Book Title: Vachanamrut 0016 09 Nirajara 10 Lokasvaroop Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330028/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ નવમ ચિત્ર-નિર્જરાભાવના દ્વાદશ પ્રકારનાં તપ વડે કરી કર્મઓઘને બાળીને ભસ્મીભૂત કરી નાંખીએ, તેનું નામ નિર્જરા ભાવના કહેવાય છે. તપના બાર પ્રકારમાં છ બાહ્ય અને છ અત્યંતર પ્રકાર છે. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ અને સંલીનતા એ છ બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન અને કાયોત્સર્ગ, એ છ અત્યંતર તપ છે. નિર્જરા બે પ્રકારે છે. એક અકામ નિર્જરા અને દ્વિતીય સકામ નિર્જરા. નિર્જરાભાવના પર એક વિપ્રપુત્રનું દ્રષ્ટાંત કહીશું. દ્રષ્ટાંતઃ- કોઈ બ્રાહ્મણે પોતાના પુત્રને સપ્તવ્યસનભક્ત જાણીને પોતાને ઘેરથી કાઢી મૂક્યો. તે ત્યાંથી નીકળી પડ્યો અને જઈને તેણે તસ્કરમંડળીથી સ્નેહસંબંધ જોડ્યો. તે મંડળીના અગ્રેસરે તેને સ્વકામનો પરાક્રમી જાણીને પુત્ર કરીને સ્થાપ્યો. એ વિપ્રપુત્ર દુષ્ટદમન કરવામાં દ્રઢપ્રહારી જણાયો. એ ઉપરથી એનું ઉપનામ દ્રઢપ્રહારી કરીને સ્થાપ્યું. તે દ્રઢપ્રહારી તસ્કરમાં અગ્રેસર થયો. નગર ગ્રામ ભાંગવામાં બલવત્તર છાતીવાળો ઠર્યો. તેણે ઘણાં પ્રાણીઓના પ્રાણ લીધા. એક વેળા પોતાના સંગતિસમુદાયને લઈને તેણે એક મહાનગર લૂંટ્યું. દ્રઢપ્રહારી એક વિપ્રને ઘેર બેઠો હતો. તે વિપ્રને ત્યાં ઘણા પ્રેમભાવથી ક્ષીરભોજન કર્યું હતું. તે ક્ષીરભોજનના ભાજનને તે વિપ્રના મનોરથી બાળકડાં વીંટાઈ વળ્યાં હતાં. દ્રઢપ્રહારી તે ભાજનને અડકવા મંડ્યો, એટલે બ્રાહ્મણીએ કહ્યું, ‘એ મૂર્ખના મહારાજા ! અભડાવ કાં? અમારે પછી કામ નહીં આવે, એટલું પણ તું સમજતો નથી ?' દ્રઢપ્રહારીને આ વચનથી પ્રચંડ ક્રોધ વ્યાપ્યો અને તેણે તે દીન સ્ત્રીને કાળધર્મ પમાડી. નાહતો નાહતો બ્રાહ્મણ સહાયતાએ ધાયો, તેને પણ તેણે પરભવ-પ્રાપ્ત કર્યો. એટલામાં ઘરમાંથી ગાય દોડતી આવી, અને તેણે શીંગડે કરી દ્રઢપ્રહારીને મારવા માંડ્યો; તે મહા દુષ્ટ તેને પણ કાળને સ્વાધીન કરી. એ ગાયના પેટમાંથી એક વાછરડું નીકળી પડ્યું; તેને તરફડતું દેખી દ્રઢપ્રહારીના મનમાં બહુ બહુ પશ્ચાત્તાપ થયો. મને ધિક્કાર છે કે મેં મહા અઘોર હિંસાઓ કરી ! મારો એ મહાપાપથી ક્યારે છૂટકો થશે ? ખરે ! આત્મસાર્થક સાધવામાં જ શ્રેય છે ! એવી ઉત્તમ ભાવનાએ તેણે પંચમુષ્ટિ કેશલુંચન કર્યું. નગરની ભાગોળે આવી ઉગ્ર કાયોત્સર્ગે રહ્યા. આખા નગરને પૂર્વે સંતાપરૂપ થયા હતા; એથી લોકોએ એને બહુવિધ સંતાપવા માંડ્યા. જતાં આવતાંનાં ધૂળઢેફાં અને પથ્થર, ઈંટાળા અને તરવારની મુષ્ટિકા વડે તે અતિ સંતાપપ્રાપ્ત થયા. ત્યાં આગળ લોકસમુદાયે દોઢ મહિના સુધી તેને પરાભવ્યા, પછી થાક્યા, અને મૂકી દીધા. દ્રઢપ્રહારી ત્યાંથી કાયોત્સર્ગ પાળી બીજી ભાગોળે એવા જ ઉગ્ર કાયોત્સર્ગથી રહ્યા. તે દિશાના લોકોએ પણ એમ જ પરાભવ્યા; દોઢ મહિને છંછેડી મૂકી દીધા. ત્યાંથી કાયોત્સર્ગ પાળી દ્રઢપ્રહારી ત્રીજી પોળે રહ્યા. તેઓએ પણ મહા પરાભવ આપ્યો, ત્યાંથી દોઢ મહિને મૂકી દીધાથી ચોથી પોળે દોઢ માસ સુધી રહ્યા. ત્યાં અનેક પ્રકારના પરિષહને સહન કરીને તે ક્ષમાધર રહ્યા. છ માસે અનંત કર્મસમુદાયને બાળી વિશોધી વિશોધીને તે કર્મરહિત થયા. સર્વ પ્રકારના મમત્વનો તેણે Page #2 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કર્યો. અનુપમ કૈવલ્યજ્ઞાન પામીને તે મુક્તિના અનંત સુખાનંદયુક્ત થયા. એ નિર્જરા ભાવના દ્રઢ થઈ. હવે - દશમ ચિત્ર- લોકસ્વરૂપભાવના લોકસ્વરૂપભાવના - એ ભાવનાનું સ્વરૂપ અહીં આગળ સંક્ષેપમાં કહેવાનું છે. જેમ પુરુષ બે હાથ દઈ પગ પહોળા કરી ઊભો રહે તેમ લોકનાલ કિંવા લોકસ્વરૂપ જાણવું. તીરછા થાળીને આકારે તે લોકસ્વરૂપ છે. કિંવા માદલને ઊભા મૂક્યા સમાન છે. નીચે ભુવનપતિ, વ્યંતર અને સાત નરક છે. તીરછે અઢી દ્વીપ આવી રહેલા છે. ઊંચે બાર દેવલોક, નવ રૈવેયક. પાંચ અનત્તર વિમાન અને તે પર અનંત સુખમય પવિત્ર સિદ્ધગતિની પડોશી સિદ્ધશિલા છે. તે લોકાલોકપ્રકાશક સર્વજ્ઞ, સર્વદર્શી અને નિરુપમ કૈવલ્યજ્ઞાનીઓએ ભાખ્યું છે. સંક્ષેપે લોકસ્વરૂપ ભાવના કહેવાઈ. પાપપ્રનાલને રોકવા માટે આસવભાવના અને સંવરભાવના, તપ મહાફલી માટે નિર્જરાભાવના અને લોકસ્વરૂપનું કિંચિત તત્ત્વ જાણવા માટે લોકસ્વરૂપભાવના આ દર્શને આ ચાર ચિત્ર પૂર્ણતા પામી. દશમ ચિત્ર સમાપ્ત. જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર. Page #3 -------------------------------------------------------------------------- _