________________
સંસ્કૃત સાહિત્યનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ
ચંદ્રકાન્ત શેઠ
યુરોપીય સાહિત્યમાં જે સ્થાન ગ્રીક તથા લૅટિનનું છે તે સ્થાન ભારતીય સાહિત્યમાં સંસ્કૃતનું લેખી શકાય. સંસ્કૃત આપણી સાંસ્કૃતિક અભિવ્યક્તિની ભાષા છે – આપણી સંસ્કૃતિભાષા છે. એ ભાષાનો ગુજરાતી ભાષા પર પ્રભાવ ન હોત તો જ નવાઈ લાગત. એક બાજુ વેદકાલીન કથ્ય પ્રાકૃતોમાંથી પ્રાદેશિક પ્રાકૃતો, તેમાંથી પ્રાદેશિક અપભ્રંશો અને તેમાંથી આજની આપણી પ્રાદેશિક ભાષાઓ ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી વગેરેનો વિકાસ થયો તો બીજી બાજુએ સમાંતરે વેદકાલીન સંસ્કૃતમાંથી, શિષ્યકાલીન સંસ્કૃતનો ક્રમિક રીતે વિકાસ થતો રહ્યો. પ્રાદેશિક ભાષાઓ અને સંસ્કૃતનો વિકાસ એકબીજાથી સાવ અલગ – નિરપેક્ષ રહીને થયો નથી. બંને વિકાસધારાઓ વચ્ચે આદાનપ્રદાન ચાલતાં જ રહ્યાં છે અને તેથી સરવાળે બેયને લાભ જ થયો છે.
ગુજરાતી ભાષાનો સંસ્કૃત ભાષા વિના આજે જેવો જોઈએ છીએ તેવો વિકાસ થયો હોત ખરો? સંસ્કૃત ભાષાના કેટલા બધા શબ્દો ગુજરાતી ભાષામાં સીધેસીધા તત્સમ રૂપે અથવા રૂપાંતર પામીને – તદ્દભવ રૂપે આવેલા છે ! આપણાં અધ્યાત્મશાસ્ત્રો તેમ જ ધર્મશાસ્ત્રોમાં તો સંસ્કૃત ભાષાનીતિ અને ભાષાભંડોળનો સીધો પ્રભાવ જોઈ શકાય છે. યજ્ઞયાગાદિનાં વિધિવિધાનો, ધાર્મિક કર્મકાંડ વગેરેમાં સંસ્કૃતનો શબ્દકોશ સારી પેઠે ઉપયોગમાં લેવાયો છે. તબીબીશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, માનસશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, સ્થાપત્યશાસ્ત્ર જેવાં અનેક શાસ્ત્રો એવાં છે, જેમની પરિભાષાઓ તૈયાર કરવામાં સંસ્કૃત ભાષા મહત્ત્વની મદદ કરે છે. ગણિત, વિજ્ઞાનથી માંડીને આપણી અનેક વિદ્યાશાખાઓનો પારિભાષિક શબ્દભંડોળ તૈયાર કરવામાં સંસ્કૃતની સતત અને મોટી સહાય મળતી જ રહી છે.
સંસ્કૃત ભાષાએ જો વ્યાકરણ, કોશ વગેરેની બાબતમાં મદદ કરી તો તેનાં દર્શનશાસ્ત્રો, ધર્મશાસ્ત્રો તેમ જ કાવ્યશાસ્ત્રોએ આપણી શાસ્ત્રીય વિચારપરંપરાને ખીલવવામાં, આપણી શાસ્ત્રબુદ્ધિને વિકસાવવામાં અને એ રીતે અનેકાનેક શાસ્ત્રગત વિભાવનાઓને સ્પષ્ટ કરવામાં પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે ફાળો આપ્યો છે. વેદ, બૌદ્ધ તેમ જ જૈનધર્મની વિચારપરંપરાઓ; વૈષ્ણવ તેમ જ શૈવ-શાક્ત સંપ્રદાયની શાખાપ્રશાખાઓ, કાવ્યશાસ્ત્રીય અને નાટ્યશાસ્ત્રીય વિચારધારાઓ તથા ન્યાયપરંપરા, યોગપરંપરા વગેરેમાં ભાસ્ત્રીય ને તેમાંય ખાસ તો સંસ્કૃત સાહિત્યના ગ્રંથરત્નોનો મોટો પ્રભાવ રહ્યો છે. ગુજરાતીમાં અભેદમાર્ગ – અદ્વૈતસિદ્ધાંતની જે કવિતા છે, સાહિત્ય છે તેમાં શંકરમત – શંકરાચાર્યના સાહિત્યનું સ્પષ્ટ પ્રભાવ-પ્રવર્તન જોઈ શકાશે. અખો હોય કે મણિલાલ નભુભાઈ દ્વિવેદી-એમની પર સંસ્કૃતમાંના