SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન આસવ પણ નષ્ટ થતાં તે જીવ સિદ્ધ થઈ જાય છે. જે રસ્તેથી નીચે જવાયું છે તે જ રસ્તેથી ઉપર અવાય છે. જવાનો અને આવવાનો માર્ગ એક જ છે, ફરક માત્ર દિશાનો છે. અવળી દષ્ટિ એ બંધમાર્ગ છે અને સવળી દષ્ટિ એ મોક્ષમાર્ગ છે. જેમ મુંબઈ-આગ્રા રોડ એક જ છે, પરંતુ જો કોઈને પૂછવામાં આવે કે આ રસ્તો ક્યાં જાય છે, તો મુખની દિશા અનુસાર ભિન્ન ભિન્ન ઉત્તર મળે છે. કોઈ કહે છે કે આ રસ્તો મુંબઈ જાય છે, તો કોઈ કહે છે કે આ રસ્તો તમને આગ્રા લઈ જશે. તેમ જીવનો ઉપયોગ એક છે, પણ તેને જે તરફ વાળવામાં આવે તે અનુસાર જીવની દશા થાય છે. અનાદિથી ઉપયોગ બહિર્મુખ રહ્યો છે, હવે તેને સ્વ તરફ વાળવાનો છે. આત્માના ઉપયોગને અંદર વાળવો તે જ સ્વાશ્રિત મોક્ષમાર્ગ છે. અંતર્મુખ પરિણતિ તે જ વીતરાગનો માર્ગ છે. પરિણતિ સ્વસમ્મુખ કરવાનો પ્રયત્ન કરવો એ જ વીતરાગી પુરુષાર્થ છે. પરિણામની દિશા ગુલાંટ ખાઈ સ્વ તરફ વળે એ જ ધર્મ છે, મોક્ષને સાધવાનો રસ્તો છે, ભવનો અંત કરવાનો ઉપાય છે. બંધભાવથી વિપરીત એવા અબંધપરિણામથી જ મોક્ષ થાય છે. બંધકારણોને છેદનારી દશા તે સંવર છે. સંવર થતાં જે અશુદ્ધિ ટળી અને શુદ્ધિ વધી તે નિર્જરા છે. જે સમયે શુદ્ધ ઉપયોગ પ્રગટે તે જ સમયે નવો અશુદ્ધ ઉપયોગ અટકે તે સંવર છે અને તે જ સમયે જૂની અશુદ્ધિ અંશે ટળે અને અંશે શુદ્ધતા વધે તે નિર્જરા છે. પૂર્ણ શુદ્ધિ તે જ મોક્ષ છે. આમ, મોક્ષમાર્ગ સંવર-નિર્જરારૂપ છે એમ આ ગાથામાં શ્રીમદે ગર્ભિતપણે બતાવ્યું છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘જે જે કારણ બંધનાં, મિથ્યાત્વાદિ અનેક; જીવ વિભાવે પરિણમે, એ મોટો અવિવેક. અન્ય ભાવમાં આત્મભાવ, તેહ બંધનો પંથ; અનાત્મ વસ્તુ પારકી, મમત્વ તે મહાગ્રંથ. બાહ્યાભ્યતર ભેદ છે, હેતુ અહં મમકાર; તે કારણ છેદક દશા, મોક્ષપંથ નિરધાર. દ્રવ્ય ભાવ સંયમ વડે, બાહ્યાંતર નિગ્રંથ; ભાવ વડે સ્થિર આત્મનો, મોક્ષપંથ ભવઅંત....૧ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૩૯ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૩૯૩-૩૯૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy