________________
વિરાગની મસ્તી
મિત્રોની લાગવગથી બાજાના શહેરની પબ્લિક લાઈબ્રેરીમાંથી દા'એ જિન દર્શનને લગતાં પુસ્તકો મંગાવ્યાં અને વ્યવસ્થિત રીતે તેનો અભ્યાસ કરવાનું આરંભી દીધું. બે ત્રણ માસમાં તો દા'એ ઘણું બધું સાહિત્ય જોઈ લીધું. જિનદર્શનની વિશેષતાઓ રૂપ સ્યાદ્વાદ, કર્મવાદ પરિણામી-આત્મવાદ, નયપ્રમાણવાદ અને દ્રવ્યાનુયોગાદિને તેમણે બહુ સારી રીતે સમજી લીધા. જેમ જેમ એ પદાર્થો ઉપર એમનું ચિંતન વધતું ગયું તેમ તેમ તત્ત્વજ્ઞાનના સાગરમાં ઊંડેને ઊંડે ઊતરતા ગયા. હવે તેમને લાગ્યું કે આજ સુધી તેમણે જ્ઞાનની લંબાઈ પહોળાઈ જ માપ્યા કરી હતી, તેની ઊંડાઈ તો આજે જ જોવા મળી. હવે તેમના અંતરમાં પ્રકાશ થતો હોય તેવું ભાન થવાં લાગ્યું. પેલી બધી ગૂંચો તો ક્યારની ઊકલી ગઈ હતી. હવે તો શેષજીવનની ધર્મમય જીવનચર્યા તરફ તેઓએ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જિન ઉપર વિશ્વાસ બેસી જતાં જિનવાણી ઉપર અતૂટ વિશ્વાસ જામી ગયો હતો. એથી એ જિનાજ્ઞારૂપ જિનવાણીની વિરુદ્ધ જવાનું આચરણ કરવા તેઓ પ્રતિદિન વધુ ને વધુ કાયર બનતા હતા અને જિનાજ્ઞા અનુકૂલ કરી છૂટવા તેઓ સદા તલસતા હતા. આમ તેમના જીવનમાં બે મોટા લાભ થયા. તેમની બાહ્ય પ્રવૃત્તિમાં વિશુદ્ધ ધર્મનો પ્રવેશ થયો અને તેમના આંતર-મનમાં સર્વસમભાવ વૃત્તિ ઉત્તેજિત બની, દિનપ્રતિદિન સતેજ બનતી ગઈ. આનો પ્રભાવ તેમની નિત્યની ધર્મસભામાં પણ સારો પડ્યો.
જિનશાસ્ત્રોની તદ્દન અજ્ઞાત-અણખેડાયેલી એમની મનોભૂમિનું હવે બહુ સારી રીતે ખેડાણ થવા લાગ્યું. હવે જે કાંઈ સારું તત્ત્વ જ્યાં પણ જોવા મળે તે પોતાનું જ છે, ઊડીને ત્યાં ગયેલું છે એમ જ સમજતા. જ્યાં ક્યાંય જીવના વિકાસને વરતો ગુણ જોવા મળે તો તરત જ એ અંશમાં ગુણિયલ પુરુષોની મોકળા મનથી અનુમોદના કરતા.
તેમની ધર્મસભામાં સર્વધર્મના, સર્વજાતના, સર્વવર્ણના ભાવુકો આવતા. એટલે ક્યારેક પરોપકાર શીખવતા અને તેની ઉપર પાછલા જીવનમાં દુખિયારા બનેલા માઘકવિની પેલી ઘટના કહેતા કે એ વખતે ઘરમાં કશું ય ન જણાતાં સૂતેલી પત્નિના હાથે દેખાયેલું સોનાનું કડું કેવું ધીમેથી કાઢીને પેલાને આપી દીધેલું!