિત્ય સરળ ગુજરાતી ભાષામાં પીરસવાનું મોટા ભાગનું શ્રેય પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીને, શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ મહારાજને તથા અન્ય કેટલીક સંસ્થાઓમાં મુખ્ય શ્રી સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, શ્રી શિવાનંદ સાહિત્ય સમિતિ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ (અગાસ) તથા શ્રી જૈન સ્વાધ્યાય મંદિર (સોનગઢ) છે. અમુક અંશે ઉપયોગી સાહિત્ય અરવિંદ આશ્રમ (પોંડિચેરી) તરફથી પણ અનુવાદિત થયેલું બહાર પડ્યું છે. આ સંસ્થાઓ તરફથી પ્રગટ થયેલું સાહિત્ય જોકે મુખ્યપણે અનુવાદરૂપે છે છતાં અમુક સાહિત્ય પ્રથમથી જ ગુજરાતીમાં લખાયું હોય તેવું પણ છે. માનવતાવાદની શિક્ષા આપનારું અને નૈતિકતાના પાઠો શીખવનારું અમુક શિષ્ટ અને સંસ્કારી સાહિત્ય પુનિત પ્રકાશન મંદિર, અમદાવાદ તરફથી પણ બહાર પડ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy