________________
કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રસૂરિવિરચિત દીપોત્સવકલ્પપ્રથમવૃત્તિનું
સંપાદકીય
જૈનશાસનમાં દર્શાવેલાં પ્રત્યેક પર્વો આત્મવિકાસની સાધનામાં વિવિધ પ્રકારે ઉપકારક બનતાં હોય છે. ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રીમહાવીરસ્વામીના નિર્વાણ કલ્યાણક સાથે સંકળાયેલું “દીપોત્સવપર્વ’ અનેક આત્માના જીવનને અનેરા આધ્યાત્મિક પ્રકાશથી ઝળહળાં કરતું હોય છે. આ દીપોત્સવપર્વને લક્ષ્યમાં રાખીને અનેક મહાપુરુષોએ સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, ગદ્ય, પદ્યસ્વરૂપે અનેક ગ્રંથોની રચના કરી છે. જેને દીપાલિકાકલ્પ, દીપોત્સવકલ્પ, અપાપાકલ્પ, દીવાળીકલ્પ વગેરે નામો અપાયાં છે.
જેમાં દીપોત્સવ પર્વનો મહિમા, ભગવાન શ્રીમહાવીરદેવનું સંક્ષિપ્ત ચરિત્ર, પ્રભુની અંતિમ દેશના, રાજાપુણ્યપાલને આવેલ આઠ સ્વપ્નો, સ્વપ્નોનો ભગવાને કરેલો ફલાદેશ, શાસનશિરતાજ શ્રીગૌતમસ્વામીજીના પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ વર્ણવેલ પાંચમા આરાનું સ્વરૂપ, પાંચમા આરામાં વિવિધ સમયે થનાર મહત્વની ઘટનાઓનો નિર્દેશ, ચોથા આરાની તુલનામાં પાંચમા આરાની પરિસ્થિતિ, પાંચમા આરામાં થનારા પ્રભાવક આચાર્યાદિનો અને તેમના મહત્વના કાર્યોનો નિર્દેશ, પાંચમા આરાના અંતે થનાર રાજા, મંત્રી, રાજ્યસ્થિતિ અને આચાર્ય, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, સંઘ, જૈનશાસનની સ્થિતિનું નિરૂપણ વર્તમાનમાં ચાલતી લોકસ્થિતિ, રાજયવ્યવસ્થા, સંઘ અને શાસનના અંતનું સ્વરૂપ, છઠ્ઠી આરામાં ભરતક્ષેત્રની અને તત્કાલીન જીવોની તથા સૃષ્ટિની સ્થિતિનું વર્ણન, આ અવસર્પિણી કાળના પાંચમાં આરાનાં એકવીસ હજાર વર્ષ અને છઠ્ઠા આરાનાં એકવીસ હજાર વર્ષ પૂર્ણ થયા પછી ઉત્સર્પિણી કાળ શરૂ થશે, તેનો એકવીસ-એકવીસ હજાર વર્ષનો પહેલો-બીજો આરો પૂરો થયા પછી જ્યારે ત્રીજા આરાનો પ્રારંભ થશે, ત્યારે ફરી સુષ્ટિ સજીવન શી રીતે બનશે ? જીવનવ્યવસ્થા, રાજ્યાદિવ્યવસ્થાદિનો પ્રારંભ શી રીતે થશે? કોણ કરશે? આ અવસર્પિણી કાળમાં થયેલ ચોવીસ તીર્થંકર, બાર ચક્રવર્તી, નવ બળદેવ, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ, એમ ત્રેસઠ શલાકા પુરુષોની જેમ ઉત્સર્પિણી કાળમાં કયા જીવો કયા નામે તીર્થકર થશે? તેમના તથા ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ એમ ત્રેસઠ શલાકા પુરુષનાં નામોનું નિરૂપણ, દેશના પૂર્ણ થતાં પોતાનો નિર્વાણકાળ જાણી પરમાત્માએ પ્રથમ ગણધર શ્રીગૌતમસ્વામીજીને દેવશર્માને પ્રતિબોધ કરવા મોકલ્યા