________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨૦ એકસો દસમું પર્વ
પદ્મપુરાણ આ પ્રાણી માછલીની જેમ ગૃહરૂપ તળાવમાં રહી વિષયરૂપ માંસના અભિલાષી રોગરૂપ લોઢાના આંકડાના યોગથી કાળરૂપ માછીમારની જાળમાં પડે છે. ભગવાન શ્રી તીર્થંકરદેવ ત્રણ લોકના ઈશ્વર, સુરનર, વિધાધરોથી વંદિત એ જ ઉપદેશ આપે છે કે આ જગતના જીવો પોતપોતાના ઉપાર્જેલાં કર્મોના વશમાં છે અને જે આ જગતને તજે તે કર્મોને હણે. માટે હું તાત! અમને ઇષ્ટ સંયોગના લોભથી પૂર્ણતા નહિ થાય. આ સંયોગસંબંધ વીજળીના ચમકારા જેવો ચંચળ છે, વિચક્ષણજનો એમના પ્રત્યે અનુરાગ કરતા નથી. આ શરીરનો અને શરીરના સંબંધીઓનો વિયોગ તો નિશ્ચયથી થશે, એમાં પ્રીતિ કેવી? અને મહાકાલેશરૂપ આ સંસારવનમાં નિવાસ કેવો? આ મારું પ્રિય છે, એવી બુદ્ધિ જીવોને અજ્ઞાનથી છે. આ જીવ સદા એકલો જ ભવમાં ભટકે છે, એક ગતિમાંથી બીજી ગતિમાં ફરતો અત્યંત દુ:ખી છે. હે પિતા! અમે સંસારસાગરમાં ડૂબકીઓ ખાતાં અત્યંત ખેદ પામ્યા છીએ. આ સંસારમાં મિથ્યાશાસ્ત્રરૂપ દુ:ખદાયક દ્વીપ છે, તેમાં મોહરૂપ મગર છે, શોકસંતાપરૂપ પગથિયાંવાળી દુર્જય નદીઓથી પૂર્ણ છે અનેક ભ્રમણરૂપ વમળોથી ભયંકર છે, અનેક આધિ-વ્યાધિરૂપ કલ્લોલો સહિત છે, કુભાવરૂપ પાતાળકુંડથી અગમ છે, ક્રોધાદિ ભાવરૂપ જળચરોથી ભરેલો છે, ત્યાં વૃથા બકવાદરૂપ અવાજ થાય છે, મમત્વરૂપ પવનથી વિકલ્પરૂપ તરંગો ઊછળે છે, દુર્ગતિરૂપ ખારા જળથી ભરેલો છે, અત્યંત દુસ્સહુ ઇષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગરૂપ આતાપ વડવાનળ સમાન છે, આવા ભવસાગરમાં અમે અનાદિકાળથી ખેદખિન્ન થઈ પડ્યા છીએ. જુદી જુદી યોનિમાં ભટકતાં અતિકષ્ટથી મનુષ્યદેહ અને ઉત્તમ કુળ પામ્યા છીએ. તેથી હવે એવું કરીશું કે ફરીથી ભવભ્રમણ થાય નહિ તેથી બધા પ્રત્યેથી મોહ છોડાવી આઠેય કુમાર ઘરરૂપ બંદીખાનામાંથી નીકળ્યા. તે ભાગ્યવાનોને એવી વૈરાગ્યબુદ્ધિ ઉપજી કે ત્રણ ખંડનું ઇશ્વરપણું જીર્ણ તરણાની જેમ તમ્યું. તે વિવેકી મહેન્દ્રોદય નામના ઉધાનમાં જઈ મહાબળ નામના મુનિ પાસે દિગંબર થયા. સર્વ આરંભરહિત અંતર્બાહ્ય પરિગ્રહના ત્યાગી વિધિપૂર્વક ઇર્યાસમિતિ પાળતાં વિહાર કરી ગયા. ક્ષમાશીલ, ઇન્દ્રિયોને વશ કરનાર વિકલ્પરહિત નિસ્પૃહી, પરમયોગી, બાર પ્રકારનાં તપથી કર્મોને ભસ્મ કરી અધ્યાત્મયોગથી શુભાશુભ ભાવોનો અભાવ કરી ક્ષીણકષાય થઈ કેવળજ્ઞાન લઈને અનંતસુખરૂપ સિદ્ધપદને પામ્યા, જગતના પ્રપંચથી છુટયા. ગૌતમ સ્વામી શ્રેણિકને કહે છે કે હે નૂપઆ આઠ કુમારોનું મંગળરૂપ ચરિત્ર જે વિનયવાન ભક્તિથી વાંચ-સાંભળે તેના સમસ્ત પાપનો ક્ષય થઈ જાય, જેમ સૂર્યની પ્રભાથી તિમિરનો નાશ થાય છે.
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લક્ષ્મણના આઠ કુમારોના વૈરાગ્યનું વર્ણન કરનાર એકસો દસમું પર્વ પૂર્ણ થયું.
*
*
*
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com