________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય મોહ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર વગેરે અનેક પાપ પિશાચો, એ ગુફામાં રહેલી હૃદયગુફાના દ્વારે પણ ડોકાઈ શકતા ન હતાં. તે દોષોની આસુરી શક્તિ, મહાત્માઓની અનંત આત્મશક્તિની આગળ લાચાર બની રખડી રહી હતી.
મહાત્મા સુકોશલનું આત્મતેજ ઝગારા મારી રહ્યું હતું, વીતરાગતાની જ્યોતિ તેમની નિકટ આવી રહી હતી. આત્મસુખનો સાગર હિલોળે ચઢ્યો હતો.
ચાર માસ પૂર્ણ થયા.
બંને મહાત્માઓએ ગદ્ગદ કંઠે, ભક્તિભાવભર્યા હૈયે ભગવંત શ્રી જિનેશ્વરદેવના ચરણોમાં ભક્તિનાં પુષ્પ ચઢાવ્યાં. રોમાંચિત શરીરે બંને રાજર્ષિઓ ગુફાની બહાર નીકળ્યા.
વસંતપર્વતની વનરાજીએ નમીનમીને બંને રાજર્ષિઓનું સ્વાગત કર્યું. પક્ષીઓએ પ્રદક્ષિણા કીધી. પરમ બ્રહ્મની તૃપ્તિનો અનુભવ કરતા, ધ્યાનસુધાનો ઓડકાર ખાતા.. આસ્વાદ માણતા વસંતપર્વત પરથી ઊતરવા લાગ્યા. તેમની દૃષ્ટિ ભૂમિ પર મંડાઈ હતી, એટલામાં એક વાઘણની દૃષ્ટિ પિતા-પુત્ર પર મંડાઈ.
એ એ જ વાઘણ હતી, માનવજીવનને હારી ગયેલી મહાત્મા સુકોશલની માતા સહદેવી! મરીને આ વાઘણ થઈ હતી. સુકોશલને જોતાં જ વાઘણની, વૈરવૃત્તિ જાગી ઊઠી. તેનું મહાકાળ જેવું ડાચું પહોળું થયું. પર્વતશિલાઓને ફાડી નાંખે તેવી ત્રાડ પાડી, છલાંગ મારી.... એક-બે અને ત્રણ ત્રીજી છલાંગે તે બે મુનિવરની નજીક આવી પડી.
જ્યાં વાઘણની ગર્જના થઈ, ત્યાં જ બંને રાજર્ષિઓ સાવધાન બની ગયા. તેમને ભાગી જવાનું ન હતું, કે વાઘણથી ડરવાનું ન હતું કે વાઘણથી દેહરણ કરવાનું ન હતું! એ તો સાવધાન થયા આત્મસમાધિ માટે. દેહોત્સર્ગ સમયે સમતાની સિદ્ધિ રહે તે માટે.
૦ ૦ ૦. બંને રાજર્ષિ ધ્યાનસ્થ બની ઊભા રહી ગયા. જગતની તમામ જીવસૃષ્ટિને ખમાવી દીધી. ૦ પરમકૃપાળુ પરમાત્માનું શરણ અંગીકાર કરી લીધું. 0 શરીરને આત્માનું ભેદજ્ઞાન જાગ્રત થઈ ગયું.
For Private And Personal Use Only