________________
તા. ૧૩-૫-૩૪
શ્રી સિદ્ધચક
૩૬૩
નહિ માનનારા લોકો શાસ્ત્રાનુસાર સ્થાપનાને સત્ય માનનારાઓની સત્ય માન્યતા તોડી પાડવા તેમને આરાધવા લાયક માનેલા જિનેશ્વર ભગવાનની પાષાણ વિગેરે શબ્દ બોલી અવજ્ઞા કરે અને તેના પૂજકોને પાષાણપૂજક વિગેરે શબ્દોથી નવાજે તેમાં સત્ય માન્યતાવાળાએ દુઃખ ન લગાડતાં સંતોષ માનવો અને પોતે ભગવાનની પ્રતિમાને નિર્જીવપણાને નામે ન માનતાં પોતાના જ આચાર્યાદિકોના મડદાનો સત્કાર સન્માન કરી માનવા છતાં સત્ય પક્ષવાળા તેઓને મડદાના કે હાડપિંજરના પૂજારી ન કહે એમ બને જ નહિ. વળી જે કેટલાકો ભગવાનની પ્રતિમાને સત્ય અને દર્શનીય માન્યા છતાં ભક્તિલાયક માનતા નથી તેમજ તે પૂજામાં થતી સ્વરૂપહિંસાને પણ અનુબંધ હિંસા જેવી ગણાવી હિંસાનો ભય આગળ કરે છે તેઓએ પણ પોતાના આચાર્યાદિકના નિર્જીવ કલેવરની ભક્તિમાં હિંસાનો બાહુ કેમ આગળ કર્યો નથી? અને ભગવાનની પ્રતિમાની ભક્તિ હિંસાના નામે પોતાના મતમાંથી દૂર કર્યાને કંઈ સદીઓ થઈ ગઈ છતાં આચાર્યાદિકને અંગે થતી હિંસા કેમ દૂર થવા પામી નથી ? બારીક દૃષ્ટિથી જોનારો સ્પષ્ટ રીતે કહી શકશે કે ભગવાનની પ્રતિમાના વેરધારાએ તેઓ ભગવાનના જ વૈરી બની રહ્યા છે પણ જો આચાર્યાદિકના કલેવરનો પણ થતો સત્કાર રોકવામાં આવે તો પોતાના કલેવરની શી દશા થાય એ ભયથી તેઓએ મૃતઆચાર્યાદિકના કલેવરનો સત્કાર અને દહનક્રિયા તેઓના મતે હિંસામય છતાં પોતાના ઉપાશ્રયે તથા નજરે થવા દીધી છે થવા દે છે અને થવા દેવાને લાયક ગણી છે. જો એમ ન હોત તો નિર્જીવપણા અને અચેતનને નામે ભગવાનની પ્રતિમાની પૂજા ભક્તિનો જે નિષેધ સેંકડો વર્ષોથી ચલાવેલો છે તે ચાલતા નહિ અને નિર્જીવ કલેવરની ભક્તિ સત્કાર વિગેરે જે મૂળથી તેમના મતમાં પ્રવર્તેલાં છે તે પ્રવર્તિ રહેત નહિ. વાસ્તવિક રીતે જેમ પ્રતિમા નહિ માનનારાની સભામાં સેંકડો ટીલાવાળા હોય, આડકરવાવાળા હોય, સિંદૂરનો ચાંલ્લો કરવાવાળા હોય, તો પણ તે ઉપદેશકના હૃદયમાં તેવી અગ્નિ પ્રજવલિત થતી નથી કે જેવી અગ્નિ જિનેશ્વર મહારાજની પૂજાના ચિહ્ન તરીકે કરાતા કેસરના તિલકને દેખીને થાય છે. અર્થાત્ અન્ય મતની મૂર્તિના પૂજકપણાને અંગે જેટલી અરુચિ આ લોકોને નથી તેટલી બબ્બે તેથી પણ ઘણે દરજે વધેલી અરુચિ ભગવાન જિનેશ્વર ભગવાનની પ્રતિમાના પૂજકોને અંગે છે. તેવીજ રીતે પોતાના આચાર્યાદિકના કલેવરને અંગે નિર્જીવપણું છતાં પણ ભક્તિધારાએ કરાતો આરંભ આ લોકોથી એક અંશે પણ નિષેધાયેલો, રોકાયેલો કે વગોવાયેલો નથી, પણ ભગવાન જિનેશ્વરની મૂર્તિને અંગે કરાતી ભક્તિમાં નિર્જીવપણું સારંભપણું વિગેરે જણાવી નિષેધવામાં, રોકવામાં કે વગોવવામાં ખામી રહેતી નથી. તત્ત્વથી તેઓએ કાં તો ભગવાન જિનેશ્વરની મૂર્તિ નિર્જીવ છતાં પણ શાંતતા આદિના સદ્ભાવને અંગે માનવી જોઇએ, કાં તો જિનેશ્વરની મૂર્તિની પૂજાના નિષેધાદિની પેઠે આચાર્યાદિના કલેવરના