________________
ચક્રવર્તી સુભૂમ! રાજાઓની દાઢાઓથી ભરેલ થાળ પર તમારી નજર પડતાં જ એ થાળ દેવતાઓથી અધિષ્ઠિત ચક્ર બની ગયું અને પરશુરામના મૃત્યુનું કારણ બની ગયું.
દેવતાદિકના ઉપદેશની અવગણના કરીને પણ તમે સૈન્ય સહિત લવણ સમુદ્રને કાંઠે આવ્યા છો અને તમારા ચર્મરત્નને હાથનો સ્પર્શ કરીને તમે વિસ્તાર્યું છે. તેની ઉપર સર્વ સૈન્યને બેસાડીને તમે લવણ સમુદ્રને પેલે પાર જવા ચાલ્યા તો છો પણ તે વખતે સર્વ દેવોએ પૃથક પૃથફ પોતપોતાના મનમાં વિચાર કર્યો છે કે
‘આ રાજાના ઘણા દેવો સેવક છે, તેથી મારી એકલાની શક્તિ શું કામની છે? હું જઈશ તો કશું જ અટકી પડવાનું નથી. માટે લાવ, હું દેવાંગનાને મળી આવું.’ આમ વિચારીને એકી સાથે બધા જ દેવોએ તમને છોડી દીધા છે.
અને
તમે સર્વ સેના સહિત બે લાખ યોજનના વિસ્તારવાળા લવણ સમુદ્રમાં ડૂબી જઈને સાતમી નરકમાં રવાના થઈ ગયા છો !
પ્રભુ, સાગરના ઊંડાણને કે મેરુ પર્વતની ઊંચાઈને સમજવામાં તો મને સફળતા મળે છે પણ મનની તૃષ્ણાની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ કે ઊંડાણ, એમાંનું કશું જ હું સમજી શકતો નથી અને છતાં એને શાંત કરવાના મારા પ્રયાસો પર હું પૂર્ણવિરામ મૂકવા તૈયાર નથી. શું મારી પાસે સુભૂમનું જ મન હશે?
૫૩