SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનઘડતરના શિલ્પી સમાજ, ધર્મ અને સંસ્કૃતિ માનવજીવન સાથે સંકળાયેલાં અભિન્ન અંગો છે. માનવવિકાસમાં, જીવનઘડતરમાં આ ત્રણેયનો ઘણો મોટો ફાળો હોય છે. માણસ સમાજમાં રહીને ઊછરે છે, સંસ્કૃતિથી પોષાય છે અને ધર્મથી વિકસે છે. આ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. દેશ, કાળના પ્રભાવથી સમાજમાં અને તેના બંધારણમાં પરિવર્તન તો આવતાં જ હોય છે. વખત જતાં તેમાં કેટલીક કુરૂઢિઓ પણ ભળે છે અને તે કુરૂઢિઓ વિધિવિધાન, જડતા અને અજ્ઞાનતાનો આંચળો ઓઢી લે છે. તેના કારણે માનવવિકાસ રૂંધાય છે. આખો સમાજ અવળે માર્ગે ચઢી જાય છે. પરિણામે સંસ્કૃતિ અને ધર્મ ઝંખવાય છે. સમાજમાં પ્રવેશેલી બદીઓ ઓળખી તેને દૂર કરવી એ તો અત્યંત કપરું કામ છે. અહીં પં. શ્રી સુખલાલજીએ સમાજ, સંસ્કૃતિ અને ધર્મની ખામીઓ અને ખૂબીઓને ખૂબ જ તાર્કિક રીતે સરળ ભાષામાં રજૂ કરી છે. તેમની શૈલી એટલી બધી પ્રાસાદિક છે કે કોઈ પણ લેખ વાંચવો શરૂ કર્યા પછી તમે અંત સુધી તેમાં વહ્યા કરતા હોવ તેવો અનુભવ સહજ થાય. આ ગ્રંથના આદિ પ્રક૨ણ મંગલ પ્રવચનમાં જ વિદ્યાર્થીઓને આપેલો સંદેશો આજે પચાસ વર્ષ વીત્યા પછી પણ પ્રસ્તુત અને પ્રાસંગિક છે. તેઓ જણાવે છે કે વિદ્યાર્થીઓએ જીવનકળા શીખવી જોઈએ. કળા એટલે ઓછામાં ઓછી અને નજીવી ગણાતી સાધનસામગ્રીમાં પણ સંતુષ્ટ મને આગળ વધવામાં તેનો ઉપયોગ કરી લેવો અને સ્વપુરુષાર્થથી જ પોતાને જોઈતી સૃષ્ટિ ઊભી કરવી તે. આજે વિદ્યાર્થીઓ મિથ્યા અભિમાન અને સાધનસામગ્રીની અપેક્ષાઓમાં અટવાયો છે. તેના કારણે મૂલ્યોનું સતત ધોવાણ થઈ રહ્યું છે. વિદ્યાર્થી માત્ર માહિતીજ્ઞાન મેળવવામાં જ પોતાની ઇતિશ્રી માને છે, માહિતીજ્ઞાન તેના મન અને આત્માને સંસ્કારિત કરવાને બદલે જ્ઞાનના ભારના બોજથી થકવી નાખે છે. આ સમસ્યાનો ઉકેલ આપતાં પંડિતજી જણાવે છે કે વિદ્યાર્થીઓએ મનને ખુલ્લું રાખવું અને સત્ય-જિજ્ઞાસાની સિદ્ધિમાં કોઈ પણ પૂર્વગ્રહોને કે રૂઢ સંસ્કારોને આડે આવવા દેવા નહીં. આવી વૃત્તિ કેળવવી તે એક પ્રકારનું તપ છે. વિદ્યાર્થીઅવસ્થામાં આવા તપને નિષ્ઠાપૂર્વક આચરવું જોઈએ અને તે માટે પૂરતો ઉત્સાહ અને વિઘ્નો સામે અડગ ઊભા રહેવાની ક્ષમતા કેળવવી તે સાચી નિષ્ઠા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy