________________
વિ.સં. ૧૯૯૮, ઇ.સ. ૧૯૪૨, ફલોદીમાં એક વર્ષ સુધી દલાલીનો ધંધો. સવારે ચિંતામણિ દેરાસરે પહોંચી જઇ કાયોત્સર્ગનો અભ્યાસ. કાયોત્સર્ગમાં આત્મા-પરલોક વગેરેની વિચારણા. ઓળખીતો પૂજારી દેરાસરની બહાર તાળું મારી દે. બપોરે જમવામાં ક્યારેક ૨૩ પણ વાગી જાય. ત્યાર પછી એકાદ કલાક ચનણમલજીની સાથે દલાલીનો ધંધો. પછી સંગીત-શિક્ષણ.
એક વખત ભોજન સમયે માતા ક્ષમાબેને સહેજ ટકોર કરી : “આવી રીતે ક્યાં સુધી ખાવું છે?” આથી માના કહેવાથી રાજનાંદગાંવ (છત્તીસગઢ) ગમન. રાજનાંદગાંવમાં પણ ધાર્મિક નિયમોનું ચુસ્તપણે પાલન. સંપતલાલજીના કહેવાથી રાત્રે તિવિહારમાંથી ચોવિહારના પચ્ચક્ખાણ શરૂ.
એક વખત કામના બોજના કારણે રાત્રે ૨ વાગે દુકાનમાંથી છુટ્ટી મળતાં પ્રતિક્રમણના સ્થાને સામાયિક કરતા અક્ષયરાજજીને જોઇને શેઠે કહ્યું : હવેથી તમારે તમારા સમયે દુકાનમાંથી છુટ્ટી લઇ લેવાની. દુકાનનું કામ તો થતું રહેશે.
અક્ષયરાજજીને ત્યાંના ભગવાન પાર્શ્વનાથ (કાળિયાબાબા) પર બહુ શ્રદ્ધા.
રાજનાંદગાંવની બાજુના વસંતપુરના ગોડાઉનમાં અક્ષયરાજજીને ધ્યાનનો રંગ લાગ્યો. ત્યાં કામ તો માત્ર કલાક જેટલું જ હોય, બાકીનો સમય ધ્યાનમાં વીતવા લાગ્યો.
મહિને પગાર ૨૫ રૂપિયા. વચ્ચે થોડો વખત ઓરિસ્સા-જયપુરમાં જઇ કાપડના ધંધાનો અનુભવ.
જયપુરથી ફરી રાજનાંદગાંવમાં આવી નોકરીએ લાગ્યા, પણ ધર્મપ્રેમી સંપતલાલજી સ્વર્ગવાસી બની ચૂક્યા હતા. અક્ષયરાજજીની ધર્મક્રિયા નવા શેઠ જમનાલાલજીને (સંપતલાલજીના ભાઇ) પસંદ ન પડતાં તેમણે નોકરી છોડી સોના-ચાંદીનો ધંધો શરૂ કર્યો, પણ અનુભવ ન હોવાથી સારી એવી નુકસાની ગઇ, દેવું પણ થઇ ગયું. ત્યારે ધર્મપત્ની રતનબેને પોતાના દાગીના સામેથી આપીને દેવાના ભારમાંથી મુક્તિ અપાવેલી.
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૧૮
પછી કાપડનો ધંધો શરૂ કરતાં ફાવટ આવી. જયપુરનો અનુભવ કામ લાગ્યો.
દેરાસરમાં જાય ત્યારે ખીસામાં જેટલા હોય તેટલા પૈસા ભંડારમાં નાંખી દેવાની આદત અક્ષયરાજજીને પહેલેથી હતી.
વિ.સં. ૨૦૦૦, ઇ.સ. ૧૯૪૩, કા.સુ.૯, પ્રથમ પુત્ર જ્ઞાનચંદજી (પૂ. કલાપ્રભસૂરિજી)નો જન્મ.
વિ.સં. ૨૦૦૨, ઇ.સ. ૧૯૪૫, માગ.વ.૪, દ્વિતીય પુત્ર આસકરણ (પૂ.પં. કલ્પતરુવિજયજી)નો જન્મ.
વિ.સં. ૨૦૦૫, ઇ.સ. ૧૯૪૯, ૧૬ ઉપવાસની તપશ્ચર્યા.
વિ.સં. ૨૦૦૬, ઇ.સ. ૧૯૫૦, સમેતશિખરની યાત્રા. માતૃશ્રી ક્ષમાબેનનું સ્વર્ગગમન.
વિ.સં. ૨૦૦૭, ઇ.સ. ૧૫૧, પિતાશ્રી પાબુદાનજીનું સ્વર્ગગમન. (બંને વચ્ચે માત્ર છ મહિનાનો ગાળો). પછી રૂપવિજયજી પાસે ચતુર્થ વ્રતનો સ્વીકાર. લોકોમાં વાત ફેલાઈ : અક્ષયરાજજી દીક્ષા લેશે, પણ અક્ષયરાજજીને હજુ દીક્ષાની ભાવના નહોતી થઇ.
વિ.સં. ૨૦૦૭, પૂ. વલ્લભસૂરિજીના મુનિ શ્રી રૂપવિજયજીના ચાતુર્માસ દરમિયાન એમની પાસે આવતું ‘જૈન પ્રવચન' (જેમાં પૂ. રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.નાં પ્રવચનો પ્રગટ થતાં) વાંચવાથી જન્મજાત વૈરાગ્યમાં વૃદ્ધિ થઇ, સંસાર ભંડો લાગવા માંડ્યો.
વિ.સં. ૨૦૦૮, ઇ.સ. ૧૯૫૨, અક્ષયરાજજીએ પત્નીને પોતાને દીક્ષાની ભાવના છે એમ કહેતાં ગભરાયેલાં પત્નીએ પોતાના પિતા મિશ્રીમલજીને પત્ર લખ્યો, પણ તેમણે તો ઊલટું લખ્યું : અક્ષયરાજજી દીક્ષા લે તો મારે પણ દીક્ષા જ લેવી છે.
પતિ-પિતા એક થઇ જતાં મૂંઝાયેલા રતનબેને કહ્યું : તમે તો દીક્ષા લેશો, પણ અમારો તો વિચાર કરો. અમારું શું ? આ બાળકોનું શું ? અમને તૈયાર કરો તો અમે પણ દીક્ષા લઇશું.
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૧૯