________________
વિભાવના અને વિશેષોક્તિ અલંકારમાં કાર્યાશનું બાધ્યત્વ
પારુલ માંકડ
વિભાવના અને વિશેષોક્તિ બન્ને વિરોધમૂલક અલંકારો છે અને પરસ્પર વિરુદ્ધ સ્વભાવ ધરાવનારા છે. વિભાવનામાં કારણના અભાવમાં કાર્યની ઉત્પત્તિનું નિરૂપણ થાય છે. અને વિશેષોક્તિમાં કારણોનો સદ્ભાવ રહેવા છતાં કાર્યનો અભાવ નિરૂપવામાં આવે છે. વિરોધાલંકારમાં અન્યોન્યબાધકત્વ હોય છે. કારણ કે પદાર્થો તુલ્યબલ હોય છે જ્યારે વિભાવના અને વિશેષોક્તિમાં અનુક્રમે કારણાભાવથી કાર્યસભાવનો અને કારણ સદ્ભાવથી કાર્યાભાવનો બાધ થાય છે. ટૂંકમાં બન્નેમાં કાર્યાશનો બાધ થતો જણાય છે.
ભામહાદિ પૂર્વાચાર્યોમાં બાધ્યબાધક સંબંધની ચર્ચા પ્રાપ્ત થતી નથી એટલું જ નહીં પણ ઉદ્ભટ સિવાયના આચાર્યોમાં વિશેષોક્તિ અલંકારનું સ્વરૂપ પણ સ્પષ્ટ નથી. વિભાવના અને વિશેષોક્તિના સ્વરૂપમાં કારણ - કાર્યના સંબંધનો શાસ્ત્રીય અને મહત્ત્વનો પરામર્શ વ્યવસ્થિત રીતે કદાચ સર્વ પ્રથમ રુઢકે જ કર્યો છે. જયરથના ઉદ્ધરણને આધારે કહી શકાય કે આ નવીન વિગતને સૌ પ્રથમ પ્રકાશમાં આણવાનું શ્રેય રૂધ્યકના પિતા રાજાનક તિલકને જાય છે; જેના વિષે તેમના કોઈક લુપ્તગ્રંથમાં ચર્ચા કરવામાં આવી હશે.'
રયકે વિભાવનાનું લક્ષણ આપ્યા પછી વૃત્તિમાં વિરોધ અલંકારથી વિભાવનાનો ભેદ બતાવતાં વિભાવનામાં થતા કાર્યના બાધ્યત્વનો નિર્દેશ કરતાં જણાવ્યું છે કે –
कारणाभावेन चोपक्रान्तत्वाद् बलवता कार्यमेव बाध्यमानत्वेन प्रतीयते, न तु तेन कारणाभाव इत्यन्योन्यबाधकत्वानुप्राणिताद् विरोधालङ्काराद् भेदः । (अलङ्कारसर्वस्व, सू.४२ ૩૫રની વૃત્તિ)
અહીં કથનનો આરંભ કારણાભાવના પ્રતિપાદનથી થાય છે. આથી તે (= કારણાભાવ) જ બળવાન હોય છે. પરિણામે તેના દ્વારા કાર્ય જ બાધિત થાય છે, નહીં કે કાર્યથી કારણાભાવ બાધિત થાય છે. આથી અન્યોન્ય બાધકત્વથી અનુપ્રાણિત થતા વિરોધાલંકારથી આનો (= વિભાવનાનો) સ્પષ્ટ ભેદ છે.