SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાની ચાર ભૂમિકાઓ - ૫ ભૂમિકાઓ ગણાવી તેમ અધ્યાપકના જીવનની પણ ચાર ભૂમિકાઓ ગણાવવા જેવી છે—એને વિદ્યાર્થીઓની સપાટી પર ઊતરવું પડતું હોય છે માટે. વિદ્યાર્થી અને અધ્યાપકનો સંબંધ પણ સમજવા જેવો છે. વિદ્યાનું અધ્યયન બંનેનો સામાન્ય ધર્મ છે. અધ્યાપક અને વિદ્યાર્થી એવા વિભાગો કેવળ વ્યવહારુ છે, બાકી બેઉ એક જ વર્ગના છે, પણ અધ્યાપકના પદે નિમાવાથી અધ્યાપક થવાતું નથી; એ તો રજિસ્ટરમાંનો અધ્યાપક થયો. વિદ્યાર્થીની બુદ્ધિને અને જિજ્ઞાસાને સંકોરનારો ને ઉત્તેજનારો જ સાચો અધ્યાપક ગણાય. એ સિવાય વિદ્યાર્થી અને અધ્યાપક વચ્ચે તારતમ્ય ઝાઝું નથી, છતાં અધ્યાપક વિના વિદ્યાર્થીને ચાલે નહિ. નટને નાચવા માટે દોરી ન હોય તો એ નાચે કેવી રીતે ? તેમ વિદ્યાર્થીને પણ પુસ્તકો અને અધ્યાપકો વિના ચાલે નહિ. સામે પક્ષે જો વિદ્યાર્થી જ ન હોય તો અધ્યાપક કે અધ્યાપન સંભવતાં નથી. વસ્તુતઃ વિદ્યાર્થીના સાંનિધ્યમાં જ અધ્યાપકનો આત્મા વિકસે છે, વ્યક્ત થાય છે. એની સમજ પણ ત્યારે જ સ્પષ્ટ થાય છે. વિદ્યાર્થી એની પાસે આવે છે તે કંઈક મેળવવાની શ્રદ્ધાથી, પણ અધ્યાપક જો પોતાની જવાબદારી સમજતો હોય તો જ એ શ્રદ્ધા સાર્થક થાય છે. આમ ઉચ્ચ શિક્ષણની સંસ્થામાં વધારેમાં વધારે જવાબદારી અધ્યાપકની રહે છે. પણ અધ્યાપક જવાબદારી સમજનારો હોય એટલાથી જ વિદ્યાર્થીનો ઉદ્ધાર ન થઈ જાય. જેઓ અધ્યાપકની શરણાગતિ લેવા આવે તેઓ પોતે પણ જિજ્ઞાસુ, મહેનતુ અને વિદ્યાપરાયણ હોવા જોઈએ. અધ્યાપકનું પોતાનું પણ એક ધ્યેય હોય છે. એને પણ નવું સંશોધન કરવું હોય છે. હવે વિદ્યાર્થીઓને દોરવણી આપતાં, એમને કામ આપતાં ને એમની પાસેથી કામ લેતાં એની પાસેની સૂઝ પણ ખીલે છે, એનું નેતૃત્વ ઘડાય છે. એટલે સ્વાભાવિક રીતે જ ઉત્તમ સંશોધકો પોતાની આસપાસ વિદ્યાર્થીઓનું મંડળ હોય એમ ઇચ્છે છે, એટલું જ નહિ, તેમની સાથે કુટુંબભાવે વ્યવહાર આચરે છે. કલકત્તામાં અને શાંતિનિકેતનમાં મેં એવા અધ્યાપકો જોયા છે. યુરોપમાં એવા અધ્યાપકો છે એમ સાંભળ્યું છે. આવા અધ્યાપકોને વિદ્યાર્થીઓ તો પોતાનો શંકાપ્રશ્ન પૂછીને નિરાંતે ઘેર જઈને સૂઈ શકે, પણ અધ્યાપકની તો ઘણી વાર ઊંઘ ઊડી જતી હોય છે. એને એમ થાય છે કે વિદ્યાર્થીના મનનું સમાધાન કરવા જે ઉત્તર પોતે આપ્યો તે અધૂરો છે, પૂરતો સંતોષકારક નથી. તેથી સંતોષકારક ઉત્તર આપે ત્યારે જ એને ચેન પડે છે. આ જ્યારે વિદ્યાર્થી જાણે છે ત્યારે અધ્યાપકના જીવનનો રંગ એને પણ લાગે છે. વિદ્યોપાર્જન એ તો વૃક્ષ જેવી ક્રિયા છે. સતત રસ લીધા કરીએ તો જ એ વધ્યા કરે અને શાખાએ શાખાએ, પાંદડે પાંદડે એ રસ પહોંચ્યા કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy