SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પરભાવથી છૂટીને સ્વભાવમાં લીન થઈ જાઉં.' તેઓ સમસ્ત પરભાવપ્રપંચને ત્યજી, આત્મભાવને જ ભજવા માંગે છે. તેમનો ઝુકાવ આત્મસ્થિરતા તરફ જ હોય છે, તેમાં જ તેમને રસ હોય છે. આત્મસ્થિરતાના લક્ષને વળગી રહીને જ તેમની સર્વ આચરણા થતી હોય છે. આમ, અપૂર્વ સમ્યકત્વદશા પ્રાપ્ત થયા પછી વિશેષ આગળ વધવા માટે જ્ઞાનીનું ચિત્ત સંયમ તરફ ઢળતું જાય છે. પ્રચુર સ્વસંવેદન અર્થે તેઓ સર્વ પ્રકારના બાહ્યાભ્યતર પ્રતિબંધોને દૂર કરીને અસંગ થવાની ભાવના ભાવે છે અને તે અર્થે સદા પુરુષાર્થ કર્યા જ કરે છે. પોતાના ત્રિકાળી અસ્તિત્વની ખુમારી અને જાગૃતિથી તેમની દશા દિન-પ્રતિદિન વિકાસ પામતી જાય છે. તેઓ સમ્યગ્દર્શનના આધારે પોતાને ઉજ્વળ ને ઉજ્વળ કરતા જઈ, પૂર્ણ ચારિત્રદશા પ્રગટાવીને મુક્તિપુરીમાં જાય છે. દેહાત્મબુદ્ધિની નિવૃત્તિરૂપ સમ્યગ્દર્શનના બળ વડે તેઓ કેવળજ્ઞાન મેળવી, ભવાટવીમાંથી બહાર નીકળીને સિદ્ધાલયમાં સ્થિત થાય છે. દેહ છતાં દેહાતીત દશાએ વર્તનારા જ્ઞાની પુરુષ કે જેઓ આત્મસુખને આસ્વાદી રહ્યા છે, તેમનાં દર્શન, બોધ અને સમાગમથી જીવને સંસારનું દુઃખમય સ્વરૂપ યથાર્થપણે સમજાય છે, પર પ્રત્યેની રુચિ તથા ઇચ્છા નિવર્તે છે તેમજ અનંત અને અતીન્દ્રિય એવા આત્મિક સુખમાં તેની રૂચિ, પ્રતીતિ જાગે છે. દેહ છતાં દેહાતીત દશામાં વિચરતા જ્ઞાની મહાત્માના સત્સંગથી તેને શુદ્ધ આત્મસ્વરૂપનું લક્ષ થાય છે, બહુમાન જાગે છે તથા રુચિ પ્રગટે છે; જેના ફળસ્વરૂપે તેનામાં આત્મપ્રાપ્તિ માટે જરૂરી વીર્ય પ્રગટે છે. જ્ઞાની પુરુષનો ઉપયોગ ચૈતન્યસ્વરૂપ પ્રત્યે વળેલો રહેતો હોવાથી તેમનો આત્મા સ્થિર અને સમપરિણામે રહે છે. પૂર્વકર્માનુસાર થતી મન-વચન-કાયાના યોગની પ્રવૃત્તિ તેમને કર્મોની નિવૃત્તિનું કારણ બને છે, કારણ કે આત્મા તેમાં આત્મભાવે જોડાતો નથી. બીજી રીતે કહેતાં જ્ઞાનીપુરુષના આત્માને પૂર્ણ શુદ્ધતા પ્રત્યે લઈ જવા માટે મન, વચન અને કાયા પરમ મિત્રભાવે એકત્રિત થઈ સહાયભૂત થતાં હોય છે. આ એક રહસ્યમય આશ્ચર્યકારક ઘટના છે. આ અદ્ભત રહસ્યને જાણી, તેનું નિદિધ્યાસન કરવાથી મુમુક્ષુને જ્ઞાનીનું અચિંત્ય માહાસ્ય સમજાય છે. મુમુક્ષુ જીવ જ્ઞાનીની દેહાતીત દશાનું તેમજ તેમની અદ્ભુત ચેષ્ટાઓનું અવલોકન કરે છે, તેમની શાંત મુદ્રાનું દર્શન કરે છે, તેમનાં અલૌકિક લક્ષણોનું ચિંતન કરે છે. જ્ઞાનીની ચેષ્ટાનાં કલ્પનાતીત રહસ્યો જેમ જેમ તેને સમજાતાં જાય છે, તેમ તેમ જ્ઞાની પ્રત્યેનો તેનો પ્રેમ અને તેની શ્રદ્ધા ખીલી ઊઠે છે. જ્ઞાની પુરુષની દેહાતીત દશાનું દર્શન કરતાં મુમુક્ષુને અત્યંત ભક્તિ અને ઉલ્લાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy