SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દૃષ્ટિએ જીવની ઉત્ક્રાન્તિ દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર પ્રગટાવવા પરમ પુરુષાર્થ કરવાની જરૂર છે. સુવર્ણ જેમ ખાણમાં માટીથી આવૃત હોય ત્યારે પણ તેનામાં સુવર્ણત્વ તો રહેલું છે જ, તેવી રીતે ચેતન જીવ કર્માવૃત હોય ત્યારે પણ તેનામાં શુદ્ધ ચેતનત્વ તો હોય છે જ એટલે ચેતનમાં જે મહાન્ ગુણો છે તે બહારથી લેવા જવાના નથી, પરંતુ તેની સાથે પ્રચ્છન્ન - આવૃતરૂપે રહેલાં છે તે ક્રિયા, યોગ, તપ, સંયમ વગેરે દ્વારા કર્મમળ દૂર ક૨વા અર્થે લીધેલા પરમ પુરુષાર્થથી વ્યક્ત કરવાના છે. ઉક્ત કર્મ આઠ પ્રકારનાં છે અને તેના ઉત્તર ભેદો તથા તે પ્રત્યેકનું તારતમ્ય બહુ ભેદિવભેદમાં વહેંચાઈ ગયેલ છે. ૧. આત્માના જ્ઞાનગુણનું આવરણ કરે તે જ્ઞાનાવરણીય કર્મ, ૨. દર્શનગુણનું આવરણ કરે તે દર્શનાવરણીય, ૩. વસ્તુપ્રાપ્તિમાં, તેના દાનમાં, ભોગોપભોગાદિમાં પ્રત્યવાય કરે – વિઘ્નભૂત થાય તે અંતરાય કર્મ, ૪. સંસારમાં અને તત્ત્વજ્ઞાનમાં સત્ય માર્ગ સૂઝવા ન દેતાં મૂંઝવી નાંખે તે મોહનીય કર્મ, ૫. ચેતનને અનેક જાતિમાં જન્મ આપી તેને અવનવા અનુભવ કરાવે તે નામકર્મ, ૬. ઉચ્ચનીચ જાતિમાં અવતરણ કરાવે તે ગોત્ર કર્મ, ૭. પ્રત્યેક ભવમાં અમુક કાળ સુધી સ્થિતિ કરાવે તે આયુષુ કર્મ, ૮. શારીરિક સુખદુઃખનો અનુભવ કરાવે તે વેદનીય કર્મ. આ આઠ કર્મોના અનેક ભેદો થાય છે અને તે ચેતન ઉપર લાગ્યા કરે છે અને તેનો ભોગકાળ – ઉદયકાળ થયે ફળ આપી ખરી પડે છે, (એ સંબંધી વિશેષ વિવેચન આગળ પર જોવામાં આવશે.) ચેતન જ્યાં સુધી મિથ્યાત્વ દશામાં – અજ્ઞાનમાં વર્તતો હોય છે ત્યાં સુધી આ સર્વ કર્મો તેની પ્રચુરતા સાથે હોય છે. સર્વ કર્મમળ દૂર કર્યા પછી જીવ મોક્ષે જાય છે. મોક્ષે ગયા પછી એટલે એક વખત સર્વ કર્મમળનો સર્વથા નાશ કર્યા પછી ફરીવાર તેને કર્મમળ લાગતો નથી. એટલે કર્મનું કાર્ય જે સંસાર તે થતો નથી એટલે મોક્ષમાં ગયા પછી ચેતનનું પુનઃ સંસારમાં અવતરણ થતું નથી. આ મુક્ત જીવોને ‘સિદ્ધ’ – ‘મુક્ત’ કહેવામાં આવે છે. ૧ સિદ્ધ સિવાયના જીવો બાહ્ય દૃષ્ટિએ બે પ્રકારે કલ્પાયેલા પ્રત્યક્ષ અનુભવવામાં આવે છે – તેમાં એક અવ્યવહારરાશિ અને બીજો વ્યવહા૨ાશિ: સૂક્ષ્મ નિગોદના જીવો અવ્યવહારરાશિ છે અને તે સિવાયના બધા જીવો કે જેમાં સ્કૂલ (બાદર) નિગોદના જીવોનો સમાવેશ થાય છે તે વ્યવહારરાશિ છે. એટલે જેને વ્યવહારમાં લઈ શકાય – – જેની ગણતરી કરી જેના ભેદાદિ પડી શકે તે. સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ – બંને જાતના નિગોદ જીવોથી અખિલ વિશ્વ વ્યાપ્ત છે. જેમ કાજલ મેશને - Jain Education International 1 ૧. અવ્યવહારરાશિમાં અનંત જીવો એકેંદ્રિય અવસ્થામાં આખા વિશ્વમાં ભરેલા છે તે સૂક્ષ્મ છે – આંખે જોઈ શકાય તેવા નથી, એક શ્વાસોચ્છ્વાસમાં એક નિગોદજીવના સાડાસોળ ભવ થાય છે અને તેવી સ્થિતિમાં તે અનંત કાળ ભવ કર્યા કરે છે. એક સ્થિતિમાં એક સોયના અગ્રભાગ જેટલામાં તે જીવના અસંખ્ય ગોળક હોય છે અને એક ગોળકમાં અનંત જીવો હોય છે. એ જીવોને નિગોદના (infinitesimally small souls) કહેવામાં આવે છે. વિચાર કર્યાં વગર (અકામ નિર્જરાથી) ઘર્ષણ પૂર્ણન ન્યાયથી કર્મનો અંશમાં ક્ષય થતાં એમાંથી જીવ ઉન્નત સ્થિતિમાં આવે છે. આ નિગોદનું સ્વરૂપ જૈનગ્રંથોમાં વિસ્તારથી છે. આવા જીવો કોઈપણ દર્શનમાં ગણેલા કે ગણાવેલા નથી. For Private & Personal Use Only ૧૭૩ www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy