SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સ્વરૂપ શું છે? સ્વરૂપજાગૃતિ કેવી રીતે રખાય? મોક્ષપ્રાપ્તિ માટે કેવો પુરુષાર્થ કરવો જોઈએ? કયાં કયાં કારણોથી મને કર્મબંધ થાય છે? હું તે કર્મબંધને કેવી રીતે અટકાવી શકું? આ ધર્મપ્રવૃત્તિથી મારા આત્માની નિર્મળતા કેટલી થઈ? આદિનો વિચાર પણ તેને આવતો નથી, તેને તે જરૂરી પણ નથી લાગતો. તે માત્ર બાહ્ય ધર્મપ્રવૃત્તિથી કૃતકૃત્યતા માની લે છે, તેથી તેની સર્વ ધર્મપ્રવૃત્તિ નિરર્થક બને છે, એટલું જ નહીં, કર્મમલ વધારનારી પણ બને છે. તેની સર્વ ક્રિયાઓ સ્વરૂપજાગૃતિરહિત હોય છે. તે આકરા અભિગ્રહો પાળે છે, ઉપસર્ગ સહન કરે છે, સંસાર ત્યાગે છે, દીક્ષા લે છે; છતાં ભેદજ્ઞાનના અભાવે સંસારમાં જ રખડે છે. તે આત્માને ઉપકારી થાય એવું કાંઈ કરતો નથી. ધર્માનુષ્ઠાન લોકરંજન આદિ માટે જ કરાતાં હોવાથી, તે કહેવાપૂરતું દેશવિરતિપણું કે સર્વવિરતિપણું ધરાવતો હોય તોપણ વસ્તુતઃ તે મોક્ષમાર્ગમાં ન હોવાથી તેનામાં સમ્યકુચારિત્રનો અભાવ છે. લોકોને પ્રિય થવા અર્થે જ કરાતી ધર્મક્રિયાઓમાં આત્માર્થીપણાનો અભાવ હોવાથી તે નિષ્ફળ જાય છે. જ્યાં સુધી તેની પરિણતિ પરભાવમાં જ રાચે છે, જ્યાં સુધી તે પોતાની અનાદિ અસવાસના છોડતો નથી, જ્યાં સુધી તે સ્વ-પરનો ભેદ જાણવારૂપ ભેદજ્ઞાન કરતો નથી, ત્યાં સુધી તેની સમસ્ત ક્રિયાઓ નિરર્થક છે. તેને સ્વરૂપજાગૃતિનો લક્ષ નથી, માત્ર બાહ્ય ક્રિયાઓ કરીને ધર્મ કહેવડાવવું છે અને તેથી પોતાની માન્યતા સિદ્ધ કરવા તે કહે છે કે અમે તો જિનેશ્વર ભગવાને બતાવેલી ક્રિયાઓ કરીએ છીએ. એ નિરર્થક કેમ બને? અમે તેનાથી જ તરી જઈશું.' એમ કહીને તે શરીરની ક્રિયા કરવાને જ ધર્મક્રિયા માને-મનાવે છે અને ચૈતન્યની ક્રિયા ઉપર લક્ષ આપતો નથી, આત્મલક્ષની મુખ્યતા કરતો નથી. ક્રિયાઓનો લક્ષ સમજ્યા વિના તે દેહદમન આદિ અનેક કષ્ટ આપનારી ક્રિયાઓ કરે છે અને તેને જ મોક્ષમાર્ગ માનેમનાવે છે, પરંતુ મોક્ષમાર્ગ તો તે કહેવાય કે જેના વડે આત્મશુદ્ધિ થાય; અને જો તેવા લક્ષે ક્રિયાઓ ન થાય તો ગમે તેટલાં કષ્ટો સહન કરે તો પણ તે નિરર્થક જ નીવડે છે. આત્મશુદ્ધિરૂપ મોક્ષમાર્ગ માટે આત્મલક્ષની આવશ્યકતા રહે જ છે. આત્મલક્ષ વિના ભોગવેલું કષ્ટ માત્ર જનમનનું રંજન કરી શકે, પરંતુ આત્મરંજન તો ન જ કરી શકે. માત્ર બાહ્ય કષ્ટ ભોગવવાથી જગતની દષ્ટિએ ધર્મી બની શકાય, પરંતુ જ્ઞાનીની દૃષ્ટિએ ધર્મી બની શકાતું નથી. વળી, તે શાસ્ત્રાભ્યાસ કરે તો પણ તેની સમજ બૌદ્ધિક સ્તર સુધી જ રહે છે. તે આત્મા સંબંધી વાંચે છે, મોટી મોટી વાતો પણ કરે છે, પણ તેને આત્મલક્ષ જાગતો નથી. તેને સ્વને અનુભવવાની તાલાવેલી હોતી નથી. તેનો શાસ્ત્રાભ્યાસ પરલક્ષી હોય છે. પર પ્રત્યેનો તેનો તીવ્ર રસ સ્વરૂપરુચિને જાગૃત થવા દેતો નથી. સ્વરૂપની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy