________________
બિકાનેરમાં કર્યું. ત્યાં ઓસવાલ જૈનોનાં ૨૭૦૦ જેટલાં ઘર હતાં. બુટેરાયજી મહારાજની વાણીથી તેઓમાં સારી ધર્મજાગૃતિ આવી ગઈ. બિકાનેરના ખરતરગચ્છના યતિઓને પણ બુટેરાયજી પ્રત્યે આદરભાવ થયો. તેઓએ પણ પોતાની પૌષધશાળામાં સ્થિરતા કરવા માટે એમને વિનંતી કરી.
બિકાનેરથી બુટેરાયજી મહારાજની ભાવના શત્રુંજયની યાત્રા કરવાની હતી. પરંતુ અજમેરના સંઘનો પત્ર આવ્યો કે હુંઢિયાના પૂજ્ય રતનચંદજી શીખ આપની સાથે મૂર્તિપૂજા વિશે શાસ્ત્રાર્થ કરવા ઇચ્છે છે. આ પત્ર મળતાં બુટેરાયજી મહારાજે ગુજરાત તરફ વિહાર ન કરતાં અજમેર તરફ પોતાના શિષ્ય વૃદ્ધિચંદ્રજી સાથે વિહાર કર્યો. શાસ્ત્રાર્થ કરવા માટે તેઓ ઇચ્છતા હતા. કારણ કે એ વિષયમાં એમનો અભ્યાસ ઘણો ઉડો થયો હતો. તેઓ અજમેર તરફ જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં જાણવા મળ્યું કે મુનિ રતનચંદજીએ તેરાપંથીના મતનું ખંડન કરતી એક પ્રત લખી છે. એની તપાસ કરાવીને બુટેરાયજી મહારાજે એ પ્રત મેળવી લીધી. એ વાંચતાં જ એમને લાગ્યું કે મુનિ રતનચંદજીનાં પોતાનાં જ વાકયો વડે મૂર્તિપૂજા સાબિત થઈ શકે એમ છે.
વિહાર કરતાં કરતાં તેઓ પોતાના શિષ્ય સાથે અજમેર પહોંચ્યા. પરંતુ ત્યારે આશ્ચર્ય સાથે જાણ્યું કે મુનિ રતનચંદજી અજમેરથી ચૂપચાપ વિહાર કરીને બીજે ચાલ્યા ગયા છે. બુટેરાયજી સાથે મૂર્તિપૂજા વિશે પોતે શાસ્ત્રાર્થ નહિ કરી શકે અને કરશે તો પરાજિત થશે એવો ડર એમને લાગ્યો હતો.
બુટેરાયજી મહારાજ જે હેતુથી અજમેર પધાર્યા તે હેતુ હવે રહ્યો નહિ. પરંતુ અજમેર પધારવાના કારણે એક વિશેષ લાભ થયો. અજમેરથી એ વખતે એક સંઘ કેસરિયાજીની યાત્રા કરવા માટે જઇ રહ્યો હતો. જૈનોના ઘરબાર વગરના પ્રદેશમાં એકલા વિહાર કરવા કરતાં સંઘ સાથે વિહાર કરવામાં મુનિ મહારાજોને સૂઝતા આહાર વગેરેની અનુકૂળતા રહે છે. બુટેરાયજી મહારાજ એ રીતે સંઘ સાથે કેસરિયાજી પધાર્યા. તીર્થયાત્રાનો આ એમનો પ્રથમ અનુભવ હતો. કેસરિયાજીના આદિનાથ ભગવાનની ચમત્કારિક પ્રતિમાના હર્ષોલ્લાસપૂર્વક દર્શન કરીને તેઓએ અત્યંત ધન્યતા અનુભવી.
કેસરિયાજીના મુકામ દરમ્યાન વળી બીજો એક અનુકૂળ યોગ સાંપડ્યો. ગુજરાતમાંથી તે વખતે કેસરિયાજીની યાત્રા કરવા માટે એક સંઘ આવ્યો હતો. સંઘપતિ પ્રાંતિજ પાસે આવેલા કલોલ નગરના શેઠ બેચરદાસ માનચંદ હતા. તેઓ બીજા આગેવાનો સાથે બુટેરાયજી મહારાજને મળવા આવ્યા. તેમણે કહ્યું, “મહારાજશ્રી ! અમને થોડીક જિજ્ઞાસા થઇ છે. આપને દેરાસરમાં દર્શન કરતા જોયા હતા. આપના વેશ પરથી આપ સ્થાનકમાર્ગી સાધુ લાગો છો. પરંતુ સ્થાનકવાસી સાધુ મુહપત્તી મોઢે બાંધે, જ્યારે આપ મુહપત્તી હાથમાં રાખો છો. તેથી અમને પ્રશ્ન થાય છે. અમને જણાવશો કે આપ કોણ છો તો આનંદ થશે.'
બુટેરાયજી મહારાજે કહ્યું, “ભાઇ હું જન્મથી અજૈન છું. અમારો પરિવાર શીખધર્મને પાળે છે. મેં યુવાનવયે સ્થાનકમાર્ગી બાવીસ ટોળામાં દીક્ષા લીધી હતી. પરંતુ શાસ્ત્રોનું ઊડું અધ્યયન કર્યા પછી
પંજાબના ચાર ક્રાન્તિ:કારી મહાત્માઓ Jain Education International
૧૫ www.jainelibrary.org
For Private & Personal Use Only