________________
Compodium of Jainism - Part (II)
1 મહાવીર સ્વામી અને ગોવાળ
એક વખત મહાવીર સ્વામી એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા ત્યારે તેઓ એક ઝાડ નીચે ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા રહી ગયા. તે સમયે એક ગાયોનો ગોવાળ ગાયો સાથે ત્યાં આવ્યો. તેને કોઈ કામ માટે જવાનું હોવાથી તેની ગાયોનું કોઈ ધ્યાન રાખે તે જરૂરી હતું. તેણે ધ્યાનસ્થ ઉભેલા મહાવીર સ્વામીને થોડો સમય પોતાની ગાયોનું ધ્યાન રાખવાનું કહ્યું. પરંતુ મહાવીર સ્વામી ધ્યાનમાં હોવાથી તેને કોઈ જવાબ આપ્યો નહીં. ગોવાળે માની લીધું કે મેં કહ્યું છે એટલે તે ગાયોને સાચવશે.
ગાયો ઘાસની શોધમાં આગળ પાછળ ફરવા લાગી. થોડા સમય પછી ગાયોનો ગોવાળ પાછો આવ્યો અને જોયું તો તેની ગાયો ત્યાં હતી જ નહીં. તેણે મહાવીર સ્વામીને પૂછ્યું, “મારી ગાયો ક્યાં ગઈ? તમે તેનું શું ધ્યાન રાખ્યું?” મહાવીર સ્વામી તો હજુ પણ ધ્યાનમાં જ હતા તેથી તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. ગોવાળે ચારેબાજુ તપાસ કરી પણ ગાયો ક્યાંય ન મળી. એ ગાયોની શોધવા ગયો હતો તે દરમ્યાન ગાયો મહાવીર સ્વામી જ્યાં ધ્યાન ધરતા હતા ત્યાં પાછી આવીને ઊભી રહી ગઈ.
ગોવાળ ચારેબાજુ રખડી રખડીને પાછો આવ્યો ત્યારે તેના આશ્ચર્ય વચ્ચે ગાયો ત્યાં જ ઉભી હતી. ગોવાળ મહાવીર સ્વામી પર ખુબ જ ગુસ્સે થયો કારણ કે તેણે એવું માન્યું કે તેમણે ગાયોને ક્યાંક સંતાડી દીધી હતી. ગુસ્સામાં તેણે પોતાનો દોરડું હાથમાં લીધું અને મહાવીર સ્વામીને મારવા જતો રહ્યો. એટલામાં સ્વર્ગમાંથી એક દેવદૂત આવ્યો અને તેનું દોરડું પકડી લીધું અને ઠપકો આપતાં કહ્યું, “તું જોઈ નથી શકતો કે મહાવીર સ્વામી ઊંડા ધ્યાનમાં છે” ગોવાળે કહ્યું, “પણ તેણે મને છેતર્યો છે.” દેવદૂતે કહ્યું, “એ ઊંડા ધ્યાનમાં છે માટે તે જે કંઈક કહ્યું હશે તે તેમણે સાંભળ્યું જ નથી. એ સાધુ બન્યા પહેલા રાજકુંવર વર્ધમાન હતા. એમને તારી ગાયોનું કોઈ કામ નથી. એમને મારીને તું ભારે કર્મ બાંધીશ.” ગોવાળને ખ્યાલ આવી ગયો કે પોતે મોટી ભૂલ કરી રહ્યો હતો. તેણે મહાવીર સ્વામીની માફી માંગી અને ચાલ્યો ગયો.
દેવદૂતે મહાવીર સ્વામીને નમસ્કાર કર્યા અને વિનંતી કરી, “હે ભગવાન, તમારી આધ્યાત્મિક સફર દરમ્યાન મને તમારી સેવામાં રહેવા દો.” મહાવીર સ્વામીએ જવાબ આપ્યો, “આધ્યાત્મિક પ્રગતિમાં કોઈ કોઈને મદદ ના કરી શકે અને કેવળ જ્ઞાન પણ ન પામી શકે. કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા અને અરિહંત બનવા માટે જાતે જ પુરુષાર્થ કરવો પડે અને તો જ સર્વજ્ઞ બનાય અને મુક્તિ મળે."
મહાવીર સ્વામીને તેમની મુશ્કેલીમાં મદદરૂપ થવાના સંતોષ સાથે દેવદૂત સ્વર્ગમાં પાછા ફર્યા. મહાવીર સ્વામીને ગોવાળ પર તો શું પણ કોઈના પર પણ દુર્ભાવ ન હતો.
Page 223 of 307