________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય અખંડતાનું દર્શન કોઈએ કરાવ્યું નથી. વિશ્વનું ઐક્ય, સમગ્ર ઘટનાઓની સુગ્રથિતતા, એક જ પ્રવાહમાં કાર્યકારણના જન્મમૃત્યુના તે જ નિયમમાં નાનાંમોટાં સહુનો સ્વીકાર... આ બધું તે પૂર્ણ પુરુષ, આપના બોધમાં સ્પષ્ટપણે ઝળકે છે.
હે પરમ તેજસ્વી! હજારો બ્રાહ્મણો, હજારો ભિખુઓ જે ઉચ્ચ ધ્યેયપ્રાપ્તિને ઝંખે છે તે ઉચ્ચ ધ્યેય આપ પામી ચૂક્યા છો, આ અંગે એક ક્ષણ પણ મેં શંકા કરી નથી. આપે આપની રીતે તપ દ્વારા, તિતિક્ષા દ્વારા, ચિંતન દ્વારા, જ્ઞાન દ્વારા, પ્રબોધન દ્વારા આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કોઈના બોધ દ્વારા આપ કશું શીખ્યા નથી. અને તે પૂર્ણ પુરુષ, હું એવું માનું છું કે બોધ દ્વારા કોઈને મુક્તિ પ્રાપ્ત થતી નથી. હે પરમ તેજસ્વી, કૈવલ્યની પ્રાપ્તિની ક્ષણે કે એની પૂર્વની ક્ષણોમાં આપે શું અનુભવ્યું, તે આપ કોઈનેય શબ્દો દ્વારા અભિવ્યક્ત કરી શકતા નથી. પૂર્ણ પુરુષનો બોધ ઘણું બધું શીખવે છે, એમ હું માનું છું. સારી રીતે કેમ જીવવું, દુરિતોથી કેમ બચવું... વગેરે. પરંતુ આપના બહુમૂલ્ય બોધમાં એક જ વાતનો અભાવ મને લાગે છે કે પરમ તેજસ્વીએ પોતે એકલાએ જ શું અનુભવ્યું, તેનું રહસ્ય નથી બોધમાં!
વર્ધમાનની દૃષ્ટિ સ્થિર હતી. તેમની રમણીય મુખમુદ્રા પર સંપૂર્ણ સ્વસ્થતા રમતી હતી. તેઓ બોલ્યા :
હે આરણ્યક શ્રમણ ! તારી વાતમાં કશી ભૂલ નથી. કૈવલ્યપ્રાપ્તિની પૂર્વેક્ષણોમાં... મોહનાશની પૂર્વેક્ષણોમાં જે આત્માનુભવનો ચિદાનંદ અનુભવાય છે, તે શબ્દોમાં વર્ણવી શકાય એવો નથી. હે ચતુર શ્રમણ, તે છતાં હું તને કહી શકું છું કે રાગ-દ્વેષ અને મોહથી મન ખાલી થઈ જાય, તદ્દન ખાલી થઈ જાય અને એમાં સમભાવ ભરાઈ જાય તો મનુષ્ય અવશ્ય અવર્ણનીય ચિદાનંદ અનુભવે! હું જાણું છું ઓ આરણ્યક તપસ્વી! તેં ખૂબ દેહદમન કર્યું છે. સ્વેચ્છાથી ઘણાં કષ્ટો સહ્યાં છે. અષ્ટાંગ યોગની સાધનાથી ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. છતાં તને એ ભૌતિક સિદ્ધિઓનો ગર્વ નથી, મોહ નથી... હે શ્રમણ! તે શરીરને સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો અને સિદ્ધિ મેળવી. તે દિવસો... મહિનાઓ સુધી મૌન રહેવાની પણ સિદ્ધિ પ્રાપ્ત કરી, પણ તારું મન ચંચળ છે! તું ઘણા વિચારો કરે છે અને આત્માનુભૂતિને શબ્દોમાં બાંધવાનો મિથ્યા પ્રયત્ન કરે છે. આ તપસ્વી શ્રમણ! આત્માનુભવ, ચિદાનંદની પ્રાપ્તિ મનના વિચારોથી નથી મળતી, મનને મારી નાંખવાથી મળે છે. ઉન્મની ભાવમાં પ્રવેશવું પડે... વિચારો શાન્ત થઈ જશે. રાગ-દ્વેષ વિના જ્યારે તું આ વિશ્વને જોઈશ ત્યારે આ વિશ્વ તને પૂર્ણ લાગશે! તને પૂર્ણાનન્દની પ્રાપ્તિ થશે.”
For Private And Personal Use Only