________________
(૭૨)
જ્ઞાનભાવ - જીવની દોડ મટી જાય તો....
અંધારામાં દીવો આવે પછી અંધારૂં રહે નહીં, તેમ જ્ઞાનભાવ છે. સમકિત વિના તે બનતું નથી. તે તુરત થાય છે. જીવ અજ્ઞાનને લઈને જ્યાં ત્યાં ભરાઈ જાય છે. દેહમાં આવ્યો તો પોતાને તે રૂપ માનવા લાગે છે. દષ્ટી ફેરવવાની જરૂર છે.
છ પદની વિસ્તારથી વાત કહી – પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે.’વાત આમ છે છતાં જીવ દોડ કરી દોડી જાય છે જેમ કોઈ દોડતો થાકી જાય અને જે બેસી રહ્યો હોય તે થાકે નહીં, તેમ જીવની દોડ મટી જાય તો મોક્ષ છે. આ છ પદ સમકિત આપે એવાં છે.
દોડ મૂકવી જોઈએ-દષ્ટી ફેરવવી જોઈએ.
શ્રીના બોધની નોંધમાંથી.
પત્ર ૭૧૯ માંથી
‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ શ્રી દેવકરણજીએ આગળપર અવગાહવું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે; તોપણ જો દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તો, પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમોપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું
તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો
દોષ કર્યો એમ જ જાણીશ અને આત્માને સત્પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવો, ભિન્નભાવરહિત, લોકસંબંધી બીજા પ્રકારની સર્વ કલ્પના છોડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શંકાઓનું સમાધાન થવા યોગ્ય છે.
*