________________
104
કાન્તિભાઈ બી. શાહ
SAMBODHI
નથી ?' ત્યારે જૂના સહાધ્યાયીઓએ એમને કેટલા આત્મીય ગણ્યા હતા એનો ખ્યાલ આવે. પરંતુ નગીનભાઈ મેળાવડાઓ, સંમેલનો, સમારોહો, સેમિનારોથી હંમેશાં દૂર રહ્યા. બાકી તો વિદ્વાનો માટે સભા-સમુદાય સમક્ષ પેદા થવાની આસક્તિ ત્યજવાનું ઘણું અઘરું હોય છે.
આમ, નગીનભાઈને મેં અંતર્મુખી, એકાંતપ્રિય, નિઃસ્પૃહ, નિખાલસ, ઋજુ, પ્રેમાળ, સત્ય સ્પષ્ટભાષી વ્યક્તિત્વ ધરાવતા સહાધ્યાયી સખા તરીકે જોયા-જાણ્યા છે. જેમ સાધુમહાત્માઓમાં અવધૂત કોટિના મહાત્માનું એક નિરાળું જ વ્યક્તિત્વ હોય છે તેમ અમારે માટે એ અવધૂત સમા હતા. જીભે જેટલું બોલવાજોગ હોય એટલું જ બોલવું, બાકીનું સર્વ ગોપવવું, એવી વચનગુપ્તિ એમનો વિશેષ હતો. ભારતીય તત્ત્વજ્ઞાન ક્ષેત્રે તો એક વિશેષજ્ઞની ખોટ પડી જ છે, પણ એમના સહાધ્યાયી સાથી તરીકે અમો એક મિત્રતારક પણ ગુમાવ્યો છે. એમનો આત્મા જ્યાં પણ ગયો હશે ત્યાં ઊંચી ગતિને પામ્યો હશે એમાં મને શંકા નથી.