________________
૧૦) સામાયિક ભાવ
બધું એક જ છે અને એક સરખું જ છે' એમ દેખીએ, જાણીએ, સમજીએ ત્યારે જીવનમાંથી અજ્ઞાન, ભેદ, જુદાઈ, લડાઈ, ઝગડા, સંઘર્ષો તથા વિસંવાદો દૂર થાય અને આપણામાં શાન્તિ, મૈત્રીભાવ, પ્રેમ, સમાનતા, સમજણ બધું આવે.
આપણે અહીં ૮૦૦ જણા બેઠા છીએ એ વાત કરી. જો એ બધાં શરીરોમાંથી ચેતના નીકળી જાય તો ૮૦૦ શરીરો તો અહીં પડ્યાં રહે, જેની કંઈ જ કિંમત નથી! અંદરથી જે ચેતના નીકળી ગઈ તે તો આપણે જોઈ શકતા નથી એટલે આપણે હવેથી એકમાં બે જોતાં શીખવાનું. એક, શરી૨ જે બહારથી તમે જોઈ શકો છો તે અને બીજું, તેની અંદર રહેલી ચેતના, જે તમે જોઈ શકતા નથી. એક બહાર, એની અંદર બીજું. એમ બે સમજવાનું. એકને જુઓ ત્યારે ત્યાં બે છે (એક, દેખાતું – એટલે દૃશ્ય, બીજું, ન દેખાતું – એટલે અદૃશ્ય), આ ધ્યાન હવેથી રાખવાનું. આજથી આ શીખી લેવાનું. જીવનનો આખો દૃષ્ટિકોણ (viewpoint) જ બદલાઈ
જશે.
હું મારા શરીરની અંદરથી બહાર નીકળી જાઉં તો તમે શું કરશો? તરત કહેશો કે ‘ભાઈ! તૈયારી કરો. જલ્દી કરો. ઉપયોગ રાખો.' કહેશો ને? પણ હું અંદર છું ત્યાં સુધી તમે આમ નહીં કહો. હું બહાર નીકળી જઈશ પછી તમે લાકડાં, ઘી, રાળ – મહારાષ્ટ્રિયન હશે તો કેરોસીન, રબ્બરનાં ટાયર – આ બધું ભેગું કરશો. હું અંદર છું ત્યાં સુધી તમે મને ટાંચણી પણ નહીં મારો. એનો અર્થ એમ થયો કે મારા શરીરની કિંમત નથી પણ મારી અંદરની ચેતનાની કિંમત છે. હું અંદરથી નીકળી જઉં પછી તમે તમારી ઇચ્છા મુજબ મારા શરીરને કાપી શકો છો, બાળી શકો છો, મારી શકો છો!
આપણા શરીરની અંદર જે એક ચેતના છે તે એક ચૈતન્યને