________________
૩
એક આદરણીય પ્રચાસ
મળેલા મોંઘા માનવ જીવનની સફળતામાં સમ્યજ્ઞાન અતિ અગત્યનું સ્થાન ધરાવે છે. એના દ્વારાજ મનુષ્ય હેય (ત્યાગ કરવા યોગ્ય) ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) વસ્તુને સારી રીતે સમજી હેયને છોડી ઉપાદેયને આદરી જીવનને ધન્ય બનાવી શકે છે.
આજથી લગભગ ૬૨ વર્ષ પૂર્વે પૂજ્ય અધ્યાત્મયોગી સન્મિત્ર શ્રી કપૂર વિજયજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી લલિત વિજયજી મહારાજશ્રીએ જુદા જુદા અનેક ગ્રંથો વાંચીને તેમાંથી સારભૂત વસ્તુનો સંગ્રહ કરીને 'કપૂર કાવ્ય કલ્લોલાદિ' આગમ સાર સંગ્રહ-આ નામે કુલ આઠ વિભાગ રૂપે વિશાળ કાય સંગ્રહ ગ્રંથ શ્રી કપૂર પુસ્તકાલય-સમૌ તરફથી અનેક ઉદારદિલ ગૃહસ્થોના આર્થિક સહયોગથી પ્રકાશિત કર્યો હતો.
તેમાં કર્પૂર કાવ્ય કલ્લોલ- ૧-૨-૩-૪ એમ ચારભાગનું એક પુસ્તક તથા ૫-૬-૭-૮ એમ બીજા ચારભાગનું બીજું પુસ્તક એમ બે ભાગમાં તે પ્રકાશિત કરવામાં આવેલ.
કેટલાયે જિજ્ઞાસુઓ તરફથી તેને પુનઃ પ્રકાશિત કરવાની માંગણી આવતાં ભાગ ૫-૬ના એક ભાગરૂપે પૂજ્ય શાસન સમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ શ્રીના પટ્ટધર શાસ્ત્રવિશારદ કવિરત્ન પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ શ્રી તથા સમર્થ વિદ્વાન પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજય ધર્મધુરન્થરસૂરીશ્વરજી મહારાજશ્રીની દિવ્યકૃપા તેમજ સૌમ્યમૂર્તિ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય દેવસૂરીશ્વરજી મહારાજશ્રીના શુભાશીર્વાદથી અને વિદ્વાન પૂજ્ય આચાર્ય શ્રી વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મ.શ્રી તથા પ્રવચનકાર પૂજ્ય આચાર્ય શ્રીવિજય પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી શેઠશ્રી હઠીસિંગ કેશરીસિંહ ટ્રસ્ટ-અમદાવાદના આર્થિક સહયોગથી પ્રકાશિત કરી વાચકોના કરકમલમાં મૂકતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. ભાગ ૭-૮ના સંગ્રહરૂપ બીજા ભાગનું પ્રકાશન પણ વહેલામાં વહેલી તકે કરવાની અમારી ભાવના છે.
પૂજ્ય સ્વ. મુનિરાજશ્રી લલિતવિજયજી મહારાજનું નિવેદન તથા તેમાં ઉપયોગમાં લેવામાં આવેલ પુસ્તકોના નામોની યાદી આમાં આપવામાં આવી છે. તે વાંચવાથી તેઓએ આ ગ્રંથ તૈયાર કરવામાં કરેલા ભગીરથ પ્રયાસનો ખ્યાલ આવ્યા સિવાય નહિં રહે.
જ્ઞાન પિપાસુ આત્માઓ આનો યથાયોગ્ય ઉપયોગ કરી સૌના શ્રમને સાર્થક કરે એજ અભિલાષા.
પ્રકાશક
–