________________
(૬૭)
લબ્ધિવાક્ય જેવો છે ! છ માસ સુધી એને ફેરવે તો પ્રભુ, કંઈનું કંઈ થઈ જાય ! ગમે તે અડચણ, વિઘ્ન આવે, તે હડસેલી મૂકવું. એ, દિવસ પ્રત્યે એક વખત વિચારી જવાનો રાખ્યો તો પછી જોઈ લો. સમકિતનું કારણ છે.
“તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય. સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે.’’
આ મોક્ષ માર્ગ ! હવે, બીજું મારે ક્યાં માન્ય છે ? એવી પકડ થઈ ગઈ એટલે વહેલું મોડું એ રૂપ થયે જ છૂટકો.
“જન્મ, જરા, મરણ, રોગ આદિ બાધારહિત સંપૂર્ણ માહાત્મ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે.’’
કંઈ બાકી રહ્યું ? જન્મ, ઓછું દુઃખ ? જરા, આ ઘડપણનાં (પોતા તરફ આંગળી કરી) દુ:ખ ઓછાં ન જાણશો-હરાય ફરાય નહિ; ખાવું પીવું ગમે નહીં અને રોગ, દુઃખ ને દુઃખ, હલાય નહિ, બોલાય નહિ, ગમતું થાય નહિ, ગમત ચેન ન પડે-એ સર્વ બાધા-પીડાથી રહિત, બાદ કરતાં ‘સંપૂર્ણ માહાત્મ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ', હાશ ! બીજું મરને ગમે તે થાઓ, પણ એમાં ક્યાં બીજું થવાનું છે ?
“જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવા પરમ પુરુષનાં વચને આત્માનો નિશ્ચય થયો છે તે તે પુરૂષો સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ વ્યાધિ ઉપાધિ સર્વ સંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિકાળમાં પણ તેમ જ થશે.”
છાપ મારી છે છાપ ! શ્રદ્ધાની જરૂર છે, નિશ્ચયની જરૂર છે. ‘‘શ્રદ્ધા પરમ દુધ્ધહા’” કહી છે, પ્રભુ !