SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પર અમૃત-સમીપે તેઓની વિદ્યાસાધનાની એક વિશેષતા એ હતી, કે તેઓ કેવળ ભારતીય વિદ્યા કે અન્ય વિદ્યાઓના જુદા-જુદા વિષયોને લગતી ભૂતકાલીન સામગ્રીની અધિકૃત માહિતી મેળવીને જ સંતોષ માનતા ન હતા, પણ જે-તે દેશને લગતા અને વિશેષ કરીને ભારતને લગતા તત્કાલીન રાજકીય, સામાજિક, આર્થિક વગેરે પ્રવાહોથી અને પ્રજાજીવનની ખૂબીઓ તથા ખામીઓથી પણ માહિતગાર રહેતા હતા. આવી વિશિષ્ટ કોટીની યોગ્યતાને લીધે, એમણે બર્લિન યુનિવર્સિટીના પ્રોફેસર તરીકેની ચાલુ કામગીરી ઉપરાંત, સને ૧૯૪૧ અને તે પછીના કેટલાક વખત સુધી, જર્મનીની વિદેશ-કચેરીમાં, ભારત અને એની પ્રજાના એક નિષ્ણાત જાણકાર તરીકેની કામગીરી પણ બજાવી હતી; મતલબ કે એમણે ઇન્ડો-જર્મેનિક સંબંધોને લગતી બાબતોના એક નિપુણ સલાહકાર તરીકેની નામના મેળવી હતી. તેઓ જે કોઈ વિષયનો અભ્યાસ હાથ ધરતા એમાં જીવંત ૨સ લેવાનો અને ઐતિહાસિક, તુલનાત્મક અને પૂર્વગ્રહમુક્ત તટસ્થ દૃષ્ટિથી એના મર્મ સુધી પહોંચી જવાનો એમનો સ્વભાવ હતો. આથી એક બાજુ જેમ એમની જ્ઞાનોપાસનાની ક્ષિતિજો વિસ્તરતી રહેતી હતી, તેમ બીજી બાજુ એમનું કોઈ પણ વિષયનું જ્ઞાન મર્મગ્રાહી અને સર્વસ્પર્શી બની રહેતું હતું. વળી કોઈ પણ વિષયનું આકલન કરવામાં તેમ જ નિર્ણાયક પરિણામ નક્કી કરવામાં એમની વિવેચનાત્મક (ક્રિટિકલ) અભ્યાસશીલતા, આંતરસૂઝ અને નિર્ણયશક્તિ ઘણો મહત્ત્વનો ભાગ ભજવતી હતી. આવી ઉચ્ચ કોટિની વિદ્વત્તા અને બીજી પણ જ્ઞાનોપયોગી અનેક શક્તિઓ ધરાવતી વ્યક્તિનો લાભ લેવા દેશ-વિદેશની અનેક શૈક્ષણિક અને સાહિત્યિક સંસ્થાઓ પ્રેરાય એમાં શી નવાઈ ? પ્રો. આલ્સડોર્ફે આવી અનેક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાવા ઉપરાંત કેટલાંક સામયિકો-જર્નલોના મુખ્ય સંપાદક કે સહસંપાદક રૂપે પણ શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રની ચિરસ્મરણીય સેવાઓ બજાવી હતી. એમણે અરધી સદી જેટલા સમયપટ ઉપર વિસ્તરેલી પોતાની કારકિર્દી દરમ્યાન ૧૪ જેટલા ભારતીય ગ્રંથોનું સંશોધન, સંપાદન, સમાલોચન કર્યું હતું. એમાં જૈન, બૌદ્ધ અને વૈદિક એ ત્રણે સંસ્કૃતિના ગ્રંથોનો સમાવેશ થાય છે. એમાનાં પાંચ જૈનવિષયક ગ્રંથો આ છે : (૧) અપભ્રંશ સ્ટડીઝ, (૨) કુમારપાલપ્રતિબોધ, (૩) શ્રી પુષ્પદંતકૃત હરિવંશપુરાણ, (૪) જૈન સ્ટડીઝ ઇટ્સ પ્રેઝન્ટ એન્ડ ફ્યૂચ૨ (જૈન અધ્યયનનું વર્તમાન અને ભવિષ્ય) અને (૫) ધી આર્યા સ્ટાન્ઝાસ ઑફ ઉત્તરાજ્કયણ (ઉત્તરાધ્યનસૂત્રની આર્યા છંદની ગાથાઓ). જિંદગીનાં છેલ્લાં વર્ષો દરમ્યાન તેઓ જૈન આગમોની પ્રાચીનમાં પ્રાચીન ટીકાઓના સંશોધનકાર્યમાં એકાગ્ર બન્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy