SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાધર્મનું પરિશીલન • ૪૫ સોળે કળાએ અવતર્યો. આ વિચારે પ્રવૃત્તિ અને નિવૃત્તિમાર્ગનો સંઘર્ષ ટાળ્યો. પ્રવૃત્તિનું ઝેર અને નિવૃત્તિનું આલસ્ય બંને આનાથી ટળે છે, એ જ એની વિશિષ્ટતા છે. પ્રગતિ અને પ્રવૃત્તિ કરનાર મૂળ ધ્યેયથી દૂર દૂર ચાલ્યો જાય છે એવો ભાવ ભારતના લોહીમાં જડાયેલો છે એ વાત સાચી છે. એ જ ભાવમાંથી નિવૃત્તિમાર્ગનો ઉદય થયો છે, એ માર્ગ વિકસ્યો પણ છે, પરંતુ એ નિવૃત્તિ પોતાનો બોજો બીજા ઉપર નાખવા પૂરતી સિદ્ધ થઈ છે. હવે નિવૃત્તિનો અર્થ એથી ઊલટો થવો જોઈએ. બીજાનો બોજ ઊંચકી બીજાને આરામ આપવો, રાહત આપવી; અને એમ ન થાય ત્યાંયે પોતાનો બોજ તો બીજાના પર નાખવો જ નહિ, એ નિવૃત્તિ હોવી જોઈએ. એનાથી જ અનાસકતા કર્મયોગનો પાયો નાખી શકાય. નંદીસત્ર નામના જૈન આગમમાં ચાર પ્રકારની બુદ્ધિઓનું વર્ણન છે. કામ કરવાના અનુભવથી ઘડાતી બુદ્ધિ કર્મજા; અનુભવવૃદ્ધની પરિચર્યા–સેવાથી નીપજનારી બુદ્ધિ વૈનયિકી; ઉંમરના પરિપાકને લીધે પરિપક્વ થનાર બુદ્ધિ પારિણામિકી અને અવનવી સમસ્યાઓ ઉપસ્થિત થતાંવેંત તેનો તત્કાળ ઉકેલ કરવા માટે પ્રકટ થતી સૂઝ તે ઔત્પત્તિકી કહેવાય છે. ગાંધીજીમાં આ ચાર બુદ્ધિઓનો વિરલ યોગ હતો એ તો સૌ જાણે છે, પણ તેમનો વારસો તેમના જ કેટલાક ગણધર શિષ્યોને મળ્યો છે. મારી દષ્ટિએ તેમાં કાકાનું અચૂક સ્થાન છે. આ વસ્તુની પ્રતીતિ તેમનાં અન્ય લખાણોની પેઠે ગીતાધર્મ' વાંચતાં જ વાચકને થઈ જાય છે. એમ તો શ્રદ્ધેય ધર્મગ્રંથ લેખે અનેક શ્રદ્ધાળુઓ ગીતાનો શબ્દપાઠ કરે જ છે અને કેટલાક વિશેષ જિજ્ઞાસુઓ અને સમજદાર તેના અર્થોનું અનેક રીતે ચિંતન-મનન પણ કરે છે; પણ મને લાગે છે કે ગુજરાતી સમજનારા વાચકો પ્રસ્તુત ગીતાધર્મનું થોડું થોડું પણ નિયમિત વાચન-ચિંતન કરે તો ગીતા સમગ્રના અધ્યયનનું ફળ તેમને મળવાનું જ અને વધારામાં ગીતાને સમજવાની અનેક ચાવીઓ પણ લાધવાની. આ નાનકડું પુસ્તક શ્રદ્ધાળુ અને સમાલોચક બંનેને એકસરખું ઉપયોગી થાય એવું હોવાથી તે પાક્યધર્મગ્રંથનું સ્થાન લેવાની યોગ્યતા ધરાવે છે. ગમે તેટલા વ્યાખ્યાનકારોએ ગીતાનો આશ્રય લઈ પોતાનાં વિવેચનોને પૂર્ણ બનાવવા પ્રયત્ન કર્યો હોય, છતાં ગીતા એવો ચિંતન-ભાવનાપ્રેરક પૂર્ણગ્રંથ લાગે છે કે બધી પૂર્ણ વ્યાખ્યાઓ છતાં તેની પૂર્ણતા કાયમ જ રહે છે. પૂર્ગસ્થ પૂfમાવાય પૂર્વમેવાવશિષ્ટતે એ ઔપનિષદ વચન ગીતાની બાબતમાં પણ યથાર્થ છે. - સંસ્કૃતિ, એપ્રિલ, ૧૯૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy