SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગસ્તોત્ર-અષ્ટમપ્રકાશટીકા સંપા. જિતેન્દ્ર બી. શાહ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત વીતરાગસ્તોત્ર સંસ્કૃત ભક્તિ કાવ્ય છે. સરળ, પ્રાસાદિક શૈલીમાં રચાયેલ આ સંસ્કૃત ભાષામાં છંદોબદ્ધ કાવ્યમાં વીતરાગ પરમાત્માના ગુણોની સ્તુતિ કરવામાં આવી છે. જૈન ધર્મમાં સ્તુત્યાત્મક કાવ્યો-સ્તોત્ર રચવાની પરંપરા પ્રાચીન છે. આગમિકકાળમાં પ્રાકૃત ભાષામાં અનેક સ્તોત્રો રચાયાં છે. જેમાં મોટા ભાગે પરમાત્માના ગુણોની સ્તુતિ છે ત્યારબાદ સંસ્કૃત ભાષામાં પણ સ્તોત્રો રચાયાં છે. તેમાં ભક્તામર સ્તોત્ર અનુપમ છે. આ ઉપરાંત દાર્શનિક સ્તોત્રો પણ રચાયાં છે. જેમાં પરમાત્માની સ્તુતિ દાર્શનિક સિદ્ધાન્તોની તુલનાને આધારે કરવામાં આવી છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે પણ અન્યયોગવ્યવચ્છેદિકા અને અયોગવ્યવચ્છેદિકા નામક બે દ્વાત્રિંશિકાઓની રચના કરી છે. જેમાં દાર્શનિક સિદ્ધાન્તોની ચર્ચા કરવામાં આવી છે. વીતરાગસ્તોત્રમાં પરમાત્માના ગુણોની સ્તુતિ ઉપરાંત દાર્શનિક સિદ્ધાન્તોની તુલના દ્વારા પરમાત્માની સ્તુતિ કરવામાં આવી છે. અષ્ટમ પ્રકાશમાં અનેકાન્તવાદની ચર્ચા કરવામાં આવી છે. અન્ય એકાન્તવાદી દર્શનો સત્ ને એકાન્તે નિત્ય અથવા એકાન્તે અનિત્ય માને છે. તેઓના મતમાં અનેક દોષોની સંભાવના છે તેની ચર્ચા આ પ્રકાશમાં કરવામાં આવી છે. અનેકાન્તવાદ બધા દોષોથી રહિત અને સંપૂર્ણ છે તેમ સિદ્ધ ર્યું છે. આ ૧૨ શ્લોકોની લઘુકૃતિમાં અનેકાન્તવાદનું ખૂબ જ સુંદર રીતે મંડન કરવામાં આવ્યું છે. વીતરાગસ્તોત્રની એક સંસ્કૃત ટીકા પ્રકાશિત થઈ છે. અષ્ટમ પ્રકાશ ઉપર સ્યાદ્વાદરહસ્ય નામક ટીકા ઉપા. યશોવિજયજી એ લખી છે. તે ખૂબ જ વિસ્તૃત અને નયન્યાય શૈલીની હોવાથી બધાને સુગમ નથી. અહીં પ્રકાશિત થઈ રહેલ કૃતિ સંસ્કૃતમાં સરળ ભાષા અને રસાળ શૈલીમાં લખાયેલ કૃતિ છે. આ ગ્રંથની એક નકલ કોબા સ્થિત મહાવીર જૈન આરાધના કેન્દ્રના શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરમાં ૧૦૪૦૬/૨ ક્રમે એક ન્યાયગ્રંથના નામે નોંધાયેલ છે. કૃતિ ૧૦ પાનાની છે. મધ્યકુલ્લિકાવાળી લગભગ ૧૬મી સદીની આ કૃતિની આદિમાં કે અંતમાં કર્તાના નામનો ઉલ્લેખ મળતો નથી. પ્રથમ પાનામાં ૧૬ લીટીઓ છે. બાકી બધા જ પેજ ઉપર ૧૫ લીટીઓમાં લખાણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથની અન્ય નકલ ઉપલબ્ધ થઈ શકી નથી. પરંતુ વીતરાગ સ્તોત્રની પ્રભાનંદસૂરિકૃત પ્રકાશિત ટીકા સાથે તુલના કરતાં આ કૃતિનું સામ્ય જોવા મળ્યું છે. તેથી આ કૃતિના કર્તા પરમાનંદસૂરિ હોવાની સંભાવના છે. પ્રકાશિત કૃતિ સાથે તુલના કરતાં જણાવેલ પાઠાંતર પ્રસ્તુત કૃતિમાં મૂકવામાં આવ્યાં છે. કૃતિની ભાષા સરળ અને સુગમ હોવાથી અનેકાન્તવાદ જેવા ગંભીર વિષય અને જાણવા માટે આ એક ઉત્તમ કૃતિ છે. અનેકાન્તવાદના અભ્યાસુઓને આ કૃતિ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520778
Book TitleSambodhi 2005 Vol 28
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2005
Total Pages188
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy