________________
મહારાજ સાહેબ,
આપ સંયમજીવન અંગીકાર કરવા માગતા હતા તો આપે એ દિશામાં પુરુષાર્થ આદર્યો, વિઘ્નોની આપે નોંધ પણ ન લીધી અને સંયમજીવન પામવામાં આપને સફળતા મળી જ ગઈ.
પ્રશ્ન મારો એ છે કે ‘સુખ જોઈએ' એ મારા જીવનનું લક્ષ્ય વરસોથી રહ્યું છે. એ દિશાના પુરુષાર્થમાં મેં કોઈ કચાશ નથી રાખી અને છતાં કહેવા દો મને કે મારા પ્રચંડ પુરુષાર્થની સામે વળતરમાં મને કશું જ મળ્યું નથી. શું મારા મનનું લક્ષ્ય નક્કી કરવામાં હું ક્યાંક થાપ ખાઈ ગયો છું કે પછી મારા પુરુષાર્થમાં હું ટૂંકો પડ્યો છું ?
ઉપશમ,
તારા પ્રશ્નનો જવાબ આપતા પહેલાં એક પ્રશ્ન હું તને પૂછું છું. કોઈ ખેડૂત એક લક્ષ્ય નક્કી કરે કે જમીન પાસેથી મારે પાક મેળવો છે અને પાક મેળવવા એ જમીન ખેડવા લાગે તો એટલા માત્રથી એને પાક મેળવવામાં સફળતા મળી જાય ? ના. જમીન પાસેથી પાક એને ત્યારે જ મળે કે એ પોતે પાક મેળવતા પહેલાં જમીનને બિયારણ આપવા તત્પર રહે. ટૂંકમાં, જમીનને પહેલાં પોતે આપે તો જ પછી જમીન એને આપે.
-