Book Title: Vachanamrut 0598
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330719/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 598 અલ્પકાળમાં ઉપાધિ રહિત થવા ઇચ્છનારે મુંબઈ, વૈશાખ વદ 10, રવિ, 1951 પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે નમસ્કારપૂર્વક - શ્રી સાયલા. આજે પત્ર 1 મળ્યું છે. ‘અલ્પકાળમાં ઉપાધિ રહિત થવા ઇચ્છનારે આત્મપરિણતિને કયા વિચારમાં આણવી ઘટે છે કે જેથી તે ઉપાધિરહિત થઈ શકે?’ એ પ્રશ્ન અમે લખ્યું હતું. તેના ઉત્તરમાં તમે લખ્યું કે “જ્યાં સુધી રાગબંધન છે ત્યાં સુધી ઉપાધિરહિત થવાતું નથી, અને તે બંધન આત્મપરિણતિથી ઓછું પડી જાય તેવી પરિણતિ રહે તો અલ્પકાળમાં ઉપાધિરહિત થવાય.’ એ પ્રમાણે ઉત્તર લખ્યો તે યથાર્થ છે. અહીં પ્રશ્નમાં વિશેષતા એટલી છે કે ‘પરાણે ઉપાધિયોગ પ્રાપ્ત થતો હોય, તે પ્રત્યે રાગદ્વેષાદિ પરિણતિ ઓછી હોય, ઉપાધિ કરવા ચિત્તમાં વારંવાર ખેદ રહેતો હોય, અને તે ઉપાધિને ત્યાગ કરવામાં પરિણામ રહ્યાં કરતાં હોય, તેમ છતાં ઉદયબળથી ઉપાધિપ્રસંગ વર્તતો હોય તો તે શા ઉપાયે નિવૃત્ત કરી શકાય ?' એ પ્રશ્ન વિષે જે લક્ષ પહોંચે તે લખશો. ‘ભાવાર્થપ્રકાશ' ગ્રંથ અમે વાંચ્યો છે, તેમાં સંપ્રદાયના વિવાદનું કંઈક સમાધાન થઈ શકે એવી રચના કરી છે, પણ તારતમ્ય વાસ્તવ જ્ઞાનવાનની રચના નથી; એમ મને લાગે છે. શ્રી ડુંગરે ‘અખે પુરુષ એક વરખ હે” એ સવૈયો લખાવ્યો તે વાંચ્યો છે. શ્રી ડુંગરને એવા સવૈયાનો વિશેષ અનુભવ છે, તથાપિ એવા સવૈયામાં પણ ઘણું કરીને છાયા જેવો ઉપદેશ જોવામાં આવે છે, અને તેથી અમુક નિર્ણય કરી શકાય, અને કદી નિર્ણય કરી શકાય તો તે પૂર્વાપર અવિરોધ રહે છે, એમ ઘણું કરીને લક્ષમાં આવતું નથી. જીવના પુરુષાર્થધર્મને કેટલીક રીતે એવી વાણી બળવાન કરે છે, એટલો તે વાણીનો ઉપકાર કેટલાક જીવો પ્રત્યે થવો સંભવે છે. શ્રી નવલચંદના હાલ બે પત્તાં અત્રે આવ્યાં હતાં, કંઈક ધર્મ પ્રકારને જાણવા વિષે હાલ તેમની ઇચ્છા થઈ છે, તથાપિ તે અભ્યાસવત અને દ્રવ્યાકાર જેવી હાલ સમજવી યોગ્ય છે. જો કોઈ પૂર્વના કારણયોગથી એ પ્રકાર પ્રત્યે તેમનો લક્ષ વધશે તો ભાવપરિણામે ધર્મવિચાર કરવાનું બની શકે એવો તેનો ક્ષયોપશમ છે. તમારા આજના પત્રમાં છેવટે શ્રી ડુંગરે જે સાખી લખાવી છે, ‘વ્યવહારની ઝાળ પાંદડે પાંદડે પરજળી’ એ પદ જેમાં પહેલું છે તે યથાર્થ છે. ઉપાધિથી ઉદાસ થયેલા ચિત્તને ધીરજનો હેતુ થાય એવી સાખી છે. તમારું તથા શ્રી ડુંગરનું અત્રે આવવા વિષે વિશેષ ચિત્ત છે એમ લખ્યું તે વિશેષ કરી જાણ્યું. શ્રી ડુંગરનું ચિત્ત એવા પ્રકારમાં શિથિલ કેટલીક વાર થાય છે, તેમ આ પ્રસંગમાં કરવાનું કારણ દેખાતું નથી. કંઈક શ્રી ડુંગરને દ્રવ્ય(બહાર)થી માનદશા એવા પ્રસંગમાં આડી આવતી હોવી જોઈએ એમ અમને લાગે છે, પણ તે Page #2 -------------------------------------------------------------------------- ________________ એવા વિચારવાનને રહે તે ઘટારત નથી, પછી બીજા સાધારણ જીવોને વિષે તેવા દોષની નિવૃત્તિ સત્સંગથી પણ કેમ થાય ? એક આટલું અમારા ચિત્તમાં રહે છે કે આ ક્ષેત્ર સામાન્યપણે અનાર્ય ચિત્ત કરી નાખે તેવું છે. તેવા ક્ષેત્રમાં સત્સમાગમનો યથાસ્થિત લાભ લેવાનું ઘણું કઠણ પડે છે; કેમકે આજુબાજુના સમાગમો, લોકવ્યવહાર બધા ઘણું કરી વિપર્યય રહ્યા, અને તે કારણથી ઘણું કરી કોઈ મુમુક્ષજીવ અત્રે ચાહીને સમાગમાર્થે આવવા ઇચ્છા કરતા હોય તેને પણ પ્રત્યુત્તર ‘ના’ લખવા જેવું બને છે, કેમકે તેના શ્રેયને બાધ ન થવા દેવો યોગ્ય છે. તમારા તથા શ્રી ડુંગરના આવવા સંબંધમાં એટલો બધો વિચાર તો ચિત્તમાં થતો નથી, પણ કંઈક સહજ થાય છે. એ સહજ વિચાર થાય છે તે એવા કારણથી થતો નથી કે અત્રેનો ઉદયરૂપ ઉપાધિયોગ જોઈ અમારા પ્રત્યે તમારા ચિત્તમાં કંઈ વિક્ષેપ થાય; પણ એમ રહે છે કે તમારા તથા શ્રી ડુંગર જેવાના સત્સમાગમનો લાભ ક્ષેત્રાદિના વિપર્યયપણાથી યથાયોગ્ય ન લેવાય તેથી ચિત્તમાં ખેદ આવી જાય છે. જોકે તમારા આવવાના પ્રસંગમાં ઉપાધિ ઘણી ઓછી કરવાનું બની શકશે, તથાપિ આજુબાજુનાં સાધનો સત્સમાગમને અને નિવૃત્તિને વર્ધમાન કરનારાં નહીં, તેથી ચિત્તમાં સહજ લાગે છે. આટલું લખવાથી ચિત્તમાં આવેલો એક વિચાર લખ્યો છે એમ સમજવું. પણ તમને અથવા શ્રી ડુંગરને અટકાવવા વિષેનો કંઈ પણ આશય ધારી લખ્યું નથી, પણ એટલો આશય ચિત્તમાં છે કે જો શ્રી ડુંગરનું ચિત્ત આવવા પ્રત્યેમાં કંઈક શિથિલ દેખાય તો તેમના પ્રત્યે વિશેષ તમે દબાણ કરશો નહીં, તોપણ અડચણ નથી, કેમકે શ્રી ડુંગરાદિના સમાગમની ઇચ્છા વિશેષ રહે છે, અને અત્રેથી નિવૃત્ત થવાનું થોડા વખત માટે હાલ બને તો કરવાની ઇચ્છા છે તો શ્રી ડુંગરનો સમાગમ કોઈ બીજા નિવૃત્તિક્ષેત્રે કરવાનું થશે એમ લાગે છે. તમારા માટે પણ એવા પ્રકારનો વિચાર રહે છે, તથાપિ તેમાં ભેદ એટલો પડે છે કે તમારા આવવાથી અત્રેની કેટલીક ઉપાધિ અલ્પ કેમ કરી શકાય ? તે પ્રત્યક્ષ દેખાડી, તે પ્રત્યેનો વિચાર લેવાનું બની શકે. જેટલે અંશે શ્રી સોભાગ પ્રત્યે ભક્તિ છે, તેટલે અંશે જ શ્રી ડુંગર પ્રત્યે ભક્તિ છે એટલે તેને આ ઉપાધિ વિષે વિચાર જણાવવાથી પણ અમને તો ઉપકાર છે; તથાપિ શ્રી ડુંગરના ચિત્તને કંઈ પણ વિક્ષેપ થતો હોય અને અત્રે આવવાનું કરાવવું થતું હોય તો સત્સમાગમ યથાયોગ્ય ન થાય. તેમ ના બનતું હોય તો શ્રી ડુંગરે અને શ્રી સોભાગે અત્રે આવવામાં કંઈ પ્રતિબંધ નથી. એ જ વિનંતિ. આ૦ સ્વ૦ પ્રણામ.