________________
અણગારનાં અજવાળા ]
[ ૪૭ શિક્ષણ અને સંસ્કાર ? તેઓ શિક્ષણ માટે કોઈ પાઠશાળામાં ગયા નહોતા પરંતુ પ્રકૃતિની ગોદમાં જ તેમણે શિક્ષણ લીધું હતું. દરેક સ્થાન એમના માટે પાઠશાળા હતું અને દરેક ક્ષણ તેમના માટે અધ્યયનકાળ હતી. મહાપુરુષને માટે સંસાર એક ખુલ્લું પુસ્તક છે. દરેક ઘટના, દરેક પરિવર્તન, દરેક સ્પંદન એમના માટે નવું શિક્ષણ લઈને જ આવે છે. તેમ બાળક ધાસીલાલે પણ પ્રકૃતિની પાઠશાળામાં જ અણમોલ શિક્ષણ પ્રાપ્ત કર્યું. સહિષ્ણુતા, ઉત્સાહ, અનાસક્તિ, સંતોષ, ગુણગ્રાહકતા, નિર્ભયતા, નિષ્કપટતા, સમદૃષ્ટિ અને સ્વાવલંબન આ બધા જ ગુણો તેમને જાણે કે પ્રકૃતિના સાંનિધ્યમાંથી જ લાવ્યા હતા! પ્રકૃતિ-દેવીએ પણ આ વ્યક્તિને પોતાની પાઠશાળાનો સહુથી યોગ્ય વિદ્યાર્થી માન્યો, તેથી વખતોવખત આ મહાન સંતના નિર્માણ માટે પોતાનું યોગદાન આપ્યું. તેમનામાં રૂપ અને બુદ્ધિનો સમન્વય હોવાથી ગામલોકો તેમની પ્રશંસા કરતાં, પણ બાળક ઘાસીલાલ તો વિનય, સેવા અને મધુરવાણી દ્વારા નાનાં-મોટાં સૌ કોઈનાં દિલ જીતી લેતો.
મહાપુરુષો વિપત્તિને પણ ઉલ્લાસપૂર્વક અનુભવે છે કેમ કે વિપત્તિમાં જ પ્રગતિનો માર્ગ ખૂલે છે. બાળક ઘાસીલાલજીમાં પણ એક મહાપુરુષને શોભે તેવી ધીરજ અને સહનશીલતાનાં દર્શન બાલ્યાકાળથી જ થાય છે. ઘાસીલાલજી જસવંતગઢમાં એક સંબંધીને ત્યાં રહેતા હતા. તે અરસામાં આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજ સંઘસહિત ઉદેપુરથી ચાતુર્માસ પૂર્ણ કરી નજીકના ગામ તરપાલમાં આવ્યા, ત્યાં આગળ ઘાસીલાલજીનો પરિચય આચાર્યશ્રી સાથે થયો. બાળક ઘાસીલાલજી પર તેમના વ્યાખ્યાનનો અદ્ભુત પ્રભાવ પડ્યો. ત્યાગી, વૈરાગી જૈનમુનિનાં પ્રવચન સાંભળવાનો તેમને આ પ્રથમ અવસર મળ્યો હતો. જૈનમુનિના ત્યાગભાવને નીરખી ઘાસીલાલજીનું મન પણ ત્યાગી જીવન ગ્રહણ કરવા તરફ દોડવા લાગ્યું. આચાર્યશ્રી સાથે બાળક ઘાસીલાલે દીક્ષા અંગીકાર કરવાના ભાવ દર્શાવ્યા. મહારાજે તેમની દૃઢતાની ચકાસણી કરવા મુનિવ્રતોની કઠોરતાનું દિગ્દર્શન સ્પષ્ટ શબ્દોમાં તેમની સમક્ષ કરતાં કહ્યું, “વ્રતનું આચરણ ઘણું જ કઠિન અને કષ્ટદાયી હોય છે, છતાં તે કર્મરહિત થવાનો એકમાત્ર ઉપાય છે.” ઘાસીલાલજીએ તત્કાળ ઉત્તર આપ્યો