________________
૮૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
તે પરથી ક્રિયા કરનાર વિશેષ વિનય પ્રદર્શિત કરવાને માટે જણાવે છે કે હે ગુરુદેવ ! હું તે પ્રમાણે ઇચ્છું છું. એમ કહીને તે સૂચિત ક્રિયામાં પ્રવેશ કરે છે.
ઇચ્છે પદ ઈચ્છામિ એટલે આપની આજ્ઞા ઇચ્છું છું. એવા અર્થનું પ્રતિપાદન કરે છે.
તિમ-આત્મનિરીક્ષણ, જીવનનું પર્યાલોચન કે ભાવશુદ્ધિ માટેની ક્રિયા.
જો કોઈ માળીને સુંદર માલા તૈયાર કરવી હોય, તો પ્રથમ બગીચાનું અવલોકન કરીને તેમાંથી તે કેટલાંક ફૂલો ચૂંટી કાઢે છે. પછી એ ચૂંટેલાં ફૂલોમાંથી કળીઓ, અર્ધવિકસિત ફૂલો અને પૂર્ણ વિકસિત ફૂલો-એ રીતે તેના વિભાગો પાડે છે. અને છેવટે તેમાંથી સુંદર લાગતાં ફૂલો પસંદ કરીને તેની માલા બનાવે છે, જેથી તે માળા ધારણા પ્રમાણે સુંદર બને છે. એ જ રીતિ પ્રતિક્રમણની છે. તેમાં સહુથી પ્રથમ ગત જીવનનું અથવા કાર્યોનું અવલોકન યાને નિરીક્ષણ કરવામાં આવે છે. પછી તેના સત્ અને અસત્ અંશો જુદા જુદા પાડીને તેનું પર્યાલોચન કરવામાં આવે છે અને છેવટે અસત્ અંશ માટે પશ્ચત્તાપ કરીને તે ફરી ન કરવાનો નિર્ણય કરીને ભાવશુદ્ધિ કરવામાં આવે છે, જેથી તે આત્માને ઓપાવનારું આદર્શ પ્રતિક્રમણ બની શકે છે.*
આત્મ-નિરીક્ષણ, જીવન-પર્યાલોચન કે ભાવ-શુદ્ધિ કરવા માટે જે સૂત્રો નક્કી થયેલાં હોય, તેનો પાઠ કરવો, અર્થચિંતન કરવું, તથા તે દ્વારા ઉત્પન્ન થયેલા ભાવને આધારે યોગ્ય પ્રવૃત્તિ કરવી, તે પણ પ્રતિક્રમણ કહેવાય છે. આ દષ્ટિએ ઈર્યાપથ-પ્રતિક્રમણનો અર્થ ગમનાગમનની ક્રિયા દરમિયાન અજાણતાં થઈ ગયેલી જીવ-વિરાધના અંગેનો પશ્ચાત્તાપ કરી, તે સંબંધમાં ફરી વિશેષ યતના(સાવધાની)પૂર્વક વર્તવાનો નિર્ણય છે.
મિચ્છામિ દુક્કડં-મારું દુષ્કૃત નિષ્ફળ થાઓ.
* પ્રતિક્રમણગર્ભહેતુ તથા આવશ્યકના-બાલાવબોધમાં આ દૃષ્ટાંત આપેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org