________________
આવકાર્ય પ્રકાશન
શ્રી પાર્થચંદ્રગચ્છનો સંક્ષિપ્ત ઇતિહાસ, ગચ્છના શ્રમણ-શ્રમણી સંઘનો પરિચય, ગચ્છના સ્થાનોની માહિતી અને સંપર્કસૂત્રો વગેરેની ઉપયોગી માહિતીને આવરી લેતો આ “સંઘસૌરભ” ગ્રંથ પ્રગટ કરીને શ્રી દેશલપુર (કંઠી) પાર્થચંદ્રગચ્છ સંઘે ગચ્છની એક પાયાની આવશ્યકતા પૂરી કરી છે. આ પ્રકાશન ખરેખર આવકાર્ય અને અભિનંદનને પાત્ર છે.
માનવજાત ઇતિહાસથી પોતાને અલગ પાડી શકતી નથી. ઇતિહાસ એટલે માત્ર સંવતો અને નામાવલિ નથી. અગાઉ જીવી ગયેલા નર-નારીનાં કાર્યો અને વિચારોના લેખાં-જોખાં એ ખરો ઇતિહાસ છે. ધર્મક્ષેત્રનો ઇતિહાસ તો આ જ દૃષ્ટિએ આલેખી શકાય. શ્રમણ સંઘનો ઇતિહાસ એટલે મહાન સાધુવરો અને સાધ્વીજીઓના જીવન અને કાર્યની તવારીખ. આ ગ્રંથમાં શ્રી પાર્થચંદ્રગચ્છના આવા ઇતિહાસની આછી રૂપરેખા આપવામાં આવી છે.
યુગપ્રધાન દાદાસાહેબ શ્રી પાર્થચંદ્રસૂરિજીએ નવો ગચ્છ સ્થાપ્યો ન હતો. તેઓશ્રી ‘નાગપુરીય બૃહત્તપાગચ્છના હતા. તેઓશ્રીએ સાધુ આચારમાં સુધારા દાખલ કર્યા - ‘ક્રિયોદ્ધાર” કર્યો. આ માટે તેમણે પુષ્કળ ચિંતન-મનન કર્યું, જ્ઞાનપ્રસાર કર્યો. તેઓશ્રીના ઉપદેશ-સંદેશને ઝીલનારો એક વિશાળ વર્ગ તૈયાર થયો. આ વર્ગનું નામ લોકોએ પાર્થચંદ્રસૂરિગચ્છ એવું પાડી દીધું. ગચ્છોનાં નવાં નામકરણ આ રીતે થતાં આવ્યાં છે, જે પટ્ટાવલી જોતાં ખ્યાલમાં આવશે.
ગચ્છના નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા કેટલાંક પ્રભાવશાળી મુનિવરો તથા સાધ્વીજીઓના જીવનચરિત્ર પણ આ પુસ્તકમાં આપ્યાં છે તથા ગચ્છના વિદ્યમાન શ્રમણ-શ્રમણી વર્ગ, સંઘો, સ્થાનો, દાદાવાડીઓ વગેરેની જાણકારી અપાઈ છે, સરનામા વગેરેનું સંકલન પણ છે. પરસ્પર સંપર્ક તથા સહયોગ માટે આ પુસ્તક ખૂબ ઉપયોગી સાબીત થશે.
આવું સુંદર પુસ્તક પ્રકાશિત કરવા બદલ દેશલપુર(કડી) સંઘને પુનઃ ધન્યવાદ.
- મુનિ ભુવનચંદ્ર
ચૈત્ર વદ-૯, સં. ૨૦૬૦ દુર્ગાપુર (કચ્છ)
સંઘસૌરભ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only