________________
વિરાગની મસ્તી
સદાગમે કહ્યું, “મહારાજ એ લોકોને જેર કરવા કળ અજમાવવી પડશે, મારી પાસે એવી કળ છે જે અજમાવતા અહીં આવતાં તે દુષ્ટોના પગમાં બેડીઓ પડશે.”
ધર્મરાજ બોલી ઊઠ્યા, “શું કહે છે? અહીં બેઠા બેઠા કળ અજમાવવાની, અને ત્યાં સેનામાં બેડી પડે! ગજબ વાત કરી તેં તો! કહે શું છે એ યોજના! આમાં તો આપણા સૈન્યનું એક પણ માણસ ન મરે અને આપણો વિજયવાવટો ફરકી જાય! વાહ એના જેવું બીજું શું સારું હોઈ શકે!''
સદાગમે કહ્યું, “એ કળ છે પરમેશ્વરની પૂજાની. આપણા તાબાના બધા ય પ્રદેશમાં પરમેશ્વરની ભક્તિ, નામ-ધૂન, વગેરે હવે વધુ જોરમાં ચાલુ કરી દેવાનું ફરમાન કાઢો. ચારે બાજુ પરમાત્માની ભક્તિની રમઝટ બોલાય, દરેકના હોઠે પરમાત્માનું જ નામ જપાય, દરેકના હૃદયકમળમાં પરમાત્માની સ્થાપના હોય. બસ, આપણો આખો ય પ્રદેશ પરમાત્મામય બની જાય. જુઓ પછી એ ધાડપાડુઓની કેવી વલે થાય છે.”
સદાગમની વાતનો તરત જ અમલ કરવામાં આવ્યો. ઘેર ઘેર વિશિષ્ટ પરમાત્મ ભક્તિનો આરંભ થઈ ગયો. આવી પડેલી દેશ ઉપરની આફત દૂર કરવા માટે સહુ એકદિલથી પ્રભુને ભજવા લાગ્યા. કરોડોની સંખ્યામાં જપ થયા. લાખો પુષ્પોની અંગરચના થઈ. અઢળક ધન દેવાધિદેવના ચરણે મુકાયું.
આ બાજુ મોહરાજ તો એક જ વિજયમાં ખૂબ જ હિંમતવાળા થઈ ગયા હતા. હવે એમણે યુદ્ધની બમણી તૈયારી કરવા માંડી. આ વખતે તો ધર્મરાજને જીવતા કેદ કરી લેવા. બીજી વાત નહિ! દિવસોથી તાડમાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ. લાખોની સંખ્યામાં સૈન્યમાં ભરતી થઈ. બધા સજ્જ થઈ ગયા.
યુદ્ધે ચડવા માટેનો મુકરર કરેલો દિવસ આવી ગયો. તલવારો ખણખણવા લાગી. ઘોડાઓ હણહણવા લાગ્યા. હાથીઓને દારૂ પાવામાં આવ્યો. તીરોને વિષ ચઢાવવામાં આવ્યું. સેનિકો હાથ મસળી રહ્યા છે. ક્યારે રણમોરચે જઈએ અને જ્યારે એ દુષ્ટોને મચ્છરની જેમ મસળી નાંખીએ ! અને.
એક દી' રણશિંગા ફૂંકાયાં! દડમજલ કરતું સૈન્ય આગેકુચ કરવા લાગ્યું. રાગકેસરી અને દ્વેષગજેન્દ્ર સેનાપતિપદ લીધું.
આ બાજા જાસૂસોએ ધર્મરાજને બાતમી આપી. સાંભળતાની સાથે જ વીર સુભટોએ તલવાર ખેંચી કાઢી. “મહારાજાધિરાજ, આજ્ઞા કરો. આપના શૂરવીર સૈનિકો રણમોરચે પોતાનું પરાક્રમ બતાવી આપે.”