________________
૨૪૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આવું ભાન થતાં તેને માટે ધર્મગ્રંથ માત્ર ધર્મગ્રંથ નથી રહેતો, પરંતુ કોઈ દૂરના સાગરકિનારે પહોંચવા માટેની પ્રેરણા બની જાય છે. એ તેનામાં એવી ઉત્કંઠા જગાડે છે, તેના પ્રાણોમાં એવી જિજ્ઞાસા ભરી દે છે કે “જેમણે આ મોકલ્યું છે, જ્યાંથી પણ મોકલ્યું છે ત્યાં જરૂર કોઈ એવો અદ્ભુત અનુભવ છે કે જેનાથી હું વંચિત છું.' શાસ્ત્ર જીવની અંદર સત્યની અનુભૂતિની જિજ્ઞાસા પ્રગટાવે છે. એ જિજ્ઞાસાના કારણે સંસારનો રસ ઊડી જાય છે અને રહે છે માત્ર અનુભૂતિની અદમ્ય અભીપ્સા. શાસ્ત્ર જીવને પરમ સત્યની પ્રાપ્તિ માટે ઉત્સાહિત કરી દે છે અને જીવ પુરુષાર્થ વડે આત્માનુભૂતિ કરી ધન્ય થાય છે.
શાસ્ત્રો એ જ્ઞાનીઓની અનુભવવાણી છે. જેમણે આત્મામાં રમણતા કરી છે, જેમણે પોતાના અંતરના સાગરમાં ડૂબકી લગાવી શીતળતાનો અનુભવ કર્યો છે તેમનાં આ અનુભવવચનો છે. એ શીતળતાનો અનુભવ બધાને થાય એવી ભાવનાથી તેમણે એ અનુભવને શબ્દોમાં મૂકવા પ્રયત્ન કર્યો છે. માત્ર તે શબ્દો વાંચવાથી એ અનુભવ જીવનો અનુભવ નથી બનતો. જીવ ગમે તેટલું જાણે, પરંતુ ડૂબકી લગાવનારની એ વાતોથી તેને શીતળતાનો અનુભવ થતો નથી, તે માટે તો સ્વયં ડૂબકી લગાવવી પડે છે. જો જીવ તે શબ્દો ગોખવા માત્રથી એમ માની લે કે મને પણ તે સમજાઈ ગયું છે', તો પછી તેને સાગરમાં ડૂબકી મારવાની આવશ્યકતા જ નથી લાગતી. જો જીવ શાસ્ત્રને જ સત્ય માની લે તો સત્ય તરફની તેની યાત્રા કદી પણ શરૂ થતી નથી.
શાસ્ત્રનું અધ્યયન તો જ ઉપયોગી થઈ શકે છે, જો સાથે એ ખ્યાલમાં રહે કે શાસ્ત્રમાં આપેલું સાગરનું વર્ણન સાગર નથી, પ્રકાશનું વર્ણન પ્રકાશ નથી, શાસ્ત્રમાં પ્રતિપાદિત થયેલો આત્મા આત્મા નથી. ‘જ્ઞાનીના શબ્દો તો તેમના અનુભવની માત્ર છાયા છે. આ શબ્દના આધારે મારે આત્માની સાધના કરવાની છે' - આટલું જો યાદ રહે તો સાગરમાં ડૂબકી મારવાનું શક્ય બને. જો આ સમજ ન હોય તો જીવ માટે શાસ્ત્ર જ સાગર બની જાય છે, શાસ્ત્ર જ સત્ય બની જાય છે અને પરિણામે તે શાસ્ત્રમાં જ અટકી જાય છે અને તેને સત્ય પ્રાપ્ત થતું નથી.
શબ્દ તો જડ છે. તે કંઈ આત્મા નથી. શબ્દ ઇશારો છે. તે ઇશારાને સમજીને જીવે તે ઇશારાની દિશામાં ગતિ કરવી જોઈએ. તે ઇશારો જીવને ઉત્કૃષ્ટ ધ્યેય પ્રત્યે દોરી જાય છે. શાસ્ત્રો જીવને વિચારહીનતામાંથી બહાર કાઢી સર્વોત્કૃષ્ટ લક્ષ્યની પ્રેરણા કરે છે, પરંતુ જીવ જો શબ્દોમાં જ લોભાઈ જાય તો અનર્થ થાય છે. જો જીવ સ્વની પ્રાપ્તિ કર્યા વિના શાસ્ત્રો દ્વારા એવો આભાસ ઉત્પન્ન કરી લે કે મેં આત્માને જાણ્યો છે' તો અનર્થ થાય છે. તે ક્યારે પણ આત્માનુભવ કરી શકતો નથી.
જેમ પૂના જતો પ્રવાસી જો પૂનાના અંતરદર્શક પથ્થર(milestone)ને પકડીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org