________________
દેરાસર અને કાળાં કપડાં
(આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ)
અમારે અહીં દેરાસરમાં, પ્રવેશદ્વાર પર, અવાર નવાર કાળા કપડાં પહેરીને પ્રવેશ કરવો નહીં આવી સૂચના લખી હોય છે. કાળી ટોપી કે કાળો કમરપટ્ટો કે કાળો ધડિયાળ-પટ્ટો પહેર્યો હોય, તે પણ ઉતારવામાં આવે છે. આ નિયમ પાછળનું કારણ જાણવું છે. અમને તો એવો ખયાલ હતો કે ગમે તે વર્ણનાં શુદ્ધ અને પવિત્રવસ્ત્રો પહેરી જઈ શકાય. કાળા વસ્ત્રથી થતી આશાતનાનાં કારણ સમજવાની ઈચ્છા થઈ છે.
ઉત્તર - તમારો પ્રશ્ન/જિજ્ઞાસા ખૂબ જ વિચારપ્રેરક છે. પ્રભુના શાસનમાં કશું નિરાધાર કે નિષ્કારણ નથી હોતું. હાં, દરેક વિધાનની પાછળના હેતુનું આપણને જ્ઞાન ન હોય તેવું બને. એ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. હાં, તમે જે સૂચના બોર્ડ જોયું હશે તે પ્રભુજીના મહોત્સવ પ્રસંગમાં જ જોયું હશે. પ્રભુજીની પ્રાણ પ્રતિષ્ઠા (અંજનશલાકા) મોત્સવ કે પ્રભુજીનો ગાદીનશીન (પ્રતિષ્ઠા) મહોત્સવ અથવા શ્રી શાંતિસ્નાત્રયા અષ્ટોતરી સ્નાત્ર જેવા શુભમંગળ પ્રસંગે આ સૂચન જોયું હશે. આવા મહોત્સવના આરંભથી જ એટલે કે કુંભ સ્થાપના થાય ત્યારથી આ સૂચન કરવામાં આવે છે.
વાત એમ છે કે પરમાત્મતત્વનું આરોપણ કાર્ય કે પરમાત્માને ગાદીએ બિરાજમાન કરવાનું કાર્ય એ અનેક જીવોના કલ્યાણમાં હેતુ બનનારું કાર્ય છે. કલ્યાણમાં ઉલ્લાસ એ પ્રાણ છે. પ્રભુ સ્વયં ઉલ્લાસમય છે તેથી આવા કાર્યનો પ્રારંભ થાય ત્યારથી, ઉલ્લાસ-ઉત્સાહનો વિરોધીભાવ શોક છે, તેની છાયા સુધ્ધાં આ પ્રસંગ પર ન પડવી જોઈએ, માત્ર ઉલ્લાસ... ઉલ્લાસ જ વાતાવરણમાં તરવરતો જોઈએ, તો જ એ પ્રસંગ સક્લ આત્માના અભ્યદયનું નિમિત્ત બની શકે.
આપણાં સંસારનો એક વણલખ્યો નિયમ છે કે કોઇ વ્યક્તિના સ્વજન ગુજરી ગયા હોય તો તેનાથી થયેલા શોકન્દર્યને કારણે સારાં વસ્ત્રો પહેરવા ન ગમે, અને શોકદર્શક તથા ઉત્તમ ન કહેવાય તેવા વર્ણનાં - શ્યામ વર્ણનાં વસ્ત્રો પહેરવામાં આવે. તેવાં વસ્ત્રો પહેરીને આવનારના મનમાં શોકની કલિમા સ્વાભાવિક જ છવાયેલી હોય અને એની અસર શોકાયુક્ત વાતાવરણ પર પણ થાય.
ઉલ્લાસમય વાતાવરણમાં શોકની, જરા જેટલી પણ છાંટ કે છાયા પડે તે અનુચિત છે માટે એવી શ્વકતને, એવા પ્રસંગે, એવા સ્થાને, એ દિવસોમાં પ્રવેશ આપવામાં આવતો નથી. માટે નિયમ બન્યો કે કાળાં વસ્ત્રો પહેરેલી વ્યકિતએ આવવું નહીં. એ બાબતમાં કાળી ટોપી કે કાળા વર્ણની અન્ય વસ્તુ અથવા અન્ય વસ્તુ સહિતની વ્યક્તિની અહીં વાત નથી. પરંતુ આ તો જન સમૂહ છે. તેને આ બધી ઝીણી વિગતો કોણ સમજાવે? તેથી કાળી વસ્તુ માત્ર, પછી તે વસ્ત્ર કે બંડી હોય, કમળી હોય, ટોપી હોય, પર્સ કે પટ્ટો હોય - નહીં એટલે નહીં.
આમ મૂળ વાત છે. એના અનુસંધાનમાં એ જાણવું જરૂરી છે કે એવા મહા-મંગળ પ્રસંગોમાં શ્રી નેમિનાથ પ્રભુની જાન, પશુનો વાડો, રાજીમતીનું વિરહદર્દ દર્શાવતાં ચિત્રો, રચના કે રંગોળી, શ્રી મહાવીર પ્રભુના અને પાર્શ્વનાથ ભગવાનના જીવનના ઉપસર્ગો, પરિષદો વર્ણવતાં ચિત્રો-રચના-રંગોળી કે ગીતોનો, આવા ઉત્સવના દિવસોમાં સર્વચા નિષેધ ફરમાવવામાં આવે છે. એવું બધું જોનારના મનમાં એવું થવા વકી છે કે અરર... પ્રભુને આવા ઉપસર્ગો સહવા પડયા?મારા પ્રભુજીને આવા માણસે દુ:ખ આપ્યું? ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ દોષ જાગે.માટે આવો અશુભ ભાવ પણ ચિત્તમાં ન ફરકે, તે માટે એવી બાબતોનો નિષેધ કરવામાં આવે છે.