________________
Shri Ashtapad Maha Tirth
એક દિવસ ભરતેશ્વર સ્નાન કરી, બલિકર્મ કલ્પી, દેવદુષ્ય વસ્ત્રથી શરીરને સાફ કરી, કેશમાં પુષ્પમાળા ગુંથી, ગોશીર્ષ ચંદન વડે સર્વ અંગમાં વિલેપન કરી. અમૂલ્ય અને દિવ્ય રત્નના આભૂષણો સર્વાંગે ધારણ કરી. અંતઃપુરની શ્રેષ્ઠ સ્ત્રીઓના પરિવાર સાથે છડીદારે બતાવેલે રસ્તે અંતઃપુર માંહેના રત્નના આદર્શગૃહમાં ગયા. ત્યાં આકાશ અને સ્ફટિક મણિના જેવા નિર્મળ તથા પોતાના સર્વ અંગનું રૂપ પ્રતિબિંબ રૂપે દેખી શકાય તેવા, શરીરનાં પ્રમાણ જેવડા દર્પણમાં પોતાના સ્વરૂપને જોતાં મહારાજાની એક આંગળીમાંથી મુદ્રિકા પડી ગઈ. જેમ મયૂરની કળામાંથી એક પીંછું પડી જાય તેની તેને ખબર પડે નહીં, તેમ પડી ગયેલી તે મુદ્રિકા મહારાજાના જાણવામાં આવી નહીં. અનુક્રમે શરીરના સર્વભાગને જોતાં જોતાં દિવસે ચંદ્રિકા વિનાની ચંદ્રકળાની જેમ પોતાની મુદ્રિકા રહિત આંગળી કાંતિવિનાની જોવામાં આવી. ‘અહો ! આ આંગળી શોભા રહિત કેમ છે ?’ એમ ચિંતવતા ભરતરાયે પૃથ્વી ઉપર પડેલી તે મુદ્રિકા જોઈ. પછી તેણે વિચાર્યું કે ‘શું બીજા અંગો પણ આભૂષણ વિના શોભા રહિત લાગતા હશે ?’ એમ ધારી તેણે બીજા આભૂષણો પણ ઉતારવા માંડ્યા.
પ્રથમ મસ્તક ઉપરથી માણિક્યનો મુગટ ઉતાર્યો એટલે મસ્તક રત્નવિનાની મુદ્રિકા જેવું દેખાવા લાગ્યું. કાન ઉપરથી માણિક્યના કુંડળ ઉતાર્યા એટલે બંને કાન ચંદ્ર-સૂર્ય વિનાની પૂર્વ પશ્ચિમ દિશા જેવા જણાવા લાગ્યા. ગળચવો દૂર કરવાથી તેમની ગ્રીવા જળ વિનાની નદી જેવી શોભા રહિત જણાવા લાગી. વક્ષસ્થળ ઉપરથી હાર ઉતાર્યો એટલે તે તારા વિનાના આકાશની જેવું શૂન્ય લાગવા માંડ્યું. બાજુબંધ કાઢી નાંખેલા બંને હાથ અર્ધલતાપાશથી રહિત થયેલા બે સાલ વૃક્ષ જેવા જણાવા લાગ્યા. હાથના મૂળમાંથી કડાં દૂર કર્યાં એટલે તે આમલસારા વિનાના પ્રાસાદ જેવા જણાવા લાગ્યા. બીજી સર્વ આંગળીઓમાંથી મુદ્રિકાનો ત્યાગ કર્યો એટલે તે મણિ રહિત સર્પની ફણા જેવી દેખાવા લાગી. ચરણમાંથી પાદકટક દૂર કર્યા એટલે તે રાજહસ્તીના સુવર્ણ કંકણ રહિત દાંતની જેવા જોવામાં આવ્યા. એમ સર્વ અંગના આભૂષણોના ત્યાગ કરવાથી પત્રરહિત વૃક્ષની જેમ શોભા રહિત થયેલા પોતાના શરીરને જોઈ મહારાજા વિચારવા લાગ્યા“અહો ! આ શરીરને ધિક્કાર છે ભીંતને જેમ ચિત્રાદિક ક્રિયાથી કૃત્રિમ શોભા કરાય છે તેમ શરીરની પણ આભૂષણોથી જ કૃત્રિમ શોભા કરાય છે. અંદર વિષ્ટાદિક મળથી અને બહાર મુત્રાદિકના પ્રવાહથી મિલન એવા આ શરીરમાં વિચાર કરતાં કાંઈપણ શોભાકારી જણાતું નથી. ખારી જમીન જેમ વરસાદના જળને દૂષિત કરે છે, તેમ આ શરીર વિલેપન કરેલા કપૂર અને કસ્તુરી વગેરેને પણ દુષિત કરે છે. જેઓ વિષયથી વિરાગ પામીને મોક્ષફળને આપનારા તપ તપે છે, તે તત્ત્વવેદી પુરુષો જ આ શરીરનું ફળ ગ્રહણ કરે છે.’” એવી રીતે વિચાર કરતાં સમ્યક્ પ્રકારે અપૂર્વકરણના અનુક્રમથી ક્ષપક શ્રેણીમાં આરૂઢ થયેલા શુક્લધ્યાનને પામેલા તે મહારાજાને, વાદળોના અપગમથી જેમ સૂર્યનો પ્રકાશ થાય તેમ ઘાતિકર્મના ક્ષયથી કેવળજ્ઞાન પ્રગટ થયું.
તે વખતે તત્કાળ ઇંદ્રનું આસન કંપાયમાન થયું, કારણ કે અચેતન વસ્તુઓ પણ મહત્ પુરુષોની મોટી સમૃદ્ધિને કહી આપે છે. અવધિજ્ઞાનથી જાણી ઇંદ્ર ભરત રાજાની પાસે આવ્યો, ભક્ત પુરુષો સ્વામીની પેઠે સ્વામીના પુત્રની સેવા પણ સ્વીકારે છે, તો તેવા સ્વામીના પુત્રને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં શું ન કરે ! ઇંદ્રે ત્યાં આવીને કહ્યું- ‘હે કેવળજ્ઞાની ! તમે દ્રવ્યલિંગ સ્વીકાર કરો, જેથી હું તમને વંદના કરૂં અને તમારો નિષ્ક્રમણ ઉત્સવ કરું.’ ભરતેશ્વરે પણ તે જ વખતે બાહુબલિની જેમ પંચમુષ્ટિ કેશોત્પાટનરૂપ દીક્ષાનું લક્ષણ અંગીકાર કર્યું, અર્થાત્ પંચમુષ્ટિ લોચ કર્યો અને દેવતાઓએ આપેલા રજોહરણ વગેરે ઉપકરણો સ્વીકાર્યા. ત્યારપછી ઇંદ્રે તેમને વંદના કરી, કારણ કે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હોય તોપણ અદીક્ષિત પુરુષની વંદના થાય
Bharat Chakravarti
8 282 a