________________
Vol. XXXVII, 2014 . ખરી ખોટ !
99 હોય. અહીં વિવક્ષિત છે તે “પ્રધાનમ્ વિષયમ્ અધિકૃત્ય” એટલે કે કોઈ એક વિષયને નિશ્ચિત કરીને (દા.ત. પ્રારબ્ધ વડું કે પુરુષાર્થ ?) બે વચ્ચે દષ્ટાન્ત આપીને પોતાના અભિપ્રેત મતનું સ્થાપન થાય અને પ્રતિપક્ષના મતનું ખંડન થાય તે પ્રકારની કથા તે પ્રવલ્લિકા'. અહીં સ્પષ્ટ થશે કે મૂળ ગ્રન્થનાં સૂત્ર અને એનાં ભાષાન્તર = અર્થદર્શન - D-Codingમાં ઘણી સમસ્યાઓ છે. ભારતીય દર્શનો વિશે પશ્ચિમના વિદ્વાનોએ સૂત્રોના જે અર્થ કર્યા અને સિદ્ધાંતની તારવણી કરી, એમાં અનેક સ્થળે આવી સમસ્યા છે. આપણા ભારતીય વિદ્વાનો પણ સંસ્કૃત-પ્રાકૃતાદિ જાણતા નથી, મૂળ ગ્રન્થો અને તેનાં સૂત્રોનું પરિશીલન કરી શકતા નથી, આથી જે કંઈ લખાયું, મનાયું એ સ્વીકારીને ચાલવામાં આવે છે.
દલસુખભાઈ અને નગીનભાઈ સંદર્ભે હું જે લખું છું એ મારી પ્રત્યક્ષ જાણકારીને આધારે જ દર્શાવું છું. ઈ. ૧૯૬૪ થી ૧૯૭૪ આખો દશક અને તે પછી ૧૯૮૨થી ૧૯૯૬ના ગાળામાં મને મારા વિદ્યાગુરુ ડૉ.હ.યૂ.ભાયાણીના કારણે સૂત્રાધારિત ચર્ચા, મતમતાંતર, ઊહાપોહનો પ્રત્યક્ષરૂપમાં પરિચય, આગલા દશકામાં દલસુખભાઈનો વિશેષ. હું ગુજરાત કૉલેજની મારી ફરજ બજાવી ભાષાભવનમાં આવું, ભાયાણી સાહેબ સાથે ક્યારેક સીધા એમના નિવાસસ્થાને જવાને બદલે એલડી માં જવાનું હોય, કેટલાંક દુર્લભ ગ્રન્થો, કેટલોગ, હસ્તપ્રત જોવા-ઉકેલવાના હોય. એલ.ડી. અને ભો.જે. અમારા નિત્ય-યાત્રાધામ ! બધી ફુરસદ, મોટા ભાગના વેકેશન, રજા એલ.ડી.માં કામ કરવા જતાં પહેલાં કે કામ પૂર્ણ કરી પરત ફરતાં દલસુખભાઈ, નગીનભાઈ અને ભાયાણીસાહેબની રસિક ચર્ચા સાંભળવાનો, મૂક ને મુગ્ધ પ્રેક્ષક બનવાનો લાભ મળે મને. ચર્ચામાં નગીનભાઈ-એ સમયના નવયુવાન નગીનભાઈ-પૂર્ણ વિનયી, નમ્ર, માલવણિયા સાહેબ અને ભાયાણી સાહેબ બન્ને એમને મન ગુરુવત, પરંતુ ક્યારેક સંમત ન હોય ત્યારે પૂરા વિનયથી મુદ્દો મૂકે, સંબંધિત સૂત્ર મૂકે, ખૂલ્લી ચર્ચા માટે ! માલવણિયા સાહેબ તો ભાયાણી સાહેબના નિવાસે આવી ચડે, ક્યારેક બહેનને મળવા આવ્યા હોય તો ઋષભ સોસાયટીના મારા નિવાસે હાઉકલો પણ કરી જાય. ભાયાણી મજાકિયા, મસ્તરંગી હસી ખખડે પરંતુ નગીનભાઈ માફકસર જ હસે ને બોલે ! પરંતુ બધે જ સંમત થાય જ, એવું ન બને. જૂઠું લાગતું હોય તો પણ વિરોધ કે વિવાદના રૂપથી મુક્ત રહીને પોતે જાણતા હોય તે પૂરા સંદર્ભ અને સૂત્ર સાથે મૂકે. મુખ્ય ચર્ચાના કેન્દ્રમાં દર્શનશાસ્ત્રનો મુદ્દો હોય તો મને ન સમજાય પરંતુ સંદર્ભમાં આગમ-નિયુક્તિ કે જ્ઞાતાધર્મની કથા હોય, બૌદ્ધ જાતક કથા હોય એ માંહેનું કેટલુંક પકડાય. પરંતુ ત્યારે જ મને નગીનભાઈના આ વલણથી સમજાયુ કે નમ્રતા અને શિષ્યભાવ સત્યને, સમજવામાં, એક લઘુતાગ્રન્થિ કે કૃતક વિનમ્રતાનો ભોગ બનવા ન જોઈએ. ગુરુ કે ગુરુવર્ વડિલ સાથે પણ પૂરી જાણકારી અને તેના સંદર્ભ આપીને તથ્યને ક્ષોભ વગર મૂકી શકાય.
મારી કારકિર્દીના ૧૯૮૨ પછીના ગાળામાં ડૉ.ભાયાણીનો સંપર્ક સાતત્યપૂર્ણ રહ્યો, એલ.ડી.ની મુલાકાતો પણ થતી રહી, પરંતુ પછી દલસુખભાઈ ન રહ્યા અને નગીનભાઈનાં કાર્યોને નજીકથી જાણવાનો યોગ સંસ્કૃત સાહિત્ય અકાદમીના મહામાત્ર હોવાને કારણે મળ્યો. જો કે એમનું સન્માન મારી નિવૃત્તિ પછી થયું.
આમ, નગીનભાઈની મારે મન વિશેષતા એ છે કે એ સંસ્કૃત અને પ્રાકૃત બન્ને ભાષાઓ, એની