________________
3
બ્રાહ્મણ દેવશર્મા !
પરમાત્મા મહાવીરદેવની અંતિમ દેશના ચાલી રહી છે. પુષ્કરાવર્તના મેધની જેમ પ્રભુ આજે બારે ખાંગે વરસી રહ્યા છે. આ અવસર્પિણી કાળના ચોવીસ તીર્થંકરમાંના પ્રભુ વીર એ જ એક એવા તીર્થંકર ભગવંત છે કે
જેમણે લાગટ ૧૬ પહોરની એટલે કે ૪૮ કલાકની દેશના આપી છે.
તેં તો જિંદગીમાં એક પણ વખત એ દેશના સાંભળી નથી એટલે તને કલ્પના પણ શી હોય એ દેશનાની મધુરતાની કે એ દેશનાની તારક્તાની ? પણ, અત્યારે એ તારકની દેશના સાંભળવાનું સદ્ભાગ્ય જેને પણ સાંપડ્યું છે એ સહુ જાણે કે એક પ્રકારના નશામાં ઝૂમી રહ્યા છે. નથી કોઈને ભૂખ-તરસનો કોઈ અનુભવ થઈ રહ્યો. સમય જાણે કે થંભી ગયો છે અને સહુનાં મન જાણે કે વિલીન થઈ ગયા છે.
આ ગજબનાક માહોલ વચ્ચે પ્રભુએ ગણધર ગૌતમને એક આજ્ઞા કરી છે.
ગૌતમ !” ‘જી'
‘એક કામ કરવાનું છે' ફરમાવો'
‘બ્રાહ્મણ દેવશર્માને પ્રતિબોધ કરવા...’
'મારે જવાનું છે ?'
‘હા’
અને પૂર્ણ પ્રસન્નતાની અનુભૂતિ સાથે ગૌતમ ગણધર દેશનાના એ ભવ્યતમ માહોલ વચ્ચેથી ઊભા થઈને તને પ્રતિબોધ કરવા તારે ત્યાં આવવા નીકળી પડ્યા છે.
આ એ ગૌતમ છે કે જે દ્વાદશાંગીના ધારક છે. આ એ ગૌતમ છે કે જે અનંત લબ્ધિના ભંડાર છે. આ એ ગૌતમ છે કે જે ૫૦,૦૦૦ કેવળજ્ઞાનીના ગુરુ છે. આ એ ગૌતમ છે કે જે મન:પર્યવજ્ઞાનના માલિક છે. આ એ ગૌતમ છે કે જે સ્વયં તીર્થરૂપ છે. આ એ ગૌતમ છે કે જે વિનય શિરોમણી છે. આ એ ગૌતમ છે કે જે જીવનભર માટે છઠ્ઠને પારણે છઠ્ઠનો તપ કરી રહ્યા છે. આ એ ગૌતમ છે કે જે પોતાની લબ્ધિથી અષ્ટાપદની યાત્રા કરી ચૂક્યા છે.
એ ગૌતમ તારી વિનંતિ વગર માત્ર પ્રભુની આજ્ઞા થવાથી તને પ્રતિબોધ કરવા તારે ત્યાં આવી ચૂક્યા છે.
‘શું કરે છે તું ?’ ‘ખેતી’
‘એમાં મળે શું?’ ‘જીવન નભી જાય'
‘પરલોકનું કાંઈ વિચારે છે ?’
‘ના’ આત્મા યાદ આવે છે
૪