________________
ઉપર અજ્ઞાતકર્તક અવચૂરિ છે. આ ગ્રંથમાં વ્રતોના ભાંગાના આધારે પાંચ રીતે શ્રાવકોના પ્રકારો બતાવ્યા છે. તે આ પ્રમાણે- (૧) ૨ પ્રકાર, (૨) ૮ પ્રકાર, (૩) ૩૨ પ્રકાર, (૪) ૭૩૫ પ્રકાર, (૫) ૧૬,૮૦૮ પ્રકાર. આ ગ્રંથમાં શ્રાવકોના વ્રતોના ભાંગાની ષડ્રભંગી, ૨૧ ભંગી, ૯ ભંગી, ૪૯ ભંગી અને ૧૪૭ ભંગીની પાંચ ખંડદેવકુલિકાઓ અને ૬૦ દેવકુલિકાઓ બતાવી છે. પદાર્થસંગ્રહમાં આ બધા પ્રકારો અને ભાંગાઓ સ્પષ્ટ રીતે સમજાવ્યા છે. જરૂર પડે ત્યાં કોઠાઓ દ્વારા અને ગણિત કરવા દ્વારા પણ સ્પષ્ટીકરણ કર્યું છે.
શ્રીપાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં થયેલા શ્રીગાંગેયમહર્ષિએ શ્રીવીરપ્રભુ સર્વજ્ઞ છે કે નહીં ? એ જાણવા શ્રીવીરપ્રભુને પૂછેલા નરક વગેરે ગતિઓમાં એક, બે વગેરે જીવોના પ્રવેશને આશ્રયીને થનારા ભાંગાઓ ભગવતીસૂત્રના ૯મા શતકના ૩૨મા ઉદ્દેશામાં બતાવ્યા છે. પંડિત શ્રીમદવિજયજીના શિષ્યરત્ન શ્રીવિજયગણિજીએ તેમાંથી ઉદ્ધાર કરીને સંક્ષિપ્ત ભાંગાવાળા અને નષ્ટ ભાંગા - ઉદ્દિષ્ટ ભાંગાના સ્વરૂપવાળા શ્રીગાંગેયભંગ પ્રકરણની રચના કરી છે. તેમાં ૨૫ ગાથા છે. આ ગાથાઓ પ્રાકૃત ભાષામાં રચાયેલી છે. તેમની ઉપર તેમણે સુંદર અવચૂરિ પણ રચી છે. આ ગ્રંથમાં એકથી દસ સુધીના જીવો એકથી સાત સુધીની નરકોમાં કેટલી રીતે પ્રવેશી શકે ? એ બતાવ્યું છે. પદાર્થસંગ્રહમાં પાંચ વિભાગોમાં એ સમજાવ્યું છે – (૧) પહેલા એકથી સાત સુધીની નરકના અસંયોગી વગેરે ભાંગા કહ્યા છે. (૨) પછી એકથી દસ સુધીના જીવોના અસંયોગી વગેરે ભાંગા કહ્યા છે. (૩) પછી એકથી દસ સુધીના જીવો એકથી સાત સુધીની નરકોમાં કેટલી રીતે પ્રવેશી શકે ? તે ભાંગા કહ્યા છે. (૪) પછી ખોવાયેલા ભાંગાને શોધવાની રીત બતાવી છે. (૫) પછી કહેવાયેલા ભાંગાનો ક્રમાંક શોધવાની રીત બતાવી છે. આ બધા ભાંગાઓ ખૂબ જ વિશદ રીતે સમજાવ્યા છે.
આ પુસ્તકરત્નમાં પહેલા શ્રીશ્રાવકવ્રતભંગપ્રકરણના પદાર્થસંગ્રહનું સંકલન કર્યું છે. પછી શ્રીશ્રાવકવ્રતભંગપ્રકરણના મૂળગાથા અને અવચૂરિનું સંકલન કર્યું છે. પછી શ્રીગાંગેયભંગપ્રકરણના પદાર્થસંગ્રહનું