________________
vol. XXX, 2006 અમદાવાદ મધ્યે સં. ૧૭૦૨માં થયેલ મકાનના હક્ક અંગેનું ખતપત્ર 221 શરૂ થતું વર્ષ અને વિક્રમ સંવત ૧૭૦૨ અને શાલિવાહન સંવત ૧૫૬૭નો ઉલ્લેખ છે જે સમયે અમદાવાદમાં આ ખતપત્ર નોંધાયું. ભાદરવા વદ ૫ વંચાય છે પણ છિદ્ર હોવાથી વાર વાંચી શકાયો નથી આમ છતાં “An Indian Ephimeris' refer કરતાં વિ. સં. ૧૭૦૨ ભાદરવા વદ ૫ ના રોજ ઈ. સ. ૧૬૪૫, ૩૧ ઑગસ્ટ અને રવિવાર આવતો હોવાથી ત્યાં ‘વ’ શબ્દ કૌંસમાં મૂક્યો છે. બીજી પંક્તિમાં આ ખતપત્ર સંયુક્ત કુટુંબની માલિકીના ઘરની વહેંચણી કરી તે મકાનનો હકદાવો નક્કી કરવાનો છે તે જણાવ્યું છે.
લીટી ૩થી ૯ સુધીમાં તે સમયના વહીવટની જાણકારી છે. તે સમયે ગુર્જરાધીશ પાતશાહ અબૂઅલ મુજફર સાહબદીન મહિમ્મદ સાહિબ કિરાણસોની સાહજયાંહાન પતશાહ ગાજી કાશ્મીરમાં રાજ્ય કરતા હતા. આ બિરુદ મુઘલ બાદશાહ શાહજહાંનું છે અર્થાત્ શાહજહાંના રાજય અમલ દરમ્યાન આ ખતપત્ર નોંધાયું છે. અમદાવાદમાં ત્યારે શાહજહાંનો પુત્ર (ઔરંગઝેબ) ઉરંગજેહેબ રાજય કરતો હતો. (નિરાતે અહમદીની નોંધ પ્રમાણે) સં. ૧૭૦૧થી સં. ૧૭૦૩ પર્યત શાહજહાંની કારકિર્દી દરમ્યાન ઔરંગઝેબ ગુજરાતનો સૂબો હતો, તેથી આ ખતપત્રના ખરાપણાની ખાતરી થાય છે. તે સમયના અમદાવાદના અન્ય વહીવટી અધિકારીઓનાં નામ અહીં સાંપડે છે. નવાબ ઇસલામખાન, પો(ફો)જદાર તાહીરમિયાં, દીવાનૂ અધિકારી ફૂકરદી મિયાં, પાતશાહી દીવાનમીયૉ માઇજરમુલિક, બક્ષી કામદોન્નમિયો, કાદી મીર મોહમ્મદ મીરક, અદાલતી મિયાઁ અહિમ્મદ, દારોગો મિયૉ મુકીમ, ચુતરિ મિયાં સાહાવેગ, નેવ મિયાં કાશમનાં નામો સાંપડે છે. આ સમયે રૂઢિ પ્રમાણે ચાલતા આવેલા કરવેરા મંડપિકા અને ચોતરાના વેરા માફ છે, તેની વિગત ૯ અને ૧૦મી લીટીમાં છે.
અમદાવાદ શહેરમાં હવેલીમાં રાઅિપુર (રાયપુર) વિસ્તારની પોળ સૂત્રધારશાલા (સુથારવાડો કે સલાટવાડો?)માં આવેલા એક ઘરની વહેંચણી કરવામાં આવી છે તેની માહિતી લીટી ૧૦ તથા ૧૪મા આપવામાં આવી છે.
લીટી ૧રથી ર૬માં આ ઘરના અસલ માલિક વિશેની વાત જોતાં માલૂમ પડે છે કે કણબી કોમના લેઉઆ પટેલ મેઘાના બે ઘર હતા, તેનો વારસદાર તેનો પુત્ર વાસણ અને તેની પત્ની લકી (લક્ષ્મી) હતા. વાસણને બે દીકરા નામે લાલજી (સ્ત્રી હરષાઈ) અને વીરા હતા. લાલજીને એક દીકરો નામે ભાણજી જે વીરાનો ભત્રીજો થાય. કુટુંબમાં અનુક્રમે વાસણ અને લાલજી, લાલજીનું મૃત્યુ થયા બાદ ઘરમાં માતા લકીબાઈ, વીરા, લાલજીની સ્ત્રી હરષાઈ તથા તેનો દીકરો ભાણજી એમ ચારે જણાં સાથે રહેતા હતા. સં. ૧૭૦૨માં ઘર સંબંધી તથા ઘરનાં વાસણ કે રાચરચીલા સંબંધી માંહો માંહિ વિવાદ થતાં મેઘાના બે ઘર આ ચાર જણ વચ્ચે વહેંચવા (પટેલ વીરાના લગ્ન થયા લાગતા નથી કારણ તેની ભાર્યાનું નામ નથી અને તે માતા લછી સાથે રહેતો બતાવ્યો છે.) પાંચ મુનસફ નીમ્યા છે. તેઓનાં નામ છે : ૧ સોની ભવાનજી સંઘ, ર પટેલ આંબા ગોપાલ આસપુરી, ૩ ઠાર મેઘજી સંઘજી ૪ ઠાર નારાયણ કૃષ્ણ આસપુરે ૫. ભ(ઠા) વાસદેવ ભીમ આસપુરે આ પાંચે જણાએ પટેલ વાસણના વારસદારોને પાસે બેસાડી, સમજાવ્યા અને વિવાદ કરતાં અટકાવ્યા.