________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮૨ એકસો પાંચમું પર્વ
પદ્મપુરાણ કમળો ઠેકઠેકાણે ખીલ્યાં. જળ શાંત થયું. જે વમળ ઉત્પન્ન થયાં હતાં તે મટી ગયા અને ભયંકર અવાજ બંધ થયો. જે જળ ઉછળ્યું હતું તે જાણે કે વાપીરૂપ વધૂ પોતાના તરંગરૂપ હાથથી માતાના ચરણયુગલને સ્પર્શતી હતી. તે ચરણો કમળના ગર્ભથી પણ કોમળ છે અને નખોની જ્યોતિથી દેદીપ્યમાન છે. જળમાં કમળ ખીલ્યાં તેની સુગંધથી ભ્રમર ગુંજારવ કરે છે તે જાણે સંગીત કરે છે અને ક્રૌંચ, ચકવા, હંસ અવાજ કરે છે. અતિશય શોભા બની ગઈ છે, મણિસુવર્ણનાં પગથિયાં બની ગયાં છે તેમને જળના તરંગો સ્પર્શે છે અને તેના તટ મરકતમણિથી બનેલા શોભે છે. આવા સરોવરની મધ્યમાં એક સહસ્ત્રદળકમળ કોમળ વિમળ પ્રફુલ્લિત છે. તેની મધ્ય દેવોએ રત્નોનાં કિરણોથી મંડિત સિંહાસન રચ્યું છે. ચંદ્રમંડળ તુલ્ય નિર્મળ તેના પર દેવાંગનાઓએ સીતાને બિરાજમાન કર્યા અને સેવા કરવા લાગી. સીતા સિંહાસન પર બેઠી. તેનો ઉદય અતિઅદ્દભુત અને શચિ સમાન શોભતી હતી. અનેક દેવો ચરણો પાસે પુષ્પાંજલિ ચડાવી ધન્ય ધન્ય શબ્દ કહેવા લાગ્યા. આકાશમાંથી કલ્પવૃક્ષનાં ફૂલોની વૃષ્ટિ કરવા લાગ્યા. જાતજાતનાં દંદુભિ વાજાના, અવાજથી દિશાઓ શબ્દરૂપ થઈ ગઈ. ગુંજ જાતિનાં વાજિંત્રો મધુર ગુંજારવ કરવા લાગ્યાં. મૃદંગ, ઢોલ વાગ્યાં, નાદિ, કાલ, તુરહી, કરનાલ, શંખ, વીણા, બંસરી, તાલ, ઝાંઝ, મંજીરાં, ઝાલર ઈત્યાદિ અનેક વાજિંત્રો વાગ્યાં. વિદ્યાધરો નાચવા લાગ્યા અને દેવોના આ પ્રમાણે અવાજ આવ્યા કે શ્રીમત્ જનકરાજાની પુત્રી પરમ ઉદયની ધરનારી શ્રીમદ્ રામની રાણી અત્યંત જયવંત હો. અહો નિર્મળ શીલ જેનાં આશ્ચર્યકારી. આવા શબ્દ સર્વ દિશાઓમાંથી દેવો દ્વારા આવવા લાગ્યા. પછી બન્ને પુત્ર લવણ અને અંકુશ, જેમાં માતા પ્રત્યેનું હેત અકૃત્રિમ છે તે જળમાં તરીને અતિહર્ષભર્યા માતાની સમીપે આવ્યા. બન્ને પુત્ર બન્ને તરફ જઈને ઊભા રહ્યા, માતાને નમસ્કાર કર્યા એટલે માતાએ બન્નેના શિર પર હાથ મૂકયા. રામચંદ્ર મિથિલાપુરીના રાજાની પુત્રી મૈથિલી એટલે કે સીતાને કમલવાસિની લક્ષ્મી સમાન જોઈને અતિ અનુરાગથી પૂર્ણ તેની સમીપ ગયા. સીતા તો જાણે સ્વર્ણની મૂર્તિ છે, અગ્નિમાં શુદ્ધ થઈ છે, જેનું શરીર અતિ ઉત્તમ
જ્યોતિથી મંડિત છે. રામ કહે છે કે હે દેવી, કલ્યાણરૂપિણી! ઉત્તમ જીવોથી પૂજ્ય અદ્ભુત ચેષ્ટા ધરનારી શરદની પૂર્ણિમાના ચંદ્રમા સમાન છે મુખ જેનું, એવી તું મારા પર પ્રસન્ન થા. હવે હું કદી એવો દોષ નહિ કરું, જેમાં તને દુઃખ થાય. હે શીલરૂપિણી ! મારો અપરાધ ક્ષમા કર. મારે આઠ હજાર સ્ત્રી છે તેમાં તું શિરોમણિ છે. મને જે આજ્ઞા કરીશ તે પ્રમાણે કરીશ. હું મહામતિ! મેં લોકાપવાદના ભયથી અજ્ઞાની થઈને તને કષ્ટ ઉપજાવ્યું છે તેની ક્ષમા આપ અને હે પ્રિયે, પૃથ્વી પર મારી સાથે યથેષ્ટ વિહાર કર. આ પૃથ્વી પર અનેક વન, ઉપવન, ગિરિથી મંડિત છે, દેવ-વિધાધરોથી સંયુક્ત છે. સમસ્ત જગત દ્વારા આદરપૂર્વક પૂજા પામી થકી મારી સાથે લોકમાં સ્વર્ગ સમાન સુખ ભોગવ. ઊગતા સૂર્ય સમાન આ પુષ્પક વિમાનમાં મારી સાથે બેસી સુમેરુ પર્વતના વનમાં જિનમંદિરો છે તેના દર્શન કર. જે જે સ્થાનોમાં તારી ઈચ્છા હોય ત્યાં ક્રિડા કર. હે કાંતે! તું જે કહીશ તે પ્રમાણે જ હું કરીશ. તારું વચન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com