________________
(૩૯૦) આમ બને છે.
ભગવત્ તીર્થંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થકરના આશ્રયથી, અને નિશ્ચયથી સમકિત કહ્યું છે. એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવાજીવના જ્ઞાનસ્વરૂપ છે. પુરુષ સાચા છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમ આ પરમકૃપાળુ કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે, તેમ જ મોક્ષમાર્ગ હોય, તે પુરુષનાં લક્ષણાદિ પણ વીતરાગપણાની સિદ્ધિ કરે છે, જે વીતરાગ હોય તે પુરુષ યથાર્થવક્તા હોય, અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષમાર્ગ સ્વીકારવા યોગ્ય હોય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનું ગૌણતાએ જીવાજીવનું જ જ્ઞાન છે. તે પ્રતીતિથી, તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તાર સહિત જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે. તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગદ્વેષનો ક્ષય થઈ વીતરાગ દશા થાય છે. તથારૂપ સપુરુષના પ્રત્યક્ષ યોગ વિના એ સમકિત આવવું કઠણ છે. તેવા પુરૂષનાં વચનરૂપ શાસ્ત્રોથી કોઈક પૂર્વે આરાધક હોય એવા જીવને સમકિત થવું સંભવે છે; અથવા કોઈ એક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કોઈક જીવને સમકિત પ્રાપ્ત કરાવે છે.