________________
(૨)
ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી મહારાજ (શ્રી મૂળચંદજી મહારાજ)
વિક્રમની વીસમી સદીની શરૂઆતમાં જૈન શાસનમાં સાધુ-સાધ્વીઓની સ્થિતિ જોઇએ તેવી સંતોષકારક નહોતી. સાચા ત્યાગી, વૈરાગી, સંવેગી સાધુઓની સંખ્યા ઘણી ઘટી ગઇ હતી. શ્રીપૂજ્યો, યતિઓ વગેરેનું વર્ચસ્વ વધી ગયું હતું. ઠેર ઠેર એમની ગાદીઓ સ્થપાયેલી હતી. બીજી બાજુ પંજાબમાં સ્થાનકવાસી સાધુઓમાં મૂર્તિપૂજા અને મુહપત્તી વિશે ખળભળાટ મચી ગયો હતો. એ વખતે પંજાબથી, પોતાની શંકાઓના સમાધાન માટે વિહાર કરી ગુજરાતમાં આવનાર ક્રાંન્તિકારી સાધુઓમાં પૂ. શ્રી બુટેરાયજી મહારાજ મુખ્ય હતા. એમની સાથે મૂળચંદજી મહારાજ તથા વૃદ્ધિચંદ્રજી મહારાજ પણ હતા.
મૂલચંદજી મહારાજનો જન્મ પંજાબમાં શિયાલકોટમાં વિ. સં. ૧૮૮૬માં ભાવડા જૈન જ્ઞાતિમાં ઉપકેશવંશમાં, બરડ ગોત્રમાં થયો હતો. એમના પિતાનું નામ સુખા શાહ હતું. માતાનું નામ બકોરબાઇ (મહતાબદેવી) હતું.
બાળક મૂળચંદ નાનપણથી જ બહુ તેજસ્વી હતો. દેખાવે પણ તે સશક્ત અને પ્રતિભાશાળી હતો. પાંચ વર્ષની ઉંમરે એને નિશાળમાં મૂકવામાં આવ્યો હતો. નિશાળમાં વ્યાવહારિક શિક્ષણ લેવા ઉપરાંત તે સ્થાનકમાં જાય, સામાયિક કરે, પ્રતિક્રમણ કરે અને થોકડાનો મુખપાઠ કરે. તે સાધુઓના પરિચયમાં આવીને તેમની પ્રેરણાથી ઘણાં નિયમો લેતો. એમ કરતાં કિશોર મૂળચંદને દીક્ષા લેવાની ભાવના થઇ. માતા-પિતાએ એ પ્રસ્તાવને અનુમોદન આપ્યું.
સોળ વર્ષની ઉંમરે વિ. સં. ૧૯૦૨માં ઋષિ બુટેરાયજી પાસે મૂળચંદે દીક્ષા લીધી અને તે મૂળચંદજી સ્વામી બન્યા.
એ દિવસોમાં પંજાબના સાધુઓમાં બુટેરાયજી મહારાજનું નામ ઘણું મોટું હતું. ચારિત્રના પાલનમાં તેઓ અત્યંત કડક અને શુદ્ધ હતા. શાસ્ત્રોનો ઘણો ઊંડો અભ્યાસ એમણે કર્યો હતો. એમની જ્ઞાનની ભૂખ ઘણી મોટી હતી. તેઓ જન્મે જાટ કોમના હિન્દુ હતા. સંસ્કૃત ભાષાનું જ્ઞાન તેમને નાનપણથી જ વારસામાં મળ્યું હતું. સોળ વર્ષની વયે દીક્ષા લીધા પછી તેમણે પોતાના ગુરુ ઋષિ નાગરમલજી પાસે, ઋષિ અમરસિંહજી પાસે તથા શ્રી પૂજ(યતિ) રામલાલજી પાસે આગમ ગ્રંથો ઉપરાંત વ્યાકરણ, ન્યાય વગેરેનો પણ ઘણો સારો અભ્યાસ કર્યો. જેમ જેમ તેઓ વધુ ને વધુ અભ્યાસ કરતા ગયા તેમ શાસ્ત્રોમાં એવા એવા પાઠ એમના વાંચવામાં આવ્યા કે જે વિશે એમના મનનું સમાધાન કોઇ કરી શકતું નહિ. જિનપ્રતિમાની પૂજા કરવી કે નહિ તથા મુહપત્તિ મોઢે બાંધવી
પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ Jain Education International
For Private & Personal Use Only
૨૧ www.jainelibrary.org