________________
જમાનો આવ્યો પાપનો ને દીકરો નહીં બાપનો...
કોક અજ્ઞાત કવિની આ પંક્તિઓ : સવારના પહોરમાં કુમાશે આવી પૂછ્યું મને, પપ્પા, આ દુનિયાના ત્રણ ભાગમાં પાણી ને એક ભાગમાં જમીન, તો આટલું બાકી કેમ? વિચાર કરીને કીધું મેં ‘બેટા ! ત્રણ ભાગને દીધું ભગવાને પાણી : માણસ ચોથા ભાગમાં ફેરવશે પાણી !'
કેલક્યુલેટર, કમ્યુટર, મોબાઇલ, ટી.વી., કેબલ, વેબસાઈટ, ઇન્ટરનેટ, ઉપગ્રહ, સેટેલાઇટ, હેલિકૉપ્ટર, વિમાન, રૉકેટ, ચન્દ્ર [2] પર ઉતરાણ, રણપ્રદેશમાં પાક, શરીરના અવયવોની અદલાબદલી, આકાશને આંબવા મથતાં મકાનો, કૃત્રિમ વરસાદ, પડકારભર્યા ઑપરેશનો, ઘરઘંટી, વૉશિંગ મશીન, હીટર, ગીઝર, કૂકર, એર-કન્ડિશનર...હા. એક બાજુ આ જંગી ભેટો જગતને આપી છે આજના જમાનામાં પણ સબૂર !
બંદૂક, મશીનગન, ન્યૂ ક્લીયર બૉમ્બ, એટમ બૉમ્બ, એ.કે. ૪૭, ઝેરી રસાયણો, ક્રૂરતમ કતલખાનાંઓ, ગર્ભપાત કેન્દ્રો, વાસનાના નગ્ન તાંડવો ખેલતા વિલાસનાં સાધનો, લોભને લોભાંધતામાં રૂપાંતરિત કરી દેતી અર્થ વ્યવસ્થાઓ, કામને કામાંધતામાં બદલી નાખતી જીવનશૈલીઓ, આત્મીયસંબંધોને સ્વાર્થ સંબંધોમાં બદલી નાખવાનું મન થતું રહે એવી વિચારણાઓ, રાસાયણિક ખેતરોના બેફામ વપરાશ દ્વારા જમીનને કસહીન બનાવી દેતી અન્ન ઉત્પાદનની યોજનાઓ...આ
લોહિયાળ અને ખતરનાક ભેટો પણ આ જગતને આજના જમાનાએ જ આપી છે.
પૂર્વકાળ અને વર્તમાનકાળ, એ બંને વચ્ચે તટસ્થ મૂલ્યાંકન કરીએ તો એક વાત સ્પષ્ટ દેખાય છે કે બાહ્ય વૈભવના ક્ષેત્રે વર્તમાનકાળે પૂર્વકાળને ક્યાંય પાછળ ધકેલી દીધો છે પણ આભ્યન્તર વૈભવના ક્ષેત્રે વર્તમાનકાળ, પૂર્વકાળ કરતા ક્યાંય પાછળ ધકેલાઈ ગયો છે.
કડક શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે વિજ્ઞાને માણસને મારી નાખીને એના શરીરને અલંકારોથી વિભૂષિત કરી દીધું છે. માણસની પ્રસન્નતા ઝુંટવી લઈને એને શ્રીમંત બનાવી દીધો છે. એની મહાનતાની સ્મશાનયાત્રા કાઢી નાખીને એને મોટો બનાવી દીધો છે. એની પવિત્રતાને રફે-દફે કરી નાખીને એને સ્વચ્છ બનાવી દીધો છે.
માણસ પાસે આજે વિવેકની આંખ નથી, વાત્સલ્યસભર હૈયું નથી, વિનયયુક્ત દિલ નથી. કલ્પના કરો એવા ઘરની કે જે ઘરમાં ટી.વી. છે, વીડિયો છે, આકર્ષક ફર્નિચર છે, ડનલોપની ગાદીઓ છે પરંતુ અનાજ નથી, પાણી નથી અને સ્વચ્છ હવા નથી. થાય શું એ ઘરનું? કલ્પના કરો એવા જીવનની કે જે જીવનમાં વિપુલ સંપત્તિ છે, અમાપ સત્તા છે પરંતુ સારાસારનો વિવેક કરી શકતી આંખ નથી. દુશ્મનોને પણ માફ કરી કે એવું વાત્સલ્યયુક્ત હૈયું નથી. ઉપકારીઓનો અને નાનાઓનો વિનય કરી શકતું દિલ નથી. થાય શું એ જીવનનું ?
એટલું જ કહીશ કે વિજ્ઞાને આપેલ ‘ગતિ’ પાછળ પછી દોડજો. પહેલાં ધર્મ બતાવેલ ‘સમ્યફ દિશા’ને બરાબર સમજી લો.