________________
આપ્તવાણી-૨
આપ્તવાણી-૨
આપે. તે એ કહેવાય નહીં ને સહેવાય નહીં. એવાં બધાં દુઃખો છે. આ સંસાર તો નર્યું દુઃખનું જ સામ્રાજ્ય છે. મોટા ચક્રવર્તી રાજાઓ પણ રાજપાટ છોડીને નાઠા. તે આને ઝૂપડું છૂટતું નથી. આવી શી મમતા તે છૂટતું નથી ? આધિ, વ્યાધિ ને ઉપાધિના તાપમાં મનુષ્યો શક્કરિયાની જેમ ચોગરદમથી બફાય છે. બે મિલોવાળો, સંસારી, ત્યાગી, બે બૈરીવાળો ને સંન્યાસી- બધાં બફાઇ રહ્યાં છે. તેમાં ‘આ’ એક જ શીતળ છાંયડી ઊભી થઇ છે, નહીં તો કેમ કરીને જીવવું તે ય ભારે થઇ પડે એવું છે. આ એક જ સમાધિનું સ્થાન ઊભું થયું છે !
પ્રશ્નકર્તા : અત્યારે પૈસો એ પ્રધાનપણે છે એ કેમ ?
દાદાશ્રી : માણસને કોઈ જાતની સૂઝ ના પડે ત્યારે માની બેસે કે પૈસાથી સુખ મળશે. એ દ્રઢ થઈ જાય છે, તે માને છે કે પૈસાથી વિષયો મળશે. બીજું બધું ય મળશે. પણ એનો ય વાંક નથી. આ પહેલેથી જ કર્મો એવાં કરેલાં તેનાં આ ફળ આવ્યા કરે છે. આ આખા મુંબઇમાં દસેક જણા જ પુણ્યાનુબંધી પુણ્યવાળા લક્ષ્મીવાન હશે, ને બાકીના પાપાનુબંધી પુણ્યવાળા લક્ષ્મીવાન છે અને તે નિરંતર પાર વગરની ચિંતામાં ફર્યા કરે
સાચી લક્ષ્મી કયારે આવે કે તમારા મનમાં ભાવ સુધરે તો. આ વ્યભિચારી વિચારોથી તો કયાંથી સાચી લક્ષ્મી આવે ? પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી તો રોમે રોમે કેડીને જાય.
પ્રશ્નકર્તા : પણ લોકોને હમણાં પૈસાની જરુર છે ને ?
દાદાશ્રી : હા, પણ તેથી આવાં સજ્જડ દુર્બાન કરાતાં હશે ? આ નાહવાનું ય રોજની જરૂરિયાત છે છતાં ત્યાં કેમ નાહવા માટે ધ્યાન નથી બગડતાં ? અત્યારે તો પાણી નથી મળતું તે તેમાં ય ધ્યાન બગડે છે, પણ આપણે તો નક્કી જ હોવું જોઈએ કે પાણી મળ્યું તો નાહીશું, નહીંતર નહીં, પણ ધ્યાન બગડવું ના જોઈએ. પાણીનો સ્વભાવ છે કે આવ્યા કરે, તેમ લક્ષ્મીનો સ્વભાવ છે કે આવ્યા કરે ને ટાઈમ થાય એટલે ચાલતી થાય. આખા વર્લ્ડમાં કોઈને ઝાડે ફરવાની સત્તા એની ‘પોતાની’ નથી. આ તો માત્ર નૈમિત્તિક ક્રિયા કરવાની હોય. પણ ત્યાં ધ્યાન બગાડીને પડાવી લેવાની ઈચ્છા રાખે તો તો પછી ફળ કેવાં આવે ?
એક માણસ કેરીની આશાએ ઝાડ નીચે બેઠો. ભગવાને પૂછયું, “અલ્યા, તું શા માટે ઝાડ નીચે બેઠો છે ?” ત્યારે પેલો કહે, “કેરી ખાવા.” ભગવાને કહ્યું, “અલ્યા, આ તો વડનું ઝાડ છે ને ! ત્યાં કેરીની આશાએ તને શું મળશે ? અલ્યા, ઝાડને ઓળખ ! ઝાડને ઓળખીને તું ફળની આશા રાખ.” ‘જ્ઞાની પુરુષ' પાસે જા તો તારો ઉકેલ આવે. આ લોકો તો ભગવાનને ભૂલી કરીને લક્ષ્મીજી ખોળે છે. ભગત હોય તેમને લક્ષ્મીજી ખૂટે. ભગત અને ભગવાન બેઉ જુદા હોય. ત્યાં ભેદ હોય. ભગત બહુ ઘેલા હોય. નિયમ કેવો છે કે જયાં ઘેલછા હોય ત્યાંથી લક્ષ્મીજી ખસી જાય. વ્યવહારમાં જ્ઞાની ઘેલછાવાળા ના હોય, બહુ ચોક્કસ હોય. ભક્તિથી ‘જ્ઞાની પુરુષ' મળે અને ‘જ્ઞાન પ્રાપ્ત થાય. મોક્ષ જ્ઞાન'થી થાય.
ભગવાને શું કહેલું કે નર્મદાજીમાં પાણી આવે એ તો નર્મદાજીના પટના ગજા પ્રમાણે જ હોય. પણ જો એના ગજા કરતાં વધારે પાણી આવે તો ? તો તે કિનારો-બિનારો બધું તોડી નાખે અને આજુબાજુનાં ગામો તાણી જાય. લક્ષ્મીજીનું પણ એવું જ છે. નોર્મલ આવે ત્યાં સુધી સારું.
અમે ય ધંધાદારી માણસ છીએ. તે સંસારમાં ધંધા-રોજગાર ને ઇન્કમ ટેક્સ વગેરે બધું ય અમારે પણ છે. અમે કન્ટ્રાક્ટનો નંગોડ ધંધો કરીએ છીએ, છતાં એમાં અમે સંપૂર્ણ વીતરાગ રહીએ છીએ. એવા વીતરાગ શાથી રહેવાય છે ? ‘જ્ઞાનથી'. અજ્ઞાનતાથી લોક દુઃખી થઇ રહ્યા છે. લક્ષ્મી પાપાનુબંધી-પુણ્યથી હોય પણ વિચારો નર્યા પાપના જ હોય. લક્ષ્મી પુણ્યાનુબંધી-પુણ્યવાળાની દાસી ખરી, પણ એને એ ઊંચે લઇ જાય, અને પાપાનુબંધી-પુણ્યવાનની ય લક્ષ્મી દાસી પણ તે એને નીચી ગતિએ લઇ જાય !
આ અત્યારે તો માણસ માણસ જ રહ્યો નથી ને ! અને એમના મોત તો જુઓ? કૂતરાંની પેઠે મરે છે. આ તો અણહક્કના વિષયો ભોગવ્યાં તેનું ફળ છે. વિપરીત બુદ્ધિ થઈ ગઈ છે તેથી જેની પાસે લક્ષ્મી છે તેને ય પાર વગરનું દુ:ખ છે. સમ્યક્ બુદ્ધિ સુખી કરે.