________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૩
લય-વિલય-પ્રલય નૌકાની જેમ તરતો ચંદ્ર નિહાળ્યો. તેણે વૃક્ષો, તારાઓ, પ્રાણીઓ, વાદળી, મેઘધનુષ્યો, ખડકો, રોપાઓ, પુખો, નિઝરો, સરિતાઓ, પર્ણ ઉપર બેઠેલાં ઓસબિંદુઓ .. દૂર દૂર ભૂરા ને ફિક્કા પર્વતો નિહાળ્યા.
પક્ષીઓ ગાતાં હતાં. મધમાખીઓ ગણગણતી હતી. ડાંગરનાં ખેતરો પર વાયુ હળવેકથી ફૂંકાતો હતો. આ બધું અનેક રંગોમાં અને સહસ્ત્ર આકારોમાં ત્યાં જ હતું. સૂર્ય અને ચન્દ્ર હંમેશાં પ્રકાશ્યા હતા. સરિતાઓ સદાયે વહી રહી હતી અને મધમાખીઓ હંમેશ ગણગણતી હતી, પરંતુ આ પહેલાં અનંત માટે, અનંતના મન માટે નિરર્થક હતાં. તેને તે એક માયા સમજતો હતો. સહુને તે અવિશ્વાસથી નીરખતો હતો. તે બધાને નિંદતો હતો, કારણ કે એ બધું વાસ્તવિક નહોતો માનતો! કારણ કે વાસ્તવિકતા દૃશ્ય જગતથી પર છે, એમ માનતો હતો... હવે તેને દૃશ્ય જગત વાસ્તવિક તત્ત્વોના પર્યાયરૂપે દેખાયું!
માર્ગે, ગુણશીલ ચૈત્યના ઉપવનમાં તેણે જે બધું અનુભવ્યું હતું તે અનંતને યાદ આવ્યું. તેણે પરમ તેજસ્વી વર્ધમાન પાસે સાંભળેલો તેમનો બોધ, અમર પાસેથી લીધેલી વિદાય અને વર્ધમાન સાથેનો વાર્તાલાપ.. બધું સાંભર્યું. પરમ તેજસ્વીએ પોતે કહેલો એકેએક શબ્દ તેને સાંભર્યો. તેને પરમ આશ્ચર્ય થયું. ત્યારે તે નહોતો જાણતો તેવી વાત તેણે કહી હતી. વર્ધમાનનાં જ્ઞાન અને રહસ્ય અકથ્ય અને અદેય હતાં! એમણે પૂર્ણ જાગૃતિની પળે જે અનુભવ્યું હતું, તે જ અનુભવવા અત્યારે ચાલી નીકળ્યો હતો. તે જ અનુભવવાનો હવે તે પ્રારંભ કરવાનો હતો. તેણે સ્વયં એ અનુભવ પ્રાપ્ત કરવાનો હતો. લાંબા સમયથી તે જાણતો હતો કે તેનો “સ્વ' તેનો આત્મા હતો. શુદ્ધ બ્રહ્મ જેવો જ પૂર્ણાનન્દી અને શાશ્વત હતો. પણ તેને ક્યારેય એ “સ્વ” જડ્યો ન હતો, કારણ કે તે આત્માને વિચારોની જાળમાં પકડવા માગતો હતો! દેહ તે આત્મા નહોતો જ. અને ઇન્દ્રિયોના વિલાસ પણ આત્મા ન હતા. વિચાર પણ નહીં અને સમજણ પણ નહીં. વિચારોમાંથી પ્રગટ થતું જ્ઞાન કે કળા પણ આત્મા ન હતી....
વર્ધમાન એકવાર, તેમની જાગૃતિની, પૂર્ણતા-પ્રાપ્તિની મહત્તમ ક્ષણે ઋજુવાલુકા સરિતાના તટ પર નહોતા મૌન બેઠા? તેમને ભીતરમાંથી પૂર્ણાનન્દ પ્રગટ્યો હતો. આ જ ઇચ્છનીય હતું. આ જ અનિવાર્ય હતું.'
તે એક વિરાટ વટવૃક્ષની નીચે બેસી ગયો હતો. પદ્માસને સહજ રીતે બેસી ગયો હતો. તેની કાયા સ્થિર બની હતી. તેની વાણી મૌનમાં સ્થિર બની હતી અને તેનું મન હવે પરમ તેજસ્વી વર્ધમાનની ચારેબાજુ પ્રદક્ષિણા દઈ રહ્યું હતું.
For Private And Personal Use Only