SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ અનહદની આરતી ગુણક્યા દ્વારા ગુણોનો અધિકાર જનમાવે નવા ગુણો. ગુણોનાં મૂળમાં રહેલા પ્રારંભિક ગુણો. ગુણોની દુનિયા અગમ અપાર છે. દુનિયાદારીની વાતો કરવાને બદલે આવી સવૃત્ત મહાપુરુષોના ગુણોની વાતો કરીશું તો જમાનો આપણને ગાંડામાં ખતવી દેશે. ચાલશે. ગુણોની ખરીદી કરવા માટે ગમે તે કિંમત ચૂકવવા આપણે તૈયાર જ છીએ. ગુણોની ગતાગમ ન હોય તેવા લોકોને આપણી વાતમાં રસ નહીં પડે તો એ લોકો દૂર ટળશે. ભલું થયું ભાંગી જંજાળ. સાધારણ લોકો ગુણોની વાર્તામાં રસ લઈ શકતા નથી. શાયરીમાં સરસ લખ્યું છે : दुनिया जिसे कहो तुम - बस्ती है जाहिलोकी । कब वो समझ सकी है - इस गैब के इशारे ॥ જાહિલ એટલે અજાણ. ગુણોમાં રસ લઈ શકે તેવા લોકો સાથે જ ગુણગણકથા થઈ શકે છે. ગુણોને સમજવાની પરખ હોય છે તેમ ગુણોને સાંભળવાની પણ આવડત હોય છે. તે બધામાં નથી હોતી. ગુણો સંબંધી વાર્તાલાપ કરવાનો મતલબ છે નકામી વાતો અને નકામા લોકોથી દૂર થઈ જવું. બોલવા માટે જીભ મળી છે. બોલશો તે સાંભળનારા મળી જ રહેવાના છે. આપણને સાંભળનાર મળે તે માટે બોલવું અને સાંભળનારને આપણી પાસેથી કંઈક મળે તે માટે બોલવું તેમાં ઘણો બધો ફરક છે. ગુણોની વાત કરવી હોય તો ગુણો જોવા પડે છે, જોયેલા ગુણોને યાદ રાખવા પડે છે અને ગુણો ઉપર વિચાર કરવો પડે છે. એમનેમ ગુણો વિશે બોલી શકાતું નથી. ગુણો વિશે બોલીએ છીએ તેમાં ગંભીરતા કેળવવી પડે છે, ચોક્કસ શૈલી સાથે રજૂઆત કરવી પડે છે. ગુણોની બાબતમાં આપણો રવૈયો આકર્ષણનો હોવો જોઈએ. બગીચામાં ઉડતો ભમરો ફૂલે ફૂલે નોખી સુવાસ પામે છે ને ફૂલે ફૂલે નવો રસ આસ્વાદે છે. આપણે ગુણવત્તાનાં દરેક સરનામે પહોંચવાનું છે. દરેક ગુણાનુવાદ દ્વારા નવો આનંદ પામવાનો છે. મહાપુરુષો, પુરાણા સમયના કે વર્તમાન સમયના. તેમનામાં ગુણોની સ્થિરતા છે માટે તે વંદનીય છે, સરાહનીય છે અને સ્તવનીય છે. આપણને જેમાં રસ પડે છે તે આપણને મળે જ છે આ ધર્મમાર્ગનો નિયમ છે. ગુણગણકથા ઘણી રીતે થઈ શકે છે. રામાયણ, મહાભારત, ત્રિષષ્ટિ, કથારત્ન કોષ, ભરણે સર જેવા કથાગ્રંથોના પ્રસંગો બરોબર યાદ રાખી લેવાના. દરેક પ્રસંગ સાથે જોડાતી ગુણકથા જાતે જ પ્રસ્તુત કરવાની. અનેક મહાપુરુષોના પ્રસંગો અનેક અનેક મહાપુરુષોના ગુણો અનેક અનેક ગુણો સંબંધી પ્રશંસાકથા પણ અનેક અનેક. + પરિવારના સ્વજનોની ધર્મચર્યા અને ગુણસાધનાની વિશેષ પ્રકારે નોંધ લેવાની. પરિવાર સાથે બેઠા હોઈએ ત્યારે દરેકના ધર્મની અને ગુણની હાર્દિક પ્રશંસા કરવાની. પરિવારના સભ્યો કેવળ સગા નથી, એ સાધર્મિક પણ છે. પારિવારિક પ્રીતિ સંપાદન કરવા માટે નહીં, બબ્બે પારિવારિક સ્નેહ ધર્મ તરફ ઢળે તે માટે તેમના સુયોગ્ય સગુણોની પ્રશંસાકથા. + આપણો વિસ્તાર અને આપણું વર્તુળ. કેટલાય ધર્માત્મા જોવા મળે છે. તેમના ધર્મને, તેમના ગુણોને, તેમની આરાધનાને સાચા દિલથી ધન્યવાદ આપવાના. વારે તહેવારે તેમની આ ઉત્તમતાનાં વખાણ કરવાના. + ધર્મ અને ગુણ મળે પછી તેને ટકાવી રાખવા વિશેષ કાળજી લેવાની હોય છે. અઢળક અનુકૂળતાઓ વચ્ચે ધર્મ અને ગુણો ઢંકાઈ જવાની પૂરી સંભાવના હોય છે. આકરી પ્રતિકૂળતાઓ વચ્ચે પણ ધર્મ અને ગુણોને વેઠવું પડે તેવું બને છે. અનુકૂળતામાં લેપાયા વગર અને પ્રતિકૂળતામાં ડગ્યા વગર, પોતપોતાની ભૂમિકાએ ધર્મ કરી રહેલા, ગુણોને સંભાળી રહેલા સજજનોને શોધી કાઢવાના. તેમની પ્રશંસા અચૂક કરવાની. ગુણોનો પ્રેમ ગુણીજનના પ્રેમ સુધી લઈ જાય છે. ગુણીજન સાથેનો સંપર્ક ગુણો પાસે લઈ જાય છે. આપણાં શ્રીમુખેથી ઉદ્ગાર પામતા શબ્દોમાં ગુણકથાની સુવાસ મહોરતી હોય. આપણો આત્મા આપણા શબ્દોની સુવાસ દ્વારા જ ભીતરી સદ્ગુણોનો આવિષ્કાર કરતો હોય. સાકાર થઈ શકે તેવું સપનું.
SR No.009087
Book TitleAnahadani Arti
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2006
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy